Team Chabuk-National Desk: દેશ માટે મેડલ જીતીને દેશને ગૌરવ પ્રદાન કરનાર કુસ્તીબાજો દ્વારા છેલ્લા સાત દિવસથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને ભાજપાના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કુસ્તીબાજોની અડગ માંગ બાદ અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સામે બે FIR નોંધી છે. કુસ્તીબાજો ફરિયાદ નોંધવાની માંગ સાથે દિલ્હીના જંતરમંતર પર ધરણા કરી રહ્યા છે. ત્યારે ફરિયાદ નોંધાઈ જતાં હવે કાર્યવાહી કેટલા સમયમાં થશે તે પણ ચિંતાનો વિષય છે. દિલ્હી પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે તે પણ કુસ્તીબાજોને સવાલ થઈ રહ્યો છે.
સમગ્ર મામલે આજે વહેલી સવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા સાથે આ મામલે ઘણી બધી વાતચીત કરી હતી. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બે ફરિયાદ દાખલ થઈ છે, જેની કોપી હજુ સુધી મળી નથી તેથી જાણી શકાયું નથી કે બ્રિજભૂષણ શરણ સિંહ સામે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જો ફરિયાદ દાખલ થઈ હોય તે દેખાડવી જોઈએ. આ વ્યક્તિ સામે ઘણા ગંભીર આરોપો લાગ્યા છે. જો આ વ્યક્તિ પદ પર રહેશે તો તપાસ પણ યોગ્ય નહીં થાય તેથી તેને પદ પરથી પહેલા રાજીનામું આપી દેવું જોઈએ.

આજે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કુસ્તીબાજોને મળવા જશે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ સામે નોંધાયેલી બે ફરિયાદમાંથી એક ફરિયાદ સગીર કુસ્તીબાજ દ્વારા નોંધાવવામાં આવી છે જેમાં બ્રિજભૂષણ સામે પોક્સો હેઠળ કેસ નોંધાયો છે. જ્યારે બીજી ફરિયાદ અન્ય 6 મહિલા કુસ્તીબાજો દ્વારા યૌન શોષણના આરોપમાં નોંધવવામાં આવી છે.
FIR દાખલ થયા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે શુક્રવારે મોડી રાત્રે કહ્યું હતું કે, ધરણાં પર બેઠેલાં રેસલર્સ મારા રાજીનામાંથી માની જશે, તો હું રાજીનામું આપી દઈશ. પરંતુ, એક ગુનેગાર બનીને નહીં. હવે તેઓ કહેશે કે તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેમના રાજીનામાથી શું થશે. જો આ ખેલાડીઓ વિરોધ ખતમ કરીને ઘરે પાછા જાય, પ્રેક્ટિસ શરૂ કરે, તો હું તેમને રાજીનામું મોકલી દઈશ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
