Homeવિશેષઆજે વિશ્વ ઓઝોન દિવસઃ જાણો સૂર્યનાં પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર...

આજે વિશ્વ ઓઝોન દિવસઃ જાણો સૂર્યનાં પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે

Team Chabuk-Special Desk : પૃથ્વીનાં વાતાવરણના બહારનાં પડમાં ઓઝોન (ozone) વાયુનું એક લેયર (સ્તર) આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર સૂર્યનાં ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે. એસી, ફ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, અમુક રાસાયણિક સ્પ્રે વગેરેમાંથી ઉદભવતા ક્લોરોફ્લોરો કાર્બન જેવાં હાનિકારક વાયુઓને કારણે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે, આ પડ પાતળું થઇ રહ્યું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા વિશ્વના વિવિધ દેશો દ્વારા સામૂહિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ભારત પણ આ જાગૃતિલક્ષી ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. આપણે ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછાં કરી નાખ્યા છે.

ઓઝોનનાં આવરણનું મહત્વ:

સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી રક્ષણ કરતાં પૃથ્વીની આસપાસનાં ઓઝોનનાં પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.

ozone day

આ દિવસની ઉજવણીનો હેતુ શું છે?

આ દિવસની ઉજવણીનો હેતુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોનો ઉપયોગ અને ઉત્પાદન ઘટાડવાનો છે. પ્લાસ્ટિકના ડબ્બા, કન્ટેનર, ક્લોરોફ્લોરો કાર્બન ધરાવતા સ્પ્રેનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણે ઇકો ફ્રેન્ડલી ચીજોનો વધુ ઉપયોગ કરવો જોઈએ. રબર, ટાયર, પ્લાસ્ટિકના વધુ પડતા ધુમાડાના કારણે ઓઝોન સ્તરને ખૂબ નુકસાન થાય છે.

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી

વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 1995માં તેની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઓઝોન સ્તરને બચાવવાની જરૂરિયાતની વૈશ્વિક જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરી હતી. આપણી આવનારી જનરેશન અનુકૂળ વાતાવરણમાં ટકી રહે તે માટે જૈવ-વૈવિધ્યનું રક્ષણ અને જાળવણી કરવી જરૂરી છે.

આ દિવસે ઓઝોન સ્તરને કેવી રીતે બચાવી શકાય તે અંગે જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણી આવનારી પેઢી માટે ઓઝોનને સુરક્ષિત રાખવું એ આપણી નૈતિક જવાબદારી છે.

ત્યારે ચાલો આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે, હાનિકારક પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો)નું શોષણ કરીને આપણા સૌનું રક્ષણ કરતાં ઓઝોન સ્તરને બચાવીશું અને તેનાં રક્ષણ માટે કટીબધ્ધ થઈશું. આપણે પર્યાવરણલક્ષી અને ઓઝોન ફ્રેન્ડલી સાધનો વસાવીને ઓઝોન લેયરનાં ઘસારાનાં ઘટાડામાં ફાળો આપી શકીએ છીએ.

તાજેતાજે ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments