Homeગામનાં ચોરેઆંદોલનકારીઓમાં તિરાડ, બે સંગઠનોએ આંદોલનને કહ્યું બાય બાય

આંદોલનકારીઓમાં તિરાડ, બે સંગઠનોએ આંદોલનને કહ્યું બાય બાય

ગોવા બાપાઃ ગઈકાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન મચેલી અફરાતફરી તો તે જોઈ હશે ચાબુક. લાલ કિલ્લા પર અમુક તોફાની તત્વોએ ખાલી પોલ પર પોતાનો ધ્વજ ફરકાવી દીધો અને દેશભરમાં ઉહાપોહ મચી ગયો. ઘણી જગ્યાએ તોડફોડ પણ થઈ. ટ્રેક્ટર ચાલકોએ બેરિકેડ પણ તોડી નાખ્યા. પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી. દિલ્હીમાં ગઈકાલે થયેલી હિંસા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોમાં ભાગલા પડવા લાગ્યા છે. બે ખેડૂત સંગઠનોએ તો પોતાનું આંદોલન પૂર્ણ કરી દીધું છે અને હવે બિસ્તરા પોટલા લઈને ઘરે જવાનું નક્કી કરી લીધું છે.

કયા બે સંગઠનોએ આંદોલનમાંથી ખસી જવાનું નક્કી કર્યું ગોવા બાપા ?

ચાબુક જે બન્ને સંગઠનોએ આંદોલનમાંથી ખસી જવાની જાહેરાત કરી છે તેમાં પ્રથમ છે રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘ. કિસાન નેતા વીએમ સિંહે જાહેરાત કરી કે તેમનું સંગઠન એટલે કે રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘ આ આંદોલન અહીં જ પૂર્ણ કરે છે. હવે તેઓનું સંગઠન આંદોલનનો ભાગ નહીં હોય. વીએમ સિંહે તો ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકેત પર પણ આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે અહીં આંદોલનને સમર્થન કરતાં રહ્યા અને બીજી તરફ કોઈ નેતા બનવામાં લાગ્યા હતા.

રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘ બાદ નોઈડાની ચિલ્લા બોર્ડર પર આંદોલન કરી રહેલા ભારતીય કિસાન યુનિયન (ભાનુ)એ પણ આંદોલન પૂર્ણ કરી દીધું છે. ખેડૂતોએ કહ્યું કે ગઈકાલે દિલ્હીમાં થયેલી હિંસાથી અમે ચિંતિત છીએ. આંદોલનકારીઓએ આંદોલન પૂર્ણ કરી દેતા પોલીસે ચિલ્લા બોર્ડર પર લાગેલી બેરિકેડ પણ હટાવી દીધી છે અને રસ્તા ખુલ્લો કરી નાખ્યો છે.

પ્રદર્શનની સામે ષડયંત્ર રચાયું

ગઈકાલે દિલ્હીમાં થયેલી હિંસાત્મક ઘટના બાદ આજે તાત્કાલિક આંદોલન કરી રહેલા કિસાન સંગઠનોએ બલબીર સિંહ રાજેવાલની આગેવાનીમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ અને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે કેન્દ્ર સરકાર આંદોલનથી હલી ગઈ છે. તેથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આંદોલન સામે ખરાબ ષડયંત્ર રચવામાં આવ્યું. કિસાન સંગઠનોના કહેવા પ્રમાણે, ‘આ ષડયંત્ર હેઠળ બીજા ખેડૂત સંગઠનો અને અન્ય વ્યક્તિઓએ જાહેરાત કરી કે તેઓ રિંગ રોડ પર રેલી કાઢશે અને લાલ કિલ્લા પર ઝંડો લહેરાવશે. આ સંગઠનોએ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ નક્કી કરેલા સમય કરતાં બે કલાક વહેલા રેલી શરૂ કરી દીધી હતી. જે એક ષડયંત્રનો ભાગ હતું.’

અભયસિંહ ચૌટાલાનું રાજીનામું

ચાબુક એક તરફ બે મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં તિરાડો પડતી દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ આંદોલનના સમર્થનમાં હરિયાણાના એલનાબાદના ધારાસભ્ય અને ઈન્ડિયન નેશનલ લોકદળના મુખ્ય મહાસચિવ અભય સિંહ ચૌટાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે કૃષિ કાયદાના વિરોધમાં પોતાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સિનેમા પ્રેમીઓ માટે સારા સમાચાર

ચાબુક આ કોરોનાએ તો ભલ ભલાની કમર ભાંગી નાખી છે હો. સંધુય ચાલુ થયું પરંતુ સિનેમા ઘરોવાળાવ હજુ હવા ખાય છે. ફિલ્મો પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. જો કે ચાબુક હવે લાગે છે કે સિનેમા વાળાના પણ અચ્છે દિન આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે કોરોનાને લગતી નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં સરકારે કહ્યું કે, સિનેમા ઘર અને થીએટર વધારે બેઠક વ્યવસ્થા સાથે ખોલી શકાશે. પહેલા સરકારે 50 ટકા બેઠકની ક્ષમતા સાથે જ ખોલવા મંજૂરી આપેલી. આ ઉપરાંત હવે સ્વિમિંગ પુલમાં પણ કોઈપણ ધુબાકા મારી શકશે ચાબુક. આ સાથે જ સરકારે કન્ટેઈનમેન્ટ ઝોન બહાર તમામ પ્રકારની છૂટછાટ આપી છે. પરંતુ સામાજિક, ધાર્મિક કાર્યક્રમો પર જૂની ગાઈડલાઈન યથાવત રાખી છે. સરકારની આ નવી ગાઈડલાઈન 1 ફેબ્રારીથી 28 ફેબ્રુઆરી સુધી લાગુ પડશે. ત્યારબાદ સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે.

દાદા ફરી દાખલ

બીસીસીઆઈના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને આજે ફરીથી છાતીમાં દુઃખાવો થતાં દાખલ કરવા પડ્યા છે. હજુ તો 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા ત્યાં પાછી તબિયત બગડી અને પાછા અપોલો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. દાદા જલદી સાજા થાય તેવી પ્રાર્થના.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments