Homeગામનાં ચોરેજાનવરોની તસ્કરીનો આરોપ લગાવી ભીડે બે યુવકોને ઢોર માર માર્યો

જાનવરોની તસ્કરીનો આરોપ લગાવી ભીડે બે યુવકોને ઢોર માર માર્યો

Team Chabuk-National Desk: કર્ણાટકના દક્ષિણ કન્નડા જિલ્લાના બેલ્થાંગડી તાલુકામાં પશુ તસ્કરીની શંકાના આધારે બેકાબૂ ભીડે બે લોકો પર હુમલો કરી દીધો. બેલ્થાંગડીના મેલન્થાબેટ્ટુ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં પીડિતોની ઓળખ અબ્દુલ રહેમાન અને મોહમ્મદ મુસ્તફાના રૂપે થઈ છે. આ બંને એ જ તાલુકામાં રહે છે. ઈજાગ્રસ્ત થયેલા પીડિતોને બાદમાં મેંગ્લોરની એક સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનામાં છ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓના નામ સાબુ, રાજેશ ભટ્ટ, ગુરૂપ્રસાદ, લોકેશ અને ચિદાનંદ છે.

ગુરૂવારે એક એપ્રિલની સાંજે ચર્ચ રોડના એક ગેરેજમાં વાહનને ઠીક કર્યા પછી અબ્દુલ અને મોહમ્મદ પિકઅપ ટ્રકથી ઘરે પરત ફરી રહ્યા હતા. રાતના 10-45ની આસપાસ મેલન્થાબુટ્ટે ગ્રામ પંચાયત કાર્યાલયમાં પહોંચ્યા, તો બે લોકો બાઈક પર આવ્યા અને તેમને રોકી લીધા. જલ્દી જ કેટલાક લોકો એક ઓમની કારમાં પહોંચ્યા અને બંને પર ખોટી રીતે ગૌમાંસની તસ્કરી કરવાનો આરોપ લગાવવા લાગ્યા. બેઉં સમજાવવાનો પ્રયત્ન કરે એ પહેલા જ લાકડી અને દંડાથી જીવલેણ હુમલો કર્યો. જેમાં બંને પીડિતોને ભારે ઈજા પહોંચી છે.

જિલ્લાના એસપી બીએમ લક્ષ્મી પ્રસાદનું કહેવું છે કે, આ સમયે ત્યાં 25 લોકો હાજર હતા. પણ મોટાભાગના લોકો મારપીટના કારણે થયેલા ઉહાપોહને જોવા માટે એકઠા થયા હતા. અમારું માનવું છે કે હુમલો કરનારા દસ જ લોકો છે. તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પીડિત મુસ્તફાએ કહ્યું કે, અમને બાઈક પર સવાર બે લોકોએ રોક્યા અને પૂછ્યું કે શું અમે ગાય લઈ જઈ રહ્યા છીએ. એટલામાં કારમાંથી કેટલાક અન્ય લોકો પણ ઉતર્યા અને લાકડી-દંડા દ્વારા ફટકારવા લાગ્યા. ફરિયાદકર્તાના જણાવ્યા અનુસાર વાહનની તપાસ કર્યા વિના જ બેઉંને મારવામાં આવ્યા છે.

હાલ કાર્યવાહી સબબ પોલીસે રાજેશ ભટ્ટની ધરપકડ કરી છે. 2020ની ગ્રામ પંચાયતની ચૂંટણીનો તે ઉમેદવાર રહી ચૂક્યો છે. પોલીસે રાજેશના ભાઈ રાકેશની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે રાજેશની સાથે જોડાયેલા લોકોએ જ વાહનને આંતર્યું હતું અને બંને લોકો સાથે મારપીટ કરી હતી. સ્થાનિક અખબારો અને મીડિયાના અનુસાર પોલીસ અન્ય ત્રણ લોકોની તપાસ કરી રહી છે જે બજરંગ દળના સભ્ય છે. જોકે પોલીસે એ પણ કહ્યું કે, હુમલો કરનારા તમામ લોકો બજરંગ દળના નથી. બેલ્થાંગડી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

ડિસેમ્બર 2020માં કર્ણાટકમાં ગોહત્યા પર પ્રતિબંધ લગાવવા સંબંધિત કાયદો બનાવવામાં આવ્યો હતો. જેનું નામ છે, કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ બિલ 2020. એ પછી રાજ્યમાં ગાય, વાછરડા, ભેંસ અને પાડાના વધ પર કાયદાકિય રીતે રોક લગાવી દેવામાં આવી હતી. કાયદાનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો વધુમાં વધુ સાત વર્ષની સજા અને 5 લાખ રૂપિયા જુર્માનો ભરવાનો નિયમ રાખવામાં આવ્યો. આરોપી વિરૂદ્ધ ઝડપથી કાર્યવાહી થાય આ માટેનો પણ ફાસ્ટકોર્ટનો નિયમ બનાવવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments