Team Chabuk-National Desk: ભારત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વખતે ગુલાબ નામનું વાવાઝોડું આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગનું માનીએ તો, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેસર આગામી સમયમા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. રવિવાર સાંજ સુધીમાં આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાંથી ઉદભવી રહેલા વાવાઝોડાને પાકિસ્તાને ગુલાબ નામ આપ્યું છે. તે આગામી થોડા કલાકોમાં વાવાઝોડું આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાંથી પસાર થશે.

ડીપ ડિપ્રેશન એરિયા ગોપાલપુરથી 510 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ દિશામાં છે. જ્યારે આંધ્ર પ્રદેશમાં કલિંગપટ્ટનમથી 590 કિલોમીટર પૂર્વમાં બન્યું હતું. હવામાન વિભાગે કહ્યું છે કે, “આગામી 12 કલાકમાં ડીપ ડીપ્રેશન તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જવાની સંભાવના છે. તે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં કલિંગપટ્ટનમની આસપાસ વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે વાવાઝોડાની અસર શનિવારથી જ જોવા મળશે. ખાસ કરીને ઓરિસ્સા અને તટીય આંધ્રપ્રદેશમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે પણ દક્ષિણ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.

વાવાઝોડાના પગલે ઓડિશા, તેલંગાણા અને છત્તીસગઢના ઉત્તરિય અંતરિયાળ વિસ્તારોમાં પણ રવિવારે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગનું માનીએ તો, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય વિસ્તારમાં પ્રતિ કલાકે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી ત્રણ દિવસમાં દરિયામાં ઉંચા મોજા ઉછળશે જેને લઈને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
વાવાઝોડાની શક્યતાના પગલે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ જિલ્લા તંત્ર સજ્જ થઈ ગયું છે. ઓરિસ્સાના વિશેષ રાહત કમિશનરે હવામાન વિભાગની આગાહીને જોતા તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા જણાવ્યું છે. ભારે પવન સાથે વરસાદની શક્યતાના પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
ગુજરાતમાં વાવાઝોડાની શું અસર થશે ?
જો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, 27થી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત