Team Chabuk-National Desk: 75 પોલીસ ઓફિસરો છે. 75નો આંકડો સાંભળી લાગશે કે ક્યાંક દંગો થયો હશે, ક્યાંક હત્યા થઈ હશે, કોઈ નેતાનો કાર્યક્રમ હશે, પણ ઉક્ત ત્રણમાંથી એક પણ જગ્યાએ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી નથી રહ્યા. એ ફરજ બજાવી રહ્યા છે એક લગ્નમાં. લગ્ન શબ્દ સાંભળી તમે કિંકર્તવ્યમૂઢ થઈ જશો કે લગ્નમાં 75 પોલીસ અધિકારીઓનું શું કામ છે? કામ છે! જો એ લગ્ન દલિતના હોય તો 75 પોલીસ ઓફિસરો તો જોઈએને!

આ ઘટના છે રાજસ્થાનના ગુલાબી સીટી તરીકે ખ્યાતનામ એવા જયપુરની. જ્યાં જાન ઉપર પથ્થરમારો કરતા પોલીસે દસ અસામાજીક તત્વોની ધરપકડ કરી છે. પથ્થરમારો એ સમયે થયો જ્યારે દલિત વર ઘોડી ઉપર બેસી વધૂને ત્યાં જઈ રહ્યો હતો. આ સમગ્ર ઘટના જયપુર જિલ્લાના પાવટાના કૈરોડી ગામની છે. આરોપ છે કે પોલીસની હાજરી છતાં આરોપીઓએ પથ્થર મારવાનું કૃત્ય કર્યું. પથ્થરમારો 15 મિનિટ સુધી ચાલ્યો હોવાનું ઉપસ્થિત લોકો કહી રહ્યા છે. અફરા-તફરીમાં અસંખ્ય જાનૈયાઓ ઘાયલ થઈ ગયા. વધૂના પિતા હરિપાલ બલઈનું આ અંગે કહેવું છે કે 15 નવેમ્બરના રોજ લેખિતમાં ફરિયાદ દાખલ કરી સુરક્ષા માગી હતી. પોલીસને પુત્રીના વિવાહ હોવાનું જણાવ્યું હતું. આ સિવાય 28 નવેમ્બરના રોજ થનાર લગ્નમાં પણ સુરક્ષા માગી હતી. પોલીસે ઘટનાને ગંભીર રીતે લેતા પોલીસ ફોર્સ પણ ખડકી દીધી હતી.
બીજી બાજુ વરરાજાના પિતા કહી રહ્યા છે કે, અમારા ગામમાં દલિત વરરાજાનું ઘોડી ઉપર ચડી આવવું કંઈ સામાન્ય વાત નથી. હું ભેદભાવની આ પરંપરાને તોડવા ઈચ્છતો હતો. મારી પુત્રી અને પુત્ર બંનેના લગ્ન આ મહિને જ થઈ રહ્યા છે. અમારા ગામમાં રાજપૂત સમુદાયના લોકો અમને હંમેશાં કહે છે કે અમે ઘોડી ઉપર સવારી નહીં કરવા દઈએ. મને સંશય હતો કે વિરોધ થઈ શકે છે એટલે મેં સુરક્ષા માટે પોલીસ અને જિલ્લા પ્રશાસનની પાસે જઈ આવેદન જમા કરી દીધું હતું. પોલીસ અધિકારી અને સ્થાનિક રાજનેતા ગુરૂવારના રોજ 25 નવેમ્બરે મુલાકાત અર્થે પણ પહોંચ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું કે કોઈ હિચકારી બનાવ નહીં બને. પણ જ્યારે ઘોડી પર સવાર થઈ વરરાજા ગેટ પર પહોંચ્યા તો પોલીસ કર્મીઓની હાજરીમાં પથ્થરમારો શરૂ થઈ ગયો. અમારા પરિવારના દસથી પંદર લોકો ઝપેટમાં આવી ગયાં. ભત્રીજાને ટાંકા આવ્યા. હુમલો કરનારા મોટાભાગના રાજપૂત સમુદાયના છે અને પાડોશી છે.
કોટપુતલીના સર્કલ ઓફિસર દિનેશ કુમાર યાદવે કહ્યું કે, અમે દસ લોકોની ધરપકડ કરી છે. જે રાજપૂત સમુદાયના છે. 75 પોલીસકર્મીઓને ફરજ પર હાજર રાખવામાં આવ્યા હતા. હુમલો અચાનક થયો હતો અને કેટલીક સેકન્ડ સુધી ચાલ્યો. હુમલાખોરોએ ઝાડીઓ અને વૃક્ષોની વચ્ચેથી હુમલો કર્યો. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થઈ ગયા. જ્યારે 18 લોકોની વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પર પોલીસે કાર્યવાહી કરતા એસસી/એસટી એક્ટ સિવાય આઈપીસીની કલમ 323 એટલે કે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી અને 341 એટલે કે ખોટી રીતે અટકાવવા અંતર્ગત એફઆઈઆર ફાઈલ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
