Homeગામનાં ચોરેનુકસાન કરતો મેહુલિયો: દસ વર્ષ પહેલા જે વરસાદ ત્રણ દિવસમાં થતો હતો...

નુકસાન કરતો મેહુલિયો: દસ વર્ષ પહેલા જે વરસાદ ત્રણ દિવસમાં થતો હતો હવે તે ત્રણ કલાકમાં થઈ જાય છે

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના કેટલાક વિસ્તારો ભીંજાયા છે અને કેટલાક વિસ્તારો કોરાકટ રહ્યા છે. કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરવામાં આવી તો કેટલીક જગ્યાઓ છે, જ્યાં જોઈએ તેટલી વર્ષા નથી પડી. આ સુખ દુખની વચ્ચે ચોમાસાના ચાર મહિનામાંથી બે મહિનાનું સરવૈયુ સામે આવી ગયું છે. ચોમાસાનાં જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના, જેમાંથી 50 ટકા પૂરાં થઈ ચૂક્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા અનુમાન કરતા એક ટકા વરસાદ ઓછો પડ્યો છે. હવામાનશાસ્ત્રીઓ દ્વારા અનુમાન 452.2 મિમીનું હતું અને વરસાદ 449 મિમી જ પડ્યો છે. અનુમાન જો પાંચ ટકાથી ઓછાવત્તા હોય તો તેને સામાન્ય વરસાદની શ્રેણીમાં રાખવામાં આવે છે.

રાજ્યવાર અલગ અલગ આંકડાઓ જોવામાં આવે તો 18 રાજ્યોમાં સામાન્ય, 13 રાજ્યોમાં ઓછો અને 6માં અનુમાન કરતા અધિકતર મેહુલિયો વરસ્યો છે. આ પ્રકારની સ્થિતિનો સમાવેશ એક્સ્ટ્રિમ વેધર કન્ડિશનમાં કરવામાં આવે છે જ્યાં દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વર્ષા પડી છે તો કેટલાક વિસ્તારો હજુ વરસાદ માટે વલખા મારી રહ્યા છે. ભારતમાં રાજ્યવાર કેટલો વરસાદ પડ્યો તે નીચેના કોષ્ટક પરથી જાણી શકશો.

રાજ્યવધારે વરસાદ
હરિયાણા51%
દિલ્હી51%
મહારાષ્ટ્ર24%
બિહાર19%
રાજ્યઓછો વરસાદ
ચંદીગઢ35%
ગુજરાત34%
અસમ21%
રાજસ્થાન10%

સ્કાઈમેટના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે જણાવ્યું હતું કે, છેલ્લા વીસ વર્ષોના ચોમાસાના ટ્રેન્ડમાં મંથર ગતિએ પરિવર્તન આવી રહ્યું છે. કુલ ચાર મહિનામાંથી એક મહિનો એવો નીકળી રહ્યો છે કે જ્યાં સિત્તેર ટકાથી વધારે વરસાદ પડી રહ્યો છે. બાકીના ત્રણ મહિનામાં ત્રીસ ટકા વરસાદ પડી રહ્યો છે. જેમાં વરસાદની કુલ માત્રામાં કોઈ પણ જાતનો ફર્ક નથી પડી રહ્યો. જોકે ભારે વરસાદના દિવસો વધી ગયા હતા, જેમાં 65 મિલીમીટરથી વધારે વરસાદ પડે છે.

હવામાન વિભાગ દ્વારા 1989-2018ના ચોમાસાનો એક અભ્યાસ પ્રગટ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ રાજસ્થાન, છત્તીસગઢ, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં માત્ર એક મહિનાની અંદર અંદર સિત્તેર ટકા વરસાદ પડી ગયો છે. આ અંગે સ્કાઈમેટના મહેશ પહલાવત કહે છે કે, આટલા વરસાદથી ખેડૂતોને નુકસાન છે. પૂર આવવાનું જોખમ રહે છે અને ધરતીના નીચેના જળસ્તરથી થનાર ફાયદો પણ નથી પહોંચતો. દસ વર્ષ પહેલા જે વરસાદ ત્રણ દિવસમાં થતો હતો હવે તે ત્રણ કલાકમાં થઈ જાય છે. પહેલા ચાર મહિનાઓ સુધી ઝરમર વરસાદ પડતો હતો. પાણી ધીમે ધીમે જમીનની અંદર પ્રવેશ કરતું હતું. જોકે હવે ભારે વરસાદના કારણે પાણી વહીને નદીઓની અંદર ચાલ્યું જાય છે. જમીનમાં નથી ઉતરતું.

હવામાન વિભાગના અધિકારી જીડી મિશ્રા જણાવે છે કે, 1915થી 2015 દરમ્યાન હિંદ મહાસાગરની અંદર સમુદ્રની સપાટીનું તાપમાન આશરે 1 ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે. આ રીતે જ ભારત પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા અનુસાર 1901થી 2018ની વચ્ચે ભારતમાં રહેલા હવામાનના તાપમાન 0.7 ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે. તાપમાનમાં વૃદ્ધિ થવાના કારણે હવામાં વધારે પડતો ભેજ રહે છે. જેથી આભ ફાટવાની ઘટનાઓ નિર્માણ પામે છે. ચક્રવાત અને તોફાનોની સંખ્યામાં વધારો થઈ જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments