Homeગામનાં ચોરેપેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રીનું મહત્વનું નિવેદન

પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રીનું મહત્વનું નિવેદન

Team Chabuk-National Desk: દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. તેવામાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જનતાને રાહત આપતું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે તેલના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો છે અને નજીકના દિવસોમાં આ ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે કરેલી વાતચીતમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમત હવે ઘટવા લાગી છે. આગામી દિવસોમાં હાલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. અમે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટશે તેનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપીશું.

ગત મહિને સંસદમાં તેલની કિંમતોમાં થઈ રહેલા વધારાને લઈને સરકાર પર સતત વિપક્ષી પાર્ટીઓએ પ્રહારો કર્યા હતા. વિપક્ષી પાર્ટીઓએ પેટ્રોલ-ડીઝલ અને ગેસના વધતા ભાવને લઈને સરકારને ગૃહમાં ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે યુપીએ સરકારની સરખામણીએ કાચા તેલના ભાવ ઓછા હોવા છતાં કેન્દ્ર સરકાર ઇંધણના ભાવ વધારી રહી છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર વધુ ટેક્સ અને સેસ સહિતના બોજ નાખીને જનતા પાસેથી વધુ રૂપિયા લેતી હોવાનો પણ આરોપ લગાવાયો હતો. સરકાર પર સતત લાગી રહેલા આરોપ વચ્ચે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મહત્વનું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને એમ પણ કહ્યું કે સબસિડી ધરાવતા ઘરેલુ રસોઈ ગેસની કિંમત હાલના મહિનામાં જ વધારવામાં આવી છે. જે ગેસ સિલિન્ડર ડિસેમ્બર 2020માં 594 રૂપિયામાં મળતો હતો તે હવે 819 રૂપિયામાં મળી રહ્યો છે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે પીડીએસ માધ્યમથી ગરીબોને આપવામાં આવતા કેરોસીનની કિંમત માર્ચ 2014માં 14.96 રૂપિયા પ્રતિ લીટર હતી તે આ વર્ષે 35.35 રૂપિયા વધી ગઈ છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ, ડીઝલ, એટીએફ, પ્રાકૃતિક ગેસ અને કાચા તેલ પર કેન્દ્ર સરકારને જે ટેક્સ 2016-17માં 2.37 લાખ કરોડ રૂપિયા મળ્યો હતો તે એપ્રિલ-જાન્યુઆરી 2020-2021માં વધીને 3.01 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના ભાવને લઈને કેન્દ્રની મોદી સરકાર પર ખૂબ ફીટકાર વરસાવવામાં આવી છે. સંસદમાં પણ વિપક્ષોએ સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. વિપક્ષી સાંસદોએ સંસદમાં આ મુદ્દે હંગામો પણ કર્યો હતો. જેના કારણે ઘણી વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવાની પણ નોબત આવી હતી. કોંગ્રેસ સહિતની અન્ય વિપક્ષી પાર્ટીઓએ વધતા ભાવને લઈને દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

આ તમામની વચ્ચે જનતા એવી આશા રાખીને બેઠી છે કે ઝડપથી પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળે જેથી ખિસ્સા પરનું ભારણ ઘટે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments