Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં એરા બ્રિજ પર પૂરઝડપે આવતા ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો. જેમાં ચાર યુવાન, એક મહિલા અને એક બાળક સહિત કુલ 8 લોકોના મોત થયા જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો કચ્ચરઘાણ વળી ગયો. લોકોની ચીચીયારીથી રસ્તો ગૂંજી ઉઠ્યો હતો. એટલું જ નહીં રસ્તા પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા. બસમાં ડ્રાઈવર સહિત 65 લોકો સવાર હતા. લખીમપુર ખીરીના ADMએ જણાવ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને લખનઉ લઈ જવાયા છે. અન્ય લોકોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા અને મૃતદેહો તેમાં ફસાઈ ગયા હતા. પોલીસે બસની બોડીને ગેસ કટર વડે કાપીને મૃતદેહ અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ બસ ધૌરહરાના ઈશાનગરથી લખનઉ જઈ રહી હતી, જ્યારે ટ્રક પંજાબ તરફથી આવી રહ્યો હતો. દુર્ઘટના બાદ હાઈવેની બંને બાજુ લગભગ 8 કિલોમીટર જેટલો જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાતત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. બીજી તરફ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલીને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે.બસમાં સવાર એક મુસાફરે કહ્યું, ’65 મુસાફરોને લઈને બસ ધૌરહરાથી લખનઉ તરફ આવી રહી હતી. ડ્રાઈવર ખૂબ જ ઝડપે બસ ચલાવી રહ્યો હતો. મુસાફરોએ સ્પીડ ઘટાડવાનું કહ્યું, પરંતુ ડ્રાઈવર માન્યો નહીં. આ જ કારણ છે કે બ્રિજ પર સામેથી આવી રહેલા ટ્રક સાથે ટક્કર થઈ હતી.
અકસ્માત બાદની હ્રદય કંપાવી દે તેવી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં બસની હાલત જોઈને અકસ્માતની ગંભીરતા આંકી શકાય છે. બસનો ભૂક્કો બોલી ગયો છે. ટ્રક પલટી ગઈ છે. જ્યારે બીજી તરફ તેની બાજુમાં જ મૃતદેહનો ઢગલો પડ્યો છે. બીજી કેટલીક તસવીરોમાં મૃતકોના સ્વજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ