Team Chabuk-National Desk: ગુજરાત સહિત ભારતભરમાં રેમડેસિવિરની દવાઓ શોધવા લોકોની લાંબી કતારો લાગી છે. નોટબંધી કરતાં પણ લાંબી કતારો છે. આ લાંબી કતારો બીવડાવી દે છે. કોરોના સંક્રમણને નાથવા અને પોતાના પ્રિયજનને બચાવવા માટે લોકો દોડભાગ કરી રહ્યા છે. હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સની સામે લાંબી લાઈનો લાગી છે. હવે આ ઈન્જેક્શનને લઈને WHOએ ફરી એક વખત ચેતવણી આપી છે. WHOનું કહેવું છે કે, હજુ સુધી એ વાતનું પ્રમાણ નથી મળ્યું કે રેમડેસિવિર નામની દવા હોસ્પિટલમાં ભરતી કોરોનાના દર્દીઓને કામમાં આવે છે કે નહીં.
આ અંગે એક ખાનગી ન્યૂઝ ચેનલની સાથે વાત કરતા WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન અને કોવિડ-19ના ટેકનિકલ પ્રમુખ ડો.મારિયા વાન કોરાખાનાએ આ અંગે જણાવ્યું કે, પ્રથમ થયેલા પાંચ ક્લિનિકલ ટ્રાયલમાંથી એ વાત સામે આવી છે કે, રેમડેસિવિર દવા કોવિડ-19ના મૃત્યુદરને ઓછું કરવામાં સહાયક નથી. આ દવાથી હોસ્પિટલમાં પહોંચી ચૂકેલા અને વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને ફાયદો નથી થતો.
વધુમાં તેમણે એ પણ કહ્યું કે, WHO હજુ એક મોટા ક્લિનિકલ ટ્રાયલની પ્રતીક્ષા કરી રહ્યું છે. જેનાથી એ વાતની પુષ્ટી થશે કે રેમડેસિવિર નામની દવા કોવિડના દર્દીઓ પર જરા પણ અસર કરે છે કે નહીં. જોકે આ પ્રથમ વખત નથી જ્યારે WHOએ રેમડેસિવિરને કોવિડની વિરૂદ્ધ અસરહીન જણાવ્યું હોય. ગત્ત વર્ષે પણ તેણે આ દવાના ઉપયોગને લઈ કેટલાક સવાલો ઊભા કર્યા હતા. તેમણે નવેમ્બર 2020માં 30 દેશોના 11 હજાર 266 વયસ્ક કોરોનાના દર્દીઓ પર રેમડેસિવિરનું ક્લિનિકલ ટ્રાયલ કર્યું હતું. આ અભ્યાસમાં WHO એ નિષ્કર્ષ પર આવ્યું કે રેમડેસિવિર કોરોના સંક્રમણમાં 28 દિવસમાં મૃત્યુ થવા કે રિકવર હોવાના દર પર કોઈ વ્યાપક પ્રભાવ પાડતું નથી.
રેમડેસિવિર પર WHOનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં કોરોનાની બીજી મોટી લહેર આવી છે. લોકો મોટી સંખ્યામાં કોવેક્સિન અને કોવીશિલ્ડના ડોઝ લઈ રહ્યા છે. રેમડેસિવિર ખરીદવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહે છે. દેશભરમાં આ દવાની અછત વચ્ચે સરકારે તેની આયાત પર પણ રોક લગાવી દીધી છે. એટલું જ નહીં તેના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચ માલને પણ દેશની બહાર નથી મોકલવામાં આવી રહ્યો. ડોક્ટર હોસ્પિટલમાં ભરતી દર્દીઓને રેમડેસિવિરના ઈન્જેક્શન લગાવવાની સલાહ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઈન્જેક્શનની ડિમાન્ડ વધી રહી છે.
રેમડેસિવિર છે શું ?
રેમડેસિવિર એ એન્ટીવાયરલ દવા છે. જેને ઈન્જેક્શન મારફતે આપવામાં આવે છે. 2009ની સાલમાં રેમડેસિવિરને મૂળ રૂપે હેપેટાઈટિસ સીના ઈલાજ માટે બનાવવામાં આવી હતી. જોકે એ દવા બીમારીને રોકવામાં નિષ્ફળ રહી. 2015માં તેનું નિર્માણ કરાવનારી કંપની ગિલિયડ સાઈસેઝે પરીક્ષણોના આધાર પર એવો દાવો કર્યો કે આ ડ્રગ આફ્રિકામાં તબાહી મચાવનારા ઈબોલા વાયરસને બ્લોક કરવામાં સફળ રહ્યું છે. બાદમાં એ સાબિત થયું કે આ ડ્રગ અન્ય પ્રકારના વિષાણુઓને ફેલતા રોકવામાં પણ સક્ષમ સાબિત થયું છે. જેમાં કોરોનાવિરિડાઈ વાયરસ પરિવારના અન્ય વાઈરસ એટલે કે કોરોનાનો પણ સમાવેશ થાય છે.
2020ની સાલમાં જ્યારે કોરોના વાઈરસ સાર્સ-સીઓવી-2એ ફેલાવની શરૂઆત કરી ત્યારે કોઈને તેના ઈલાજની ખબર નહોતી. ડોક્ટર અને વૈજ્ઞાનિકોએ ઉપલબ્ધ દવાઓ અને વેક્સિનોનો પ્રયોગના રૂપમાં ઉપયોગ કર્યો. આ સંશોધનમાં પ્રથમ ચર્ચિત દવા રેમડેસિવિર જ હતી. જોકે દવાઓને લઈ એવા અભ્યાસ પણ આવ્યા હતા કે જેમાં તેને કોરોનાના દર્દીઓ માટે ન માત્ર અસરહીન બતાવવામાં આવી પણ અસુરક્ષિત અને ખતરનાક પણ બતાવવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત