Homeતાપણુંમિત્રો... રાજકારણીઓ પર વિશ્વાસ ન કરાય તેનું ઉદાહરણ નીતિશ કુમારે આપી દીધું

મિત્રો… રાજકારણીઓ પર વિશ્વાસ ન કરાય તેનું ઉદાહરણ નીતિશ કુમારે આપી દીધું

રાજનીતિ અને રાજકારણીઓને લઈને શ્રીમાન બોબ ગેડોલ્ફનું એક વિધાન છે, ‘You can’t trust politicians. It doesn’t matter who makes a political speech. It’s all lies – and it applies to any rock star who wants to make a political speech as well.’

જો બાઈડન 77 વર્ષે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતતાની સાથે જ સૌથી વધુ ઉંમરે રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો. રાજકારણમાં નિવૃતિ જેવું કંઈ હોતું નથી. જ્યાં સુધી તમારો સિક્કો ચાલે ત્યાં સુધી ચૂંટણી લડ્યા રાખો. ઘણા રાજકારણીઓ સ્વેચ્છિક નિવૃતિ પણ લઈ લેતાં હોય છે, પરંતુ આવા નેતાઓ ઘણા ઓછા હોય. નીતિશ કુમારે બિહારની ચૂંટણીના પ્રચારના ત્રીજા તબક્કામાં નિવૃતિની વાત કરી પરંતુ જેવી સત્તા મળી કે નીતિશ બાબુએ પલટી મારી.

રાજકારણમાં સત્તા અને પદનો મોહ હંમેશાં નેતાઓને રહેતો હોય છે. નીતિશ કુમારને પણ સત્તાનો મોહ હોય એમાં કોઈ નવી વાત નથી. જ્યારે તેઓ બિહારની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે નીતિશ કુમારનો ઘણો વિરોધ થયો. ડુંગળીઓ પણ ફેંકવામાં આવી. મુખ્યમંત્રી પર ડુંગળી ફેંકાય તે ઘણી નિંદનીય બાબત કહેવાય. જનતાનો વિરોધ જોતા નીતિશ કુમારને લાગ્યું હશે કે જનતાના દિલ જીતવા કંઈક તો કહેવું પડશે. અને નીતિશ કુમાર અંતિમ તબક્કાના પ્રચારમાં પૂર્ણિયામાં સભામાં સંબોધન કરતા બોલ્યા કે “આ મારી અંતિમ ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા.”

આને કહેવાય લાગણીનો મધપૂડો છેડ્યો. નીતિશ કુમાર પૂર્ણિયાની સભામાં સંબોધન કરતાં શું બોલ્યા એ શબ્દશઃ અહીંયા લખી રહ્યા છીએ. “ઔર જાન લીજીએ, આજ ચુનાવ કા આખરી દિન હૈ, ઔર પરસો ચુનાવ હૈ, ઔર યે મેરા અંતિમ ચુનાવ હૈ, અંત ભલા તો સબ ભલા.”

નીતિશ કુમારના આ નિવેદન બાદ રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ, અસસુદ્દીન ઓવૈસી અને તેજસ્વી યાદવ પણ રાજી થયા કે અમે તો કહેતા જ હતાં કે નીતિશ કુમારની આ છેલ્લી ચૂંટણી છે. જો કે તેઓ વિરોધીઓના પ્રતિપ્રેક્ષ્યમાં કહેતા હતા. આ બન્નેની વાતને ગંભીરતાથી લઈ લીધી હોય તેમ નીતિશ કુમારે જાહેર સભામાં કહી દીધું કે આ મારી અંતિમ ચૂંટણી છે. એટલે કે આગામી ચૂંટણી હું નહીં લડું. તેમના કહેવાનો અર્થ સાફ દેખાતો હતો કે તેઓ પ્રજાની સહાનુભુતિ મેળવવા ઈચ્છે છે.

જે પ્રકારે વિરોધ થતો હતો તેને ખાળવા નીતિશે આ નિવેદન આપીને માસ્ટરસ્ટ્રોક માર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરિણામો પણ એક્ઝિટ પોલથી વિપરિત આવ્યા. બિહારની જનતાએ નીતિશ કુમારના આ નિવેદન પર સરકંદ બુખારા ઓવારી જઈને છેલ્લો ચાન્સ આપ્યો હોય એમ પરિણામ નીતિશ કુમારના પક્ષમાં આવ્યું.

જેવી જીત થઈ એવા નીતિશ કુમારે રંગ બદલી નાખ્યા અને કહ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી છે એવું હું બોલ્યો જ નથી. લો બોલો હવે પ્રજાએ શું સમજવું !

ચૂંટણી જીત્યા બાદ 12 નવેમ્બરે નીતિશ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી, પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ અંતિમ ચૂંટણી અંગે પૂછ્યું તો નીતિશ કુમાર ફરી ગયા અને કહ્યું કે, “મારા નિવેદનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. તમે બરાબર સાંભળ્યું નથી. હું તો દરેક વખતે ચૂંટણી પ્રચારમાં બોલું છું કે અંત ભલા તો સબ ભલા.”

અંતિમ ચૂંટણીનું નિવેદન આપીને જનતાની સહાનુભુતિ મેળવીને મત એકઠાં કરવા નીતિશ કુમારે આ નિવેદન આપ્યું હોય શકે, પરંતુ હવે સત્તા મળી જતા તું કોણ અને હું કોણની જેમ અજાણ્યા બનીને નીતિશે કહી દીધું કે હું આવું કંઈ બોલ્યો નથી. જો કે નીતિશ કુમાર ખોટા છે એ સૌ જાણે છે. પૂર્ણિયાની સભામાં આપેલું એ નિવેદન મીડિયામાં જગજાહેર છે. તેના પર ચર્ચાઓ પણ થઈ છે.

મહત્વનું છે કે બિહારની વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ અને ભાજપે એક સાથે મળીને ચૂંટણી લડી હતી. મુખ્યમંત્રીનો ચહેરો પણ નીતિશ કુમાર જ હતા.

નીતિશ કુમારની જેડીયુને 43 બેઠક મળી છે જ્યારે ભાજપને 74 સીટ મળી છે. જેડીયુથી ભાજપને વધુ સીટ મળતાં બિહાર ભાજપના નેતાઓમાં પણ મુખ્યમંત્રી ભાજપમાંથી બને તેવી માંગ છાના ખુણે ઉઠી રહી છે. જો કે નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયું છે. પાંચ વર્ષ પછી આગામી ચૂંટણી પણ નીતિશ કુમાર લડશે તે પણ નક્કી થઈ ગયું છે. નીતિશની વાનર ગુંલાટ પર અમેરિકાના બિઝનેસમેન ફિલ રોબર્ટસનનું વિધાન જોઈ લઈએ. એમણે કહ્યું છે કે, ‘તમે મારી પસંદગી કરો. હું વ્હાઈટ હાઉસમાં જાઉં તો હું એવો નહીં રહીશ જેવો તમે મને ધારતા હતા. મારામાં ઘણું પરિવર્તન આવી ગયું હશે. ’ 

ભાજપે એક પોલિસી ઘડી કાઢી છે કે 75 વર્ષની ઉંમરે પહોંચેલા નેતાઓએ સ્વેચ્છિક નિવૃતિ ઘોષિત કરી દેવી. જોકે નીતિશ થોડા બીજેપીમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments