ભગતસિંહ : જો તમારો વિશ્વાસ છે કે એક સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞાની ઈશ્વર છે, જેણે વિશ્વની રચના કરી, તો કૃપા કરી મને એ બતાવો કે તેણે આ રચના શા માટે કરી ? કષ્ટ અને સંતાપોથી પૂર્ણ દુનિયા – અસંખ્ય દુ:ખોના શાશ્વત અનન્ત ગઠબંધનોથી ગ્રસિત! એક પણ વ્યક્તિ પૂરી રીતે સંતુષ્ટ છે જ નહીં. કૃપા કરીને એમ ન કહો કે આ એનો નિયમ છે.
જો એ કોઈ નિયમથી બંધાયેલો છે તો એ સર્વશક્તિમાન નથી. એ પણ આપણી જ જેમ નિયમોનો દાસ છે. કૃપા કરીને એમ પણ ન કહો કે આ તો એનું મનોરંજન છે. નીરોએ બસ એક રોમ સળગાવ્યું હતું. તેણે ખૂબ ઓછી સંખ્યામાં લોકોની હત્યા કરી હતી. તેણે તો ખૂબ જ ઓછું દુ:ખ પેદા કર્યું, પોતાના પૂર્ણ મનોરંજન માટે. અને તેનું ઈતિહાસમાં શું સ્થાન છે ? તેને ઈતિહાસકારો કયા નામે બોલાવે છે ? તમામ ઝેરી વિશેષણો તેના પર વરસાવવામાં આવે છે. કાગળો તેની નિંદાઓ અને કૂથલીઓ ભરેલા વાક્યોથી કાળા થયેલા છે, કટુ વાક્યો કહે છે – નીરો એક હ્રદયહીન, નિર્દયી, દૃષ્ટ.
એક ચંગેઝ ખાંને પોતાના આનન્દ માટે કેટલાક હજ્જાર જીવો લઈ લીધા અને આજે આપણે તેના નામથી ઘૃણા કરીએ છીએ. ત્યારે કઈ રીતે તમે તમારા ઈશ્વરને ન્યાયોચિત ગણાવો છો ? એ શાશ્વત નીરોને, જે હરેક દિવસ, કલાકો અને દરેક મિનિટ અસંખ્ય દુ:ખ આપતો રહ્યો અને હજુ પણ આપી રહ્યો છે. તો પછી તમે કેવી રીતે તેના દુષ્કર્મોનો પક્ષ લેવાનું વિચારો છો, જે ચંગેઝ ખાંન કરતા પણ વધારે છે ?
શું આ બધું પછી નિર્દોષ-કષ્ટ સહન કરનારાઓને ઈનામ અને ભૂલ કરનારાઓને દંણ્ડ દેવા માટે થઈ રહ્યું છે ? બરાબર છે. બરાબર છે. તમે ક્યાં સુધી એ વ્યક્તિને યોગ્ય ઠેરવતા રહેશો. જે આપણા શરીર પર ઈજા પહોંચાડવાનું સાહસ એટલા માટે કરે છે કે પછી એ મુલાયમ અને આરામદાયક મલમ લગાવે ? ગ્લેડિએટર સંસ્થાના વ્યવસ્થાપક ક્યાં સુધી યોગ્ય કરતા હતા, કે એક ભૂખા અને ખૂંખાર સિંહની સામે માણસને ફેંકી દો, કે જો એ તેનાથી પોતાનો જીવ બચાવી લે છે તો તેની ખૂદ સારસંભાળ કરવામાં આવશે ? એટલે હું પૂછું છું કે એ ચેતન પરમ આત્માએ આ વિશ્વ અને તેમાં મનુષ્યોની રચના શા માટે કરી ? આનન્દ લૂંટવા માટે ? તો તેનામાં અને નીરોમાં શું ફર્ક છે ?
તમે મુસ્લિમો અને ખ્રિસ્તિઓ! તમે તો પૂર્વજન્મમાં વિશ્વાસ નથી કરતા. તમે તો હિન્દુઓની જેમ એ તર્ક રજૂ નથી કરી શકતા કે પ્રત્યક્ષત: નિર્દોષ વ્યક્તિઓના કષ્ટ તેમના પૂર્વ જન્મના ફળ છે. હું તમને પૂછું છું કે એ સર્વશક્તિશાળીએ શબ્દ દ્વારા વિશ્વની ઉત્પતિ માટે છ દિવસ સુધી શા માટે પરિશ્રમ કર્યો ? અને દરેક દિવસ એ શા માટે કહે છે કે બધુ બરાબર છે ? બોલાવો તેને આજે. તેને પૂર્વ ઈતિહાસ બતાવો. તેને આજની પરિસ્થિતિઓનું અધ્યયન કરવા દો.
આપણે જોઈશું કે એ શું ‘બધું બરાબર છે…’ એ કહેવાનું સાહસ કરે છે. કારાવાસની કાળ-કોઠરીઓથી લઈને ઝૂંપડીઓની વસતિઓ સુધી, ભૂખથી તડપતા લાખો માણસોથી લઈને એ શોષિત મજૂરોથી લઈને પૂંજીવાદી પિશાચ દ્વારા લોહી ચૂસવાની ક્રિયાને ધૈર્યપૂર્વક નિરુત્સાહથી જોઈ રહ્યા છીએ, તથા એ માનવશક્તિની બર્બાદી જોઈ રહ્યા છીએ, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ, જેને થોડું પણ સહજ જ્ઞાન છે. ભયનો માર્યો ધ્રુજી જાય છે અને વધારે ઉત્પાદનને જરૂરિયાત લોકોમાં વેચવા સિવાય સમુદ્રમાં ફેંકી દેવો યોગ્ય સમજવાથી લઈને, રાજાઓના એ મહેલ સુધી જેનો પાયો માણસના હાડકાઓ પર ઊભો છે. તેને આ બધું જોવા દો અને પછી કહો, ‘બધું બરાબર છે!’ શા માટે અને ક્યાંથી ? આ જ તો મારો પ્રશ્ન છે. તું ચૂપ છો. ઠીક છે તો હું આગળ ચાલુ છું.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત