Homeગામનાં ચોરેપંજાબમાં પ્રથમ વખત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રીએ મંત્રીને હાંકી કાઢ્યા, ભગવંત માને કહ્યું,...

પંજાબમાં પ્રથમ વખત ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રીએ મંત્રીને હાંકી કાઢ્યા, ભગવંત માને કહ્યું, એક ટકો પણ ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય

Team Chabuk-National Desk: પંજાબમાં નવી રચાયેલી આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સપડાયેલા પોતાના જ મંત્રીમંડળના મંત્રીને હાંકી કાઢ્યા છે. પંજાબ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી જેવા ઉચ્ચ મંત્રાયલ સંભાળી રહેલા મંત્રી વિજય સિંગલા પર ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થતાં જ ભગવંત માને તુરંત પગલાં ભર્યા છે અને વિજય સિંગલાને હાંકી કાઢ્યા છે. એટલું જ નહીં મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંગલા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો પણ નિર્દેશ આપી દીધો છે. ભગવંત માને લીધેલા કડક પગલાં બાદ એન્ટી કરપ્શન બ્રાન્ચે પણ વિજય સિંગલાની ધરપકડ કરી લીધી છે.

વિજય સિંગલા ભગવંત માન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ બદલ એક ટકો કમિશનની માંગણી કરવાનો આરોપ હતો. આ મામલે નક્કર પુરાવા મળ્યા હોવાનું પંજાબ સીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે વિજય સિંગલા ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. ત્યારબાદ જ્યારે નક્કર પુરાવા મળ્યા તો સીએમ ભગવંત માને તેમની સામે કડક પગલાં ભર્યા છે. ભગવંત માને કહ્યું કે, એક ટકો ભ્રષ્ટાચાર પણ સાંખી લેવાશે નહીં.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, જનતાએ ખુબ આશા સાથે આમ આદમી પાર્ટીની સરકારને તક આપી છે. તેના પર ખરા ઉતરવું એ અમારી ફરજ છે. અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના સપૂત અને ભગવંત માન જેવા સિપાઈ હશે ત્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત ચાલુ રહેશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારની સિસ્ટમને જડમૂળથી ઉખેડી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમે બધા તેમના સિપાઈ છીએ. એક ટકો ભ્રષ્ટાચાર પણ ચાલશે નહીં. પંજાબમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે કોઈ મંત્રીની મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર મામલે છૂટ્ટી કરી હોય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments