Team Chabuk-Special Desk: દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટના દિવસોમાં દેશના દરેક ઘર-ઇમારત પર તિરંગો લહેરાવવા માટે આહવાન કર્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશના કરોડો નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. પોતાના ઘર, કચેરી, કારખાના પર તિરંગો લહેરાવવા માટે લોકોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રધ્વજ એ આપણી આન, બાન અને શાન છે, તેનું પૂરેપૂરું સન્માન જળવાય, એ આપણા સૌની રાષ્ટ્રીય જવાબદારી છે. રાષ્ટ્રધ્વજ માટે એક વિશેષ સંહિતા પણ ઘડવામાં આવી છે. જોકે, આ સંહિતાને થોડી સરળ અને વ્યાવહારિક રીતે સમજવા માટે અહીં આપેલા મુદ્દાઓ તમને ઉપયોગી થશે.
- રાષ્ટ્રધ્વજને ઊંધો (upside down), કશાની અંદર, ઊંડાણમાં કે કશું વીંટાળીને (ફરકાવતી વખતે ફૂલ-પાંદડીઓ સિવાય) ઉપયોગમાં લઈ શકાતો નથી.
- રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઈ શકતું નથી.
- રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી સ્થિતિમાં પ્રદર્શિત કરવો, અપમાનજનક ગણાય છે.
- ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતિમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ જ લગાવવો. જો મંચ પાછળ કે ગેલેરીમાં ઊભી સ્થિતિમાં લટકાવવાનો હોય તો, કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.
- રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો.
- રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઇ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકીન સહિતના કોઇ પણ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી.
- રાષ્ટ્ર ધ્વજને કમરથી નીચેનાં કપડાં, આંતરવસ્ત્રોમાં, ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી.
- ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રધ્વજનો નિકાલ વ્યક્તિગત રીતે સળગાવીને કરાય એ ઇચ્છનીય છે. અથવા તેનો પૂરા આદર સાથે અન્ય રીતે પણ નિકાલ કરી શકાય છે.
- કાગળથી બનેલા રાષ્ટ્રધ્વજને જાહેરમાં ફેંકી શકાય નહીં. તેનું માન-સન્માન જાળવી, યોગ્ય રીતે તેનો નિકાલ કરવો જોઇએ.
ઉક્ત નિયમોનો રાષ્ટ્રધ્વજ સંહિતામાં ઉલ્લેખ કરાયો છે. આ નિયમોને ધ્યાને રાખીને રાષ્ટ્રધ્વજને પૂરેપૂરા આદર સાથે દરેક ઘરે લહેરાવવાનો છે. રાષ્ટ્રધ્વજ સવારે લહેરાવવાનો અને સાંજે નિયત સમયે ઉતારી લેવાનો નિયમ હતો, પરંતુ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાંજે તિરંગો ઉતારી લેવો ફરજિયાત નથી. 13મી ઓગસ્ટે ઘર-ઇમારત પર તિરંગો લહેરાવ્યા પછી તેને 15મી ઓગસ્ટના રોજ સાંજે ઉતારવાનો છે. રાષ્ટ્રધ્વજને સસન્માન ઉતારવો અને ક્ષતિગ્રસ્ત ન થયો હોય તો વાળીને તેને સાચવીને રાખી શકાય છે. જો નિકાલ કરવો પડે તો નિયમાનુસાર સન્માનપૂર્વક તેનો નિકાલ કરવો જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
