ભગતસિંહ : આ સમય સુધી હું માત્ર રોમેન્ટીક અને આદર્શવાદી ક્રાંતિકારી હતો. અત્યાર સુધી અમે બીજાઓનું અનુકરણ કરતાં હતાં. હવે ખૂદના ખભા ઉપર જવાબદારીનું વહન કરવાનો વખત આવી ગયો હતો. આ મારા ક્રાંતિકારી જીવનનું નિર્ણાયક બિંદુ હતું. અધ્યયનો અવાજ મારા મનની ગલીઓમાં ગૂંજી રહ્યો હતો.
વિરોધીઓ દ્વારા રાખવામાં આવેલા તર્કોનો સામનો કરવા યોગ્ય બનવા માટે અધ્યયન કરો. પોતાના મતના પક્ષમાં તર્ક આપવા માટે, સક્ષમ થવા માટે વાંચો. મેં વાંચવાનું શરૂ કર્યું. તેનાથી મારા જૂના વિચારો અને વિશ્વાસ અદભુત રૂપથી પરિષ્કૃત થયા. રોમાન્સની જગ્યા ગંભીર વિચારોએ લઈ લીધી. ન વધારે રહસ્યવાદ અને ન વધારે અંધવિશ્વાસ. યથાર્થવાદ અમારો આધાર બન્યું.
મને વિશ્વક્રાન્તિના અનેક આદર્શો વિશે વાંચવાની તક મળી. મેં અરાજકતાવાદી નેતા બાકુનિનને વાંચ્યા, સામ્યવાદના પિતા માર્ક્સ, પણ વધારે તો લેનિન, ત્રાસ્તકી સહિતના લોકોને વાંચ્યા. જેઓ પોતાના દેશમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવ્યા હતા. આ બધા નાસ્તિક હતા. એ પછી મને નિરલમ્બ સ્વામીનું પુસ્તક ‘સહજ જ્ઞાન’ મળ્યું. જેમાં રહસ્યવાદી નાસ્તિકતા હતી.
1926નાં અન્ત સુધી મને એ વાત પર વિશ્વાસ થઈ ગયો કે એક સર્વશક્તિમાન પરમ આત્માની વાત, જેણે બ્રહ્માંડનું સર્જન, દિગ્દર્શન અને સંચાલન કર્યું, એ નિરર્થક વાત છે. મેં મારા આ અવિશ્વાસને પ્રદર્શિત કર્યો. મેં આ વિષય પર મારા મિત્રો સાથે ચર્ચા કરી. હું એક ઘોષિત નાસ્તિક થઈ ચૂક્યો હતો.
1927માં મારી લાહોરમાંથી ધરપકડ થઈ. રેલવે પોલીસના કેદખાનામાં મારે એક મહિનો પસાર કરવો પડ્યો. પોલીસ ઓફિસરોએ જણાવ્યું કે, હું લખનઉમાં હતો જ્યારે ત્યાં કાકોરી દળનો કેસ ચાલી રહ્યો હતો. મેં તેમને છોડાવવાની કોઈ યોજના પર વાત કરી હતી. તેમની સહમતિ પ્રાપ્ત થયા બાદ અમે કેટલાક બોમ્બ મેળવ્યા હતા. 1927માં દશેરાના અવસર પર એ બોમ્બમાંથી એક ભીડમાં પરીક્ષણ માટે ફોડવામાં આવ્યો હતો. જો હું ક્રાંતિકારી દળની ગતિવિધિઓનો ભાંડો ફોડતા એક સ્ટેટમેન્ટ આપી દઉં તો મારી ધરપકડ નહીં કરવામાં આવે અને તેનાથી વિપરિત મને અદાલતમાં ગવાહની રીતે રજૂ કર્યા વગર જ છોડી દેવામાં આવશે અને પુરસ્કાર પણ આપવામાં આવશે.
હું આ પ્રસ્તાવ પર હસ્યો. આ બધી બેકાર વાતો હતી. અમારા જેવા લોકોની માફક વિચાર રાખનારા પોતાની નિર્દોષ જનતા પર બોમ્બ નથી ફેંકતા. એક દિવસ સવારે સી.આઈ.ડીના વરિષ્ઠ અધીક્ષક શ્રી ન્યૂમને કહ્યું કે, જો હું આવું સ્ટેટમેન્ટ નથી આપતો તો મારા પર કાકોરી કેસ સંબંધિત વિદ્રોહ છેડવાના ષડયંત્ર અને દશેરાના ઉપદ્રવમાં ક્રૂર હત્યાઓ કરવા બદલ કેસ ચલાવવામાં આવશે અને તેમની પાસે મને સજા અપાવવા માટે અને ફાંસી પર લટકાવવા માટે ઉચિત પ્રમાણ છે.
એ દિવસથી જ કેટલાક પોલીસ ઓફિસરોએ મને બંને સમય ઈશ્વરની સ્તુતિ કરવા માટે ફોસલાવવાનું શરૂ કર્યું. પણ હવે હું એક નાસ્તિક હતો. હું મારા માટે એ વાત નક્કી કરવા માગતો હતો કે શું શાંતિ અને આનંદના દિવસોમાં જ નાસ્તિક હોવાનો દંભ કરું છું કે આવા કડક સમયમાં પણ હું એ સિદ્ધાંતો પર અડગ રહી શકું છું.
ખૂબ વિચાર્યા પછી મેં એ નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે ઈશ્વર પર વિશ્વાસ તથા પ્રાર્થના હું નથી કરી શકતો. ના, મેં એક ક્ષણ માટે પણ ન કરી. આ જ અસલી પરીક્ષણ હતું અને હું સફળ રહ્યો. હવે હું પાક્કો અવિશ્વાસી હતો અને ત્યારથી સતત છું. આ પરીક્ષણ પર ખરું ઉતરવું એ સરળ નહોતું. વિશ્વાસ એ કષ્ટને હલકું કરી નાખે છે. ત્યાં સુધી કે તેને પ્રીતિકર બનાવી આપે છે. ઈશ્વરમાં મનુષ્યને અત્યાધિક સાન્તવના દેવાનો એક આધાર મળી શકે છે. તેના વિના મનુષ્યને પોતાના ઉપર નિર્ભર રહેવું પડે છે. તોફાન અને જંજાવાતની વચ્ચે પોતાના પગ પર ઊભું રહેવું એ બાળકોની જેમ રમત વાત નથી. પરીક્ષાના આ સમયમાં ઘમંડ જો છે, તો બાષ્પીભવન થઈ ઊડી જાય છે અને મનુષ્ય પોતાના વિશ્વાસને અવગણવાનું સાહસ નથી કરી શકતો. જો આવું કરે છે તો તેનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે તેની પાસે માત્ર અહંકાર જ નહીં પણ કોઈ અન્ય શક્તિ છે.
આજે બિલકુલ એવી જ સ્થિતિ છે. નિર્ણયની પૂરે-પૂરી ખબર છે. એક સપ્તાહની અંદર જ એ ઘોષિત થઈ જશે કે હું મારું જીવન એક ધ્યેય પર ન્યોછાવર કરવા જઈ રહ્યો છું. આ વિચારથી અતિરિક્ત બીજી કઈ સાન્તવના હોય શકે ? ઈશ્વરમાં વિશ્વાસ રાખનારો હિન્દુ પુનર્જન્મ પર રાજા હોવાની આશા રાખી શકે છે. એક મુસ્લિમ કે ઈસાઈ સ્વર્ગમાં વ્યાપિત સમૃદ્ધિનો આનંદ તથા પોતાના કષ્ટો અને બલિદાન માટે પુરસ્કારની કલ્પના કરી શકે છે. પણ હું શું આશા કરું ? હું જાણું છું કે જે ક્ષણે ફાંસીનો ફંદો મારી ગરદન પર લાગશે અને મારા પગ નીચેથી પાટીયું હટી જશે, એ પૂર્ણવિરામ હશે – એ અંતિમ ક્ષણ હશે. હું અને મારી આત્મા ત્યાં જ સમાપ્ત થઈ જશે. આગળ કંઈ નહીં રહે. એક નાની એવી સંઘર્ષ કરતી જિંદગી. જેની કોઈ એવી ગૌરવશાળી પરિણતિ નથી. એ ખૂદમાં જ એક પુરસ્કાર હશે – જો મારામાં આ દૃષ્ટીથી જોવાનું સાહસ હોય. વગર કોઈ સ્વાર્થે અહીં કે ત્યાં પછી પુરસ્કારની ઈચ્છા વગર, મેં અનાસક્ત ભાવથી મારા જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કરી દીધું છે. કારણ કે હું બીજું કંઈ કરી જ નથી શકતો.
જે દિવસે આપણને આ મનોવૃત્તિના અસંખ્ય પુરુષ અને મહિલાઓ મળી જશે. જે પોતાના જીવનને મનુષ્યની સેવા અને પીડિત માનવતાના ઉદ્ધારથી અતિરિક્ત ક્યાંય સમર્પિત કરી જ નથી શકતા. એ જ દિવસે મુક્તિના યુગનો શુભઆરંભ થશે. એ શોષિતો, ઉત્પીડકો અને અત્યાચારિઓને પડકાર આપવા માટે ઉત્પ્રેરિત થશે. એ માટે નહીં કે તેમને રાજા બનવું છે કે કોઈ બીજું ઈનામ મેળવવું છે. અહીં કે આગલા જન્મમાં કે મૃત્યોપરાંત સ્વર્ગમાં. તેમને તો માનવતાની ગરદન પર ગુલામીની દ્યૂતક્રીડા ઉતારીને ફેંકવી અને મુક્તિ તથા શાંતિ સ્થાપિત કરવા માટે આ માર્ગને અપનાવવો હશે.
શું એ એ માર્ગ પર ચાલશે જે તેમના પોતાના માટે ખતરનાક પણ તેમની મહાન આત્મા માટે એકમાત્ર કલ્પનીય રસ્તો છે. શું આ મહાન ધ્યેયના પ્રત્યે તેમના ગર્વને અહંકાર કહીને તેનો ખોટો અર્થ કાઢવામાં આવશે ? કોણ આ પ્રકારના ઘૃણિત વિશેષણ બોલવાનું સાહસ કરશે ? કાં તો એ મૂર્ખ છે કાં તો ધૂર્ત. અમે ઈચ્છીએ કે તેને ક્ષમા કરી દે, કારણ કે એ એ હ્રદયમાં ઉદ્દભવતા ઊચ્ચ વિચારો, ભાવનાઓ, આવેગો તથા તેની ઊંડાઈને અનુભવી નથી શકતો. તેનું હ્રદય માંસના એક ટૂકડાની માફક મૃત છે. તેના ચક્ષુઓમાં અન્ય સ્વાર્થના પ્રેતનો પડછાયો પડવા પર નબળા થઈ ગયા છે. સ્વયં પર ભરોસો રાખવાના ગુણ પર હંમેશાં અહંકારની સંજ્ઞા આપી શકાય છે. આ દુ:ખપૂર્ણ અને કષ્ટપ્રદ છે. પણ બીજો રસ્તો જ ક્યાં છે ?
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત