Team Chabuk-National Desk : કોરોના મહામારીની વચ્ચે 16મી જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનના અભિયાનની શરૂઆત થશે. આ વચ્ચે વેક્સિનની લિસ્ટમાં ગડબડ થઈ ગઈ છે. ભૂલ થઈ છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં. નાની ભૂલ નથી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા લાભાર્થીઓની લિસ્ટમાં મૃતક નર્સ, રિટાયર્ડ નર્સ અને ડોક્ટરનું નામ પણ સામેલ છે. 16 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના 852 સેન્ટરો પર કોવિડ-19ની વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં હેલ્થવર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ વચ્ચે લિસ્ટમાં જ ઉલટ ફૂલટ હોવાના કારણે હવે સ્વાસ્થ્ય વિભાગ અણીના સમયે ધંધે લાગી ગયું છે અને લિસ્ટ સુધારવાની કવાયત આદરી દીધી છે. આ ઘટનાને સ્વાસ્થ્ય મંત્રીએ પણ ગંભીરતાપૂર્વક લીધી છે અને તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે.
મૃતકો પણ સામેલ
વેક્સિનેશનના પ્રથમ લિસ્ટમાં જે લાભાર્થીઓ છે તેમાં સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી અને આવશ્યક સેવાઓથી જોડાયેલા કર્મચારી સાથે જ અધિકારીઓ પણ સામેલ છે. જોકે ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં વેક્સિન લગાવનારી લાભાર્થીઓની લિસ્ટમાં બેજવાબદારી સામે આવી ગઈ છે. અહીં લાભાર્થીઓની લિસ્ટમાં મૃતક નર્સ, રિટાયર્ડ નર્સ અને જેમની નોકરી પૂરી થઈ ગઈ છે તેવા ડોક્ટરોના નામ પણ આવતા હવે કોને ડોઝ આપવો અને કોણ બાકી છે તેની મુસીબતમાં સ્વાસ્થ્ય મંત્રાલય પડ્યું છે.
તપાસના આદેશ
એવામાં આ ઘટના અયોધ્યા પહોંચેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રતાપ સિંહના કાને પડતા તેમણે તાત્કાલિક ધોરણે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે એ પણ કહી દીધું છે કે જે પણ કર્મચારીઓના કારણે આ વિડંબણા ઊભી થઈ હોય તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
મંત્રીજીએ શું કહ્યું ?
ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રતાપ સિંહે ડોક્ટરોને લઈ મીડિયાને માહિતી આપી હતી અને કહ્યું કે, દેશમાં ડોક્ટરોની ભારે ઉણપ છે. સંખ્યા એકલા ડોક્ટરોની જ 8થી 10 હજાર જેટલી છે. જેના કારણે ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. જોકે એક હજાર ડોક્ટરોને ખડેપગે પણ રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, જે લોકો પૂર્વ તરફ ફરજ બજાવવા નિયુક્ત કરવામાં આવે છે એ જ રિલીવ લઈને પીજીની ટ્રેનિંગ કરી નિષ્ણાત બને છે પણ સરકાર તરફથી બનાવવામાં આવેલી નીતિના આધારે વિશેષજ્ઞ ચિકિત્સકોની ઉણપને પૂર્ણ કરવા માટે હવે સીધી જ લોકસેવા આયોગમાંથી ભરતી કરવાની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે.
ડોક્ટરોની સમસ્યા
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. જેમાં 8થી દસ હજાર જેટલા જ ડોક્ટરો હોવા એ ત્યાંની વસતિના આધારે તો ઓછા ગણવા રહ્યા. ઉપરથી ઘણા ડોક્ટરો ડોક્ટર તરીકેનો અભ્યાસ પૂર્ણ થયા પછી સીધા પ્રાઈવેટ દવાખાના ખોલી લેતા હોવાથી સરકારી ડોક્ટરોમાં ઘટ આવી ગઈ છે. તાલુકા અને અંતરિયાળ વિસ્તાર સુધી સ્વાસ્થ્યની સુવિધાઓ પહોંચતી નથી.
852 સેન્ટરો
ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરીથી દેશની સાથે ઉત્તર પ્રદેશના 852 સેન્ટરો પર કોવિડ-19ની વેક્સિનેશન પ્રક્રિયાનો આરંભ થશે. જેમાં હેલ્થ વર્કરોને ટીકા લગાવવામાં આવશે. ડ્રાઈ રનના બીજા તબક્કામાં 1500 સેન્ટરો પર વેક્સિનેશનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જોકે કોરોના વેક્સિન લગાવતા પહેલા જ અયોધ્યાના લાભાર્થીઓની લિસ્ટમાં લોચો થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત