Homeતાપણુંવિજયભાઈ જો દોઢ ટકા વસ્તીમાં સીએમ હોય તો અમારી તો 16 ટકા...

વિજયભાઈ જો દોઢ ટકા વસ્તીમાં સીએમ હોય તો અમારી તો 16 ટકા વસ્તી છેઃ મહેશ વસાવા

Team Chabuk-Political Desk: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ભલે હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી હોય પરંતુ વિવિધ સમાજના આગેવાનો અને નેતાઓ પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવી મહેચ્છા પ્રદર્શિત કરી રહ્યા છે. પાટીદાર સમાજ, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ બાદ હવે આદિવાસી સમાજના આગેવાનો પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોય તેવો ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

આજે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત મહા આદિવાસી એકતા મંચ દ્વારા આદિવાસી સમાજની મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં આદિવાસી સમાજને સરકાર તરફથી થઈ રહેલા અન્યાય મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર ખાતે મળેલી આદિવાસી સમાજની બેઠકમાં રાજ્યભરમાંથી આદિવાસી સમાજના આગેવાનો, કોંગ્રેસના નેતાઓ અને બીટીપીના છોટુ વસાવા તેમના પુત્ર મહેશ વસાવા સહિતના લોકો હાજર રહ્યા હતા. બેઠકમાં હાજરી આપવા માટે દરેક જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આદિવાસી સમાજની આ બેઠકમાં ગુજરાત સરકાર તરફથી આદિવાસી સમાજને થઈ રહેલા અન્યાયના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક વિકાસના વિવિધ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આદિવાસી સમાજ દ્વારા પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવી પણ માગ રાખવામાં આવી હતી.

બેઠકમાં હાજર રહેલા બીટીપીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજમાંથી પણ મુખ્યમંત્રી બનવો જોઈએ. મહેશ વસાવાએ કહ્યું હતું કે, જો વિજયભાઈ દોઢ ટકા વસ્તીમાં મુખ્યમંત્રી હોય તો અમારી તો 16 ટકા વસ્તી છે. તેથી ગુજરાતનો કોઈપણ આદિવાસી મુખ્યમંત્રી બનવો જોઈએ.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષ 2022માં થનાર છે. વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે સરકાર અને રાજકીય પક્ષોને ભીંસમાં લેવા માટે વિવિધ સમાજના આગેવાનો અને નેતાઓ બેઠકો યોજી રહ્યા છે. રાજકીય પક્ષોમાં પોતાના સમાજના નેતાઓનું પ્રભુત્વ વધે તે માટે અલગ અલગ સમાજના લોકો પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે હવે આ સૂચિમાં આદિવાસી સમાજ પણ જોડાઈ ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments