Homeતાપણુંમમતાના ગઢમાં ભાજપ નામનું પૂર ફરી આવતા પાંચ નેતા તણાઈ ‘શાહ સંગમ’માં...

મમતાના ગઢમાં ભાજપ નામનું પૂર ફરી આવતા પાંચ નેતા તણાઈ ‘શાહ સંગમ’માં ચાલ્યા ગયા

Team Chabuk Political Desk: પશ્ચિમ બંગાળમાં સિયાસી પવન જોરથી ફૂંકાય રહ્યો છે. જેમ જેમ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં ઉથલપાથલ વધી રહી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર પશ્ચિમ બંગાળની ચૂંટણી પર છે. હાલ અમિત શાહ અને ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી ટીએમસી અને મમતા બેનર્જીના શ્વાસ અધ્ધર કરી રહ્યા છે. ટીએમસીમાંથી એક બાદ એક વિકેટ ખરી રહી છે. ટીએમસીમાંથી ધારાસભ્યો રાજીનામા ધરીને ભાજપનો કેસરીયો ધારણ કરી રહ્યા છે. શુભેન્દુ અધિકારીથી શરૂ થયેલો આ સિલસિલો હજુ પણ યથાવત છે. ચૂંટણી આવતા આવતા કેટલા ધારાસભ્યો ટીએમસી છોડશે તે નક્કી નથી પરંતુ શનિવારે વધુ કેટલાક નારાજ નેતાઓ ભાજપમાં જોડાય ગયા છે.

ટીએમસીના ત્રણ પૂર્વ ધારાસભ્ય રાજીવ બેનર્જી, વૈશાલી ડાલમીયા અને પ્રબીર ઘોષાલ ઉપરાંત રુદ્રનીલ ઘોષ અને રથિન ચક્રવર્તીએ શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને મુલાકાત કરી અને બાદમાં ભાજપમાં જોડાય ગયા. અમિત શાહના નિવાસ સ્થાને કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય પણ હાજર હતા.

મહત્વનું છે કે અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે આવવાના હતા પરંતુ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ અમિત શાહનો બંગાળ પ્રવાસ રદ થયો હતો જેથી ટીએમસીમાંથી રાજીનામું આપનાર આ તમામ નેતાઓ દિલ્હી અમિત શાહને મળવા પહોંચ્યા હતા અને કેસરીયો ધારણ કરી લીધો હતો.

રાજીવ બેનર્જી, વૈશાલી ડાલમિયા, પ્રબીર ઘોષાલ, રુદ્રનીલ ઘોષ અને રથિન ચક્રવર્તીને અમિત શાહે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. અમિત શાહે કહ્યું કે, ‘મને ભરોસો છે કે આ તમામ મળીને સોનાર બાંગ્લા માટે ભાજપની લડાઈ વધુ મજબૂત કરશે.’

ભાજપ સોનાર બાંગ્લા બનાવશેઃ વિજયવર્ગીય

ટીએમસીના પાંચ નેતા દિલ્હી ખાતે અમિત શાહને મળીને ભાજપમાં જોડાયા હતા ત્યારે આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય પણ ઉપસ્થિત હતા. અમિત શાહ સાથેની મુલાકાત બાદ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ‘બંગાળની જનતાને ખબર પડી ગઈ છે કે અહીંયા માત્ર ભાજપ જ વિકાસ કરી શકશે. ટીએમસીના કાર્યકરો અને જનતા સમજી ગઈ છે કે ટીએમસી માત્ર છેતરવાનું કામ કરી રહી છે. અમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ અહીંયા સરકાર બનાવશે અને સોનાર બાંગ્લાનું સ્વપ્ન પૂર્ણ થશે.’

મહત્વનું છે કે, રાજીવ બેનર્જીએ શુક્રવારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, મંત્રી પદેથી પણ તેઓએ 22 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું. થોડા દિવસ પહેલા ધારાસભ્ય વૈશાલી ડાલમિયાને ટીએમસીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. પ્રબીર ઘોષાલ પણ ટીએમસીમાંથી રાજીનામું આપી ચુક્યા હતા. ભાજપમાં જોડાયા બાદ રાજીવ બેનર્જીએ ટ્વિટ કર્યું કે, ‘બંગાળને વધુ સારું બનાવવા માટે નવા સફરની શરૂઆત.’

તૂટી રહ્યો છે TMCનો ગઢ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલાં ટીએમસીમાં અનેક ઉથલપાથલ જોવા મળી. એક બાદ એક ધારાસભ્યોના રાજીનામાંથી ટીએમસીના શ્વાસ અધ્ધર થઈ રહ્યા છે. આ પહેલા પણ ટીએમસીના મોટા ગજાના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા દીદીનો સાથ છોડી ભાજપનો હાથ પકડ્યો હતો. આ ઉપરાંત અન્ય બે ધારાસભ્ય મિહિર ગોસ્વામી અને અરિંદમ ભટ્ટાચાર્ય પણ ટીએમસી છોડીને ભાજપમાં કમળ ખીલલવા ચાલ્યા ગયા છે. ત્યારે શનિવારે વધુ પાંચ નેતાઓ ભાજપમાં જોડાય જતાં મમતા બેનર્જી પરસેવે રેબઝેબ થઈ ગયા છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક બાદ એક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે પક્ષમાં કાર્યકરો અને નેતાઓમાં શું નારાજગી છે તેને મમતા બેનર્જીએ સમજવી પડશે. નહીંતર બંગાળનો ગઢ ભાજપને સર કરતાં વાર નહીં લાગે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments