Homeતાપણુંઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત આપશે રાજીનામું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત આપશે રાજીનામું

Team Chabuk-Political Desk: ગત માર્ચ મહિનામાં ઉત્તરાખંડની કમાન સંભાળનાર મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે તીરથ સિંહ રાવતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો છે. એવી પણ ચર્ચા છે કે તીરથ સિંહ રાવત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. મહત્વનું છે કે તીરથ સિંહ રાવતના દિલ્હીના આટાંફેરા વધી ગયા છે.

તીરથ સિંહ રાવતે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘરે જઈને મુલાકાત કર્યા બાદથી જ ઉત્તરાખંડના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાવા લાગ્યા હતા. તીરથ સિંહ રાવત અને નડ્ડા વચ્ચે થોડા દિવસના અંતરમાં બે વખત મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે ઉત્તરાખંડમાં ફરીથી સત્તા પરિવર્તન થશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત હાલ દિલ્હીમાં છે. તેઓ દિલ્હી આવ્યા ત્યારે તેઓની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓ પરત દહેરાદૂન જવાના હતા પરંતુ અચાનક તેઓનો કાર્યક્રમ બદલાઈ ગયો અને દિલ્હીમાં જ રોકાઈ ગયા. ત્યારબાદથી ઉત્તરાખંડના રાજકારણમાં ઉથલપાથલ થવાના એંધાણ વર્તાવા લાગ્યા હતા.

મહત્વનું છે કે તીરથ સિંહ રાવત આ વર્ષે જ 10 માર્ચ 2021ના દિવસે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા હતા. માત્ર 115 દિવસની અંદર જ તેઓને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. તીરથ સિંહ રાવતના રાજીનામું આપવા પાછળનું કારણ બંધારણિય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ છ મહિનાની અંદર એટલે કે 10 સપ્ટેમ્બર સુધીમાં તેઓને ધારાસભ્ય બનવું પડે. ઉત્તરાખંડની બે બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે પરંતુ કોરોના મહામારીના કારણે હાલ ચૂંટણી પંચે પેટાચૂંટણી પર રોક લગાવી છે. તેથી ઉત્તરાખંડમાં પેટા ચૂંટણી ક્યારે થાય તે નક્કી નથી. જે.પી.નડ્ડા સાથે મુલાકાત બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે પેટા ચૂંટણી અંગેનો નિર્ણય ચૂંટણી પંચનો છે. ચૂંટણી પંચ જે નિર્ણય લેશે તે અમને માન્ય હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments