Team Chabuk-Political Desk: માતર બેઠક પરથી ભાજપે કેસરીસિંહ સોલંકીની ટીકિટ કાપી હતી. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. ગણતરીના કલાકોમાં જ ટીકિટ મળી ગઈ હતી. પરંતુ એવું તો શું થયું કે કેસરીસિંહ ફરીવાર ભાજપમાં પાછા આવી ગયાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટા ઉલટફેર જોવા મળી શકે છે. ભાજપે અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારબાદ આજે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા છે. કુલ 166 ઉમેદવારો જાહેર કરાયા છે.
વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા કેસરીસિંહ ફરી ભાજપમાં સામેલ થયા છે. કેંદ્રીય મંત્રી દેવુસિંહ સાથે કેસરીસિંહ જોવા મળ્યા છે.
ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. ત્યારબાદ કેસરીસિંહ નારાજ થયા હતા અને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
મહત્વનું છે કે, માતર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. જો કે બે દિવસ પહેલાં કેસરીસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાતા તેઓને આમ આદમી પાર્ટીએ લડાવવાની જાહેરાત કરી હતી. જેથી મહિપતસિંહ ચૌહાણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે માતર બેઠક પર આમ આદમી પાર્ટી કોને ચૂંટણી લડાવશે તે જોવું રહ્યું. આમ માતર બેઠક પર જે રાજકીય દાવપેચ ખેલાઈ રહ્યા છે. સત્તાના સોગઠા ગોઠવવા જે ઉથલપાથલ થઈ રહી છે તે જોઈને રાજકીય પંડિતો પણ ગોથું ખાઈ ગયા છે. માતર બેઠક પર રાજકીય પક્ષોમાં શું રંધાઈ રહ્યું છે તે કોઈ કહી શકે તેમ નથી. આવતીકાલે નવો ફણગો શું ફૂટે તે પણ કોઈ કહી શકે તેમ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
