Homeગામનાં ચોરેસુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસઃ કેનેડા જાય તે પહેલાં જ ઝડપાયા આરોપી,...

સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસઃ કેનેડા જાય તે પહેલાં જ ઝડપાયા આરોપી, 4 દિવસમાં ફર્યા 4 રાજ્યો

Team Chabuk-National Desk: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનારા આરોપીને પોલીસે ઝડપી લીધા છે. શનિવારે ચંદીગઢમાં બે આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ બંનેને ભાગવામાં મદદ કરનારો ઉધમ સિંહ પણ તેમની સાથે હતો. ધરપકડથી બચવા માટે રોહિત રાઠોડ અને નીતિન ફૌજીએ 4 દિવસમાં 4 રાજ્યોનો પ્રવાસ કર્યો હતો.

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (ક્રાઈમ) રવિન્દ્ર યાદવે જણાવ્યું કે, 5 ડિસેમ્બરે જયપુરમાં ગોગામેડીના ઘરે હત્યા બાદ અધિકારીઓએ શૂટરો પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. જયપુરથી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી ટેક્સીમાં ડિડવાના ભાગી ગયા હતા અને ત્યાંથી તેઓ બસ મારફતે દિલ્હી ગયા હતા.

આ બંને આરોપીઓ હરિયાણાના ધરુહેરા ખાતે ઉતર્યા અને ઓટોરિક્ષા લઈને રેવાડી રેલવે સ્ટેશન ગયા હતા, જ્યાંથી તેઓ હિસાર માટે ટ્રેનમાં ચડ્યા હતા. નીતિન ફૌજી અને રોહિત રાઠોડ 6 ડિસેમ્બરના રોજ હિસાર રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. ત્યારબાદ બંને ઉધમ સિંહને મળ્યા હતા.

પોલીસનો દાવો છે કે, નીતિન ફૌજીએ ચાર વર્ષ પહેલા આ જ સેન્ટરમાં ભારતીય સેના માટે ટ્રેનિંગ લીધી હતી. આ સમયે તે ઉધમ સિંહ સાથે પરિચયમાં આવ્યો હતો. ઉધમ સિંહની મદદથી બંને શૂટરોએ હિમાચલ પ્રદેશમાં મનાલી જવા માટે ટેક્સી ભાડે કરી હતી. જ્યાં તેઓ એક-બે દિવસ રોકાયા અને બાદમાં 9 ડિસેમ્બરે ચંદીગઢ પરત ફર્યા. ચંદીગઢની હોટેલ કમલ પેલેસમાં રૂમ બુક કરવા માટે ત્રણેય દેવેન્દર, જયવીર અને સુખબીરના નામના નકલી આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને રાજસ્થાન પોલીસની એક ટીમ હોટલ પર પહોંચી હતી અને શનિવારે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસ રોહિત અને ઉધમને દિલ્હી લાવી હતી, જ્યારે નીતિન ફૌજી રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં રહ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે રોહિત અને ઉધમને પણ જયપુર લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણેય ચંદીગઢથી ગોવા અને આગળ દક્ષિણ ભારતમાં જવાનું પણ આયોજન કર્યું હતું.

પોલીસ પૂછપરછ દરમિયાન નીતિન ફૌજીએ કબૂલાત કરી હતીસુખદેવ સિંહ ગોગામેડીની હત્યા રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને આર્મ્સ ડીલર રોહિત ગોદારા અને તેના નજીકના સાથી વીરેન્દ્ર ચારણની સૂચના પર કરી છે. તેઓએ વાયદો કર્યો હતો કે, જો તે ગોગામેડીની હત્યામાં મદદ કરશે, તો તેઓ તેના માટે નકલી પાસપોર્ટ અને કેનેડાના વિઝાની વ્યવસ્થા કરશે.

રાઠોડ અને ફૌજી દેશ છોડીને ભાગી જવાની યોજના બનાવી હતી. ગોગામેડીને મારવા માટે બંનેને કથિત રીતે 50,000 રૂપિયાની સોપારી આપવામાં આવી હોવાનો પણ દાવો છે. એટલું જ નહીં પાસપોર્ટ અને વિઝા ન મળે ત્યાં સુધી ભૂગર્ભમાં રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું. જો કે, તે દેશ છોડીને જાય તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધા છે. આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

Sukhdev Singh Gogamedi murder case

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments