Homeતાપણુંમુલાયમ સિંહ યાદવ: રાજનીતિની કુસ્તીમાં મોદી લહેરને પણ ટક્કર આપનારા ‘નેતાજી’નું...

મુલાયમ સિંહ યાદવ: રાજનીતિની કુસ્તીમાં મોદી લહેરને પણ ટક્કર આપનારા ‘નેતાજી’નું નિધન, 55 વર્ષ સુધી કરી રાજનીતિ

Team Chabuk-National Desk: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવના નિધન પર ઉત્તરપ્રદેશમાં 3 દિવસનો રાજ્ય શોક રહેશે. નેતાઓ, અભિનેતાઓ સહિતના લોકોએ મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 82 વર્ષના મુલાયમ સિંહ યુરિન ઇન્ફેક્શનને કારણે 26 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા. બીજી ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટતાં તેમને ICUમાં દાખલ કરાયા હતા.

મેદાંતાના પીઆરઓએ જણાવ્યું હતું કે મુલાયમ સિંહને યુરિનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડપ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી. સ્થિતિમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર ખસેડ્યા હતા. તો આ તરફ અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ સંદેશ દ્વારા મુલાયમ સિંહ યાદવના નિધનની જાણકારી આપી હતી. આવતીકાલે મુલાયમના અંતિમ સંસ્કાર સૈફઈમાં કરવામાં આવશે.

22 નવેમ્બર 1939ના રોજ સૈફઈમાં મુલાયમ સિંહ યાદવનો જન્મ થયો હતો. ઈટાવા, ફતેહાબાદ અને આગ્રામાં તેમણે શિક્ષણ લીધું. મુલાયમ થોડા દિવસો માટે મેનપુરીના કરહલમાં જૈન ઈન્ટર કોલેજમાં પ્રોફેસર પણ રહ્યા હતા. પાંચ ભાઈ-બહેનોમાં બીજા નંબરના મુલાયમ સિંહે બે લગ્ન કર્યા હતા. તેમનાં પ્રથમ પત્ની માલતી દેવીનું મે 2003માં નિધન થયું હતું. અખિલેશ યાદવ મુલાયમની પહેલી પત્નીના પુત્ર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને મુલાયમ સિંહ યાદવ સાથેની તસવીરો પોસ્ટ કરી છે. ટ્વીટ સંદેશમાં વડાપ્રધાને લખ્યું છે કે, મુલાયમ જમીન સાથે જોડાયેલા નેતા હતા, જેઓ લોકોની મુશ્કેલીઓને સમજતા હતા. તેમણે પોતાનું જીવન લોકનાયક જયપ્રકાશ અને ડો.લોહિયાના વિચારોને સમર્પિત કરી દીધું. તેઓ ઈમરજન્સી દરમિયાન લોકશાહીના મહત્વપૂર્ણ સૈનિક હતા. સંરક્ષણ પ્રધાન તરીકે તેમણે મજબૂત ભારત માટે કામ કર્યું હતુ.

વડાપ્રધાને લખ્યું છે કે, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મારી મુલાયમ સિંહ યાદવજી સાથે ઘણી વાતચીત થઈ હતી. અમારો ગાઢ સંબંધ રહ્યો હતો અને હું હંમેશા તેમના વિચારો જાણવા આતુર રહેતો હતો. મુલાયમજીના નિધનથી હું દુખી છું. તેમના પરિવાર અને લાખો સમર્થકો પ્રત્યે મારી લાગણીઓ છે. ઓમ શાંતિ.

મુલાયમ સિંહે 55 વર્ષ સુધી રાજનીતિ કરી. તેઓ 28 વર્ષની ઉંમરે 1967માં જસવંતનગરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેમના પરિવારનું કોઈ રાજકીય બ્રેકગ્રાઉન્ડ ન હોવા છતા તેઓ 5 ડિસેમ્બર 1989ના રોજ પ્રથમ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. બાદમાં તેઓ વધુ બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા.

તેમણે કેન્દ્રમાં દેવેગૌડા અને ગુજરાલ સરકારમાં રક્ષામંત્રીની જવાબદારી પણ સંભાળી હતી. નેતાજીના નામથી જાણીતા મુલાયમ સિંહ સાત વખત લોકસભાના સાંસદ અને નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.4 ઓક્ટોબર 1992ના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. યુવાનીમાં મુલાયમ સિંહ યાદવ કુસ્તીના શોખીન હતા. જો કે, તેઓ છેલ્લે સુધી રાજકીય કુસ્તીમાં પણ સક્રિય રહ્યા. 2014માં મોદી લહેર દરમિયાન દિગ્ગજ નેતાઓને ધોબી પછાડ મળી હતી. જો કે, આ લહેરમાં મુલાયમ સિંહ યાદવ હાર્યા ન હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments