Team Chabuk-National Desk: પંજાબમાં રોડ માર્ગે પ્રવાસ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચુક સામે આવી છે. કેટલાક પ્રદર્શનકારીઓના કારણે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર 15-20 મિનિટ માટે અટવાઈ ગયો હતો. આ ઘટનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષામાં મોટી ભૂલ ગણાવી છે. આ ઘટનાને પગલે SSPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય કક્ષાની સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના અધિકારીઓને કહ્યું કે, “તમારા સીએમનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરી શક્યો.”
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબનાં વિકાસ કામોના લોકાર્પણ માટે રોડ માર્ગે જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દેતાં તેમનો કાફલો 15 થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાને વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ખામી ગણાવી છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ પંજાબની મુલાકાત દરમિયાન ગંભીર સુરક્ષા ભંગ બાદ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે પંજાબ સરકારને આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.
વડાપ્રધાન મોદી ભટિંડાથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, “વડાપ્રધાન આપને બધાને મળવા માંગતા હતા પરંતુ કેટલાક કારણોસર તેઓ આજે અમારી વચ્ચે આવી શક્યા નથી. વડાપ્રધાનને તમને બધાને મળવાની ખૂબ ઈચ્છા હતી. તેમણે કહ્યું છે કે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યો છે.” મોદી બે વર્ષના ગાળા પછી આજે પંજાબ પહોંચ્યા હતા. વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ થયા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત હતી. આ કાયદાને લઈને ખેડૂતોએ લગભગ એક વર્ષથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડાપ્રધાન ફિરોઝપુરમાં ચંદીગઢ સ્થિત પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના સેટેલાઇટ સેન્ટર અને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે સહિત રૂ. 42,750 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા. તેમાં અમૃતસર-ઉના સેક્શનનું ચાર માર્ગીકરણ, મુકેરિયાં-તલવારા રેલ્વે લાઇનનું ગેજ રૂપાંતર અને કપૂરથલા અને હોશિયારપુરમાં બે નવી મેડિકલ કોલેજોની સ્થાપનાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ બાદ વડાપ્રધાન એક રેલીને પણ સંબોધિત કરવાના હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે પંજાબના ફિરોઝપુરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સ્થગિત કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત