Team Chabuk-Special Desk: Bambusetum એટલે શું જાણો છો? તેનો અર્થ થાય છે એક જૂથમાં ઉછેરવામાં આવેલા વિવિધ પ્રજાતિના વાંસ અને તેના અભ્યાસ સાથે સંકળાયેલી જગ્યા. ગુજરાતનું એકમાત્ર બાંમ્બુસેટમ રાજપીપળા સંશોધન વિભાગ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિંગલખાંચ ગામે ઉછેરવામાં આવ્યું છે. આજના ૧૮મી સપ્ટેમ્બરના વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાંબુ ડે (world bamboo day) પ્રસંગે જાણવા જેવી વાત એ છે કે, રાજ્યના ઉપરોક્ત વાંસ પ્રજાતિ સંશોધન કેન્દ્રની સન ૨૦૦૬માં સ્થાપના સમયે હાલમાં વડોદરામાં વસતા નિવૃત્ત વન અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ સંકળાયેલા હતા અને વાંસની પ્રજાતિઓના જતન અને ઉછેરમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એ રીતે તેમને ગુજરાતના બાંબુ મેન (bamboo man) ગણાવી શકાય.
દેશમાં દહેરાદૂન અને કેરળના ત્રિચિમાં વાંસ આવા સેટમ ઉછેરવામાં આવ્યાં છે એવી જાણકારી આપતાં ચૌહાણે જણાવ્યું કે, ગુજરાતના ખૂબ જ્ઞાન સંપન્ન અને સમર્પિત ઉચ્ચ વન અધિકારી ડો.એચ.એસ. સિંઘના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી જે સફળ થઈ છે. દેશના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી ૩૪ જેટલી વાંસ પ્રજાતિઓ ના ઉછેર થી તેની શરૂઆત કરવામાં આવી તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, હાલમાં અહીં ૨૮ પ્રજાતિઓના વાંસ છે અને ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઉકાઇ રિસર્ચ વિંગ દ્વારા તેનું સંચાલન થાય છે.
નાયબ વન સંરક્ષક પુનિત નૈયરની દોરવણી હેઠળ સુરત વન વિભાગે માંડવી તાલુકાના વિસડાલિયા ગામે વાંસની બનાવટો અને તેની તાલીમનું કેન્દ્ર સ્થાપિત કર્યુ છે. જ્યાં ફર્નિચર સહિત વિવિધ ઉત્પાદનોના નિર્માણની સાથે તાલીમ આપવામાં આવે છે. વાંસ આધારિત રોજગારીને પ્રોત્સાહિત કરતું આ આયોજન છે. તેમણે એક રસપ્રદ વાત જણાવી કે, વડવાઓ કહી ગયા છે કે વાંસના વનમાં રાત્રી વિસામો ન કરવો. તેનું કારણ એ છે કે, બાંબુના રાયઝોમ એક સાથે નવ થી ૧૪ ફૂટ જેટલા શૂટ અપ થાય છે એટલે નજીકમાં રહેલી વ્યક્તિઓને ક્યારેક ઇજા થવાની શક્યતા રહે છે.
અહીં એક અન્ય વાતનો ઉલ્લેખ કરવા યોગ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના કાર્યકાળ દરમિયાન પતંગોત્સવને નવું અને વ્યાપક સ્વરૂપ આપ્યું. આ પતંગોની બનાવટમાં આસામની એક પ્રજાતિના વાંસ ખૂબ સાનુકૂળ છે. એટલે ત્યાંથી એ પ્રજાતિ મંગાવી અત્રે ઉછેરવાની પ્રેરણા આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત