Team Chabuk-National Desk :ખેડૂત આંદોલનમાંથી પકડાયેલા શંકાસ્પદ યુવકે પલટી મારી છે. યુવક મીડિયાને આપેલા પોતાના નિવેદનમાંથી ફરી ગયો છે. હવે તે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યો છે. યુવકે પોલીસ સમક્ષ દાવો કરી રહ્યો છે કે તે નિર્દોષ છે અને ખેડૂતોના દબાણના કારણે તેણે ખેડૂતોને મારવાનું નિવેદન આપ્યું હતું. યુવકે પોલીસને કહ્યું છે કે, મારી પાસે કોઈ હથિયાર નથી. સાથે જ એવો પણ દાવો કર્યો કે, મને કોઈ પોલીસકર્મીએ કામ સોંપ્યું નથી.
યુવકના આરોપ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવક હરિયાણાના સોનીપતનો છે. તેનું નામ યોગેશ હોવાનું તે કહી રહ્યો છે. યુવકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે તેની સાથે મારપીટ થઈ છે. તે આરોપ લગાવી રહ્યો છે કે તેની સાથે મારપીટ કરીને તેની પાસે મીડિયા સમક્ષ ખોટા નિવેદનો અપાવવામાં આવ્યા હતા. યુવકે કહ્યું કે, તેના મામાના ઘરે પુત્રનો જન્મ થયો હતો જેથી તે ત્યાં ગયો હતો અને પરત ફરતી વખતે ખેડૂતોએ તેને પકડ્યો હતો. ત્યારબાદ માર માર્યો હતો. હવે આ મામલે CIA વધુ તપાસ શરૂ કરી છે.
SHO પ્રદીપ નહીં વિવેક મલિક છે !
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, રાઈ પોલીસ સ્ટેશનમાં SHO પ્રદીપ નહીં પરંતુ વિવેક મલિક છે. જેથી તેના નિવેદન પર શંકા ગઈ હતી. હાલ યુવકને CIAને સોંપી દેવાયો છે. CIAની ટીમ સતત તેની પૂછપરછ કરી રહી છે. ખરાઈ કરવા માટે યુવકને તેના મામાના ઘરે પણ લઈ જવાયો છે.
યુવકે મીડિયા સમક્ષ શું કહ્યું હતું ?
આ શખ્સે એવી પણ કબૂલાત કરી હતી કે, એક પોલીસકર્મી જ આ બધું આયોજન કરી રહ્યો છે. શખ્સે કબૂલ્યું હતું કે, જે અમને લોકોને શીખવે છે તેનું નામ પ્રદીપ સિંહ છે. રાઈ પોલીસ સ્ટેશનનો એ SHO છે. તે જ્યારે પણ અમને મળવા આવે છે ત્યારે તેનું મોઢું ઢાંકેલું હોય છે. અમે તેનો બેચ જોયો હતો. જે લોકોને મારવાના હતા તેમનું નામ ખબર નથી. તેમના ફોટો જ છે.
ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે, તેમના આંદોલન અને 26 તારીખે યોજાનારી ટ્રેક્ટર રેલીને સતત કમજોર કરવાની કોશિશ થઈ રહી છે. રેકી કરી રહેલાં આ શખ્સને ખેડૂતોએ ઝડપી લીધો હતો. સમગ્ર મામલો ઉજાગર કરવા માટે તેને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો ત્યારબાદ આ શખ્સને પોલીસને સોંપી દીધો હતો.
મનોહરલાલ ખટ્ટરે શું કહ્યું ?
આ અંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે, હજુ યુવકની પૂછપરછ થઈ રહી છે. તપાસ પુરી ન થાય ત્યાં સુધી કંઈ પણ કહીં ન શકાય. અમે ગણતંત્ર દિવસે થનારા કાર્યક્રમો માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
બીજી તરફ ખેડૂતો આંદોલન માટે મક્કમ છે. સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો લાકડી સાથે પહોંચી રહ્યા છે. ખેડૂતો લાકડીઓમાં કિસાન મજૂર એકતાં મંચનો ઝંડો લગાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, 26 જાન્યુઆરીએ તેમને ટ્રેક્ટર પરેડ કરતાં રોકવામાં માટે પોલીસે લાકડીઓ વરસાવી તો પણ અમે પાછળ નથી હટવાના. ખેડૂતોનું કહેવું છે કે, પંજાબના દરેક ગામમાંથી ઓછામાં ઓછા 30થી 50 લોકો લાકડીઓ લઈને આવી રહ્યા છે.
સિંઘુ બોર્ડર પર ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટરના સેંકડો કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે. તેમણે પણ ખેડૂતોનો સાથ આપવાની જાહેરાત કરી હતી. UIUTUCના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, હવે અમે નિર્ણાયક લડાઈ નજીક પહોંચી ગયા છે. 26 જાન્યુઆરીએ તેઓ સેંકડો ટ્રેક્ટર સાથે પરેડમાં જોડાશે. જ્યારે યુનાઇટેડ કિસાન મોરચાએ કહ્યું કે, ખેડૂતોની લડાઈ લાંબી છે. હવે, તેમનું લક્ષ્ય માત્ર MSP અંગે કાયદો બનાવડાવવાનું જ નથી પરંતું હવે નવા પંજાબ અને નવા ભારતના નિર્માણ બાદ જ દિલ્હીથી પરત ફરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત