Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોળી સમાજની વસતિ દોઢ કરોડ છે ! એટલે કે રાજ્યમાં સૌથી મોટી વોટ બેંક જો કોઈ હોય તો તે કોળી વોટબેન્ક છે. એટલે જ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 40 બેઠકો પર કોને ચૂંટીને ગાંધીનગર મોકલવા તે કોળી મતદારો નક્કી કરે છે. જો કે, કોળી સમાજ મુખ્ય ત્રણ ભાગમાં અને 22થી 24 જેટલા પેટાભાગમાં વહેંચાયેલો છે. જેથી સમાજના લોકોની રાજકીય વિચારધારા પણ અલગ અલગ હોઈ શકે છે.
રાજ્યમાં સૌથી વધુ કોળી સમાજની વસતિ હોવાથી રાજકીય પક્ષો કોળીઓની અવગણના કરી શકતા નથી. 2012માં કોળી સમાજના 18 ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 2017માં 27 ધારાસભ્ય કોળી સમાજમાંથી ચૂંટાયા હતા. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠક જીતી હતી જ્યારે ભાજપે 99 બેઠક પર કબજો મેળવ્યો હતો.
કઈ બેઠકો પર કોળી સમાજનું વધુ પ્રભુત્વ?
સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, કોડિનાર, ઉના, માંગરોળ, તળાજા, રાજુલા, ભાવનગર, પાલીતાણા, મહુવા, બોટાદ, ચોટીલા, બેઠકો પર કોળી મતો નિર્ણાયક છે. તો ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, જંબુસર, અંકલેશ્વર બેઠકો પર પણ સૌથી વધારે કોળી મતદારોનું પ્રભુત્વ છે. વસતિની દૃષ્ટિએ કોળી સમાજ 23 ટકા છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 37થી 40 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10 બેઠક છે. જો કે, આ વખતે કોળી સમાજનો ઝુકાવ કોની તરફ છે તે આગામી 8 ડિસેમ્બરે ખબર પડી જશે.
ગુજરાતમાં મુખ્ય ત્રણ પ્રકારના કોળી છે. તળપદા કોળી, ચુંવાળિયા કોળી અને કોળી પટેલ. આમાં પણ પેટા વિભાગો ઘણા છે. તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે. ચુંવાળના રહીશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે. કોળી સમાજમાં તળપદા, ચુંવાળિયા , બાબરિયા, પટેલ અને કેડિયા કોળી લોકો છે. આ સિવાય જહાંગીરિયા, પાટણવાડિયા, ઘેડ, માંગરોળ, ગોસાબારા (સોરઠ પંથક)ના ઘેડિયા કોળી, જાફરાબાદ પંથકના શિયાળ, દીવના દિવેચા, ખસ (ભાલ)ના ખસિયા, ખાંટ કોળી, પતાંકિયા, થાન પંથકના પાંચાળી, નળ સરોવર આસપાસ પઢાર, મહી કાંઠાના મેવાસા, અમદાવાદના રાજેચા, દેવગઢ બારિયાના બારિયા, સુરતના ભીમપોરિયા તેમજ કચ્છ પંથકમાં વાગડિયા, ઠાકરડા, ધારાળા, તેગધારીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ભીલ કોળી, માછીમાર કોળી, સોરઠિયા કોળી, ઠાકોર કોળી, હુણ કોળી, ડાંડા (મુંબઈ) કોળી વગેરે પેટાજ્ઞાતિઓમાં કોળી સમાજ વહેંચાયેલો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત