Team Chabuk-Political Desk: 2016ના વર્ષમાં, જ્યારે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારે કોઈનાં મનમાં પણ નહોતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રીની ખુરસી પર બેસી જશે અને પાંચ વર્ષ છત્રીસ દિવસની એક આખી ટર્મ પૂરી કરી દેશે. ગઈકાલે સાવ અચાનક વિજય રૂપાણીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી મીડિયાને વિચારતા અને સોશિયલ મીડિયાને મનોરંજન આપતા કરી દીધા હતા.
સરદારધામનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાના હતા. દિવસભર સમાચારના નામે શૂન્ય હતું અને ત્યાં ઘટનાનું તિરોધાન થઈ ગયું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપે છે તેવા સમાચાર અકિલા અખબારના માધ્યમથી વહેતા થઈ ગયા. કેટલીક ચેનલોએ પણ અડસટ્ટો મારવાની જગ્યાએ અકિલાને જ પડદા પર દેખાડી દીધું, પણ થોડી વારમાં ધૂંધળું ભાસતું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. વચ્ચે સોશિયલ મીડિયા કેટલીક વેબસાઈટની ઠેકડી ઉડાવતું હતું કે તે ‘ચોંકી જવું’ શબ્દ વારંવાર લખે છે. આ વખતે એ શબ્દ લખવાનો બરાબર સમય હતો.
આ કંઈ પહેલી વખત તો નથી જ જ્યારે આપ ચોંકી ગયા હોય. ગુજરાત ભાજપની સ્ટાઈલ છે કે એવા વ્યક્તિને ખુરસી પર બેસાડી દે જેનું બેકગ્રાઊન્ડ પણ પુન: શોધવું પડે. આનંદી બહેન પટેલ વખતે પણ નીતિનભાઈના ગીતો ગવાતા હતા અને છેલ્લે છેલ્લે અણવર વરરાજા બની જાય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. આવું કંઈ માત્ર અને માત્ર વિજયભાઈના કિસ્સામાં નથી થયું.
યાદ હોય તો, એ 2001ની સાલ હતી. અટલ બિહારી વાજપેયી માટે ચિંતા અને ચિંતનનો વિષય હતો કે આખરે ગુજરાતની ગાદી પર કેશુભાઈ પટેલ પછી કોને બેસાડવા. પત્રકાર વિનોદ મહેતાની આત્મકથા લખનઉ બોય અ મેમોરી તો એવું પણ બોલે છે કે, ‘નરેન્દ્રભાઈ મારી પાસે કેશુભાઈ પટેલની વિરૂદ્ધના કેટલાક દસ્તાવેજો લઈ આવેલા. થોડા સમય પછી હું જોઉં છું તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બની ચૂક્યા હતા.’ નરેન્દ્રભાઈ દિલ્હીમાં કોઈ પત્રકારની અંતિમવિધિમાં ગયા હતા ત્યારે તેમને પીએમઓમાંથી ફોન આવ્યો હતો. સામેથી અટલજી મળવા ઈચ્છુક હોવાનું જણાવ્યું હતું. જ્યાં અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતની જવાબદારી સોંપી દીધી હતી.
નરેન્દ્ર મોદી આ કળા અટલ બિહારી વાજપેયી પાસેથી શીખ્યા હોવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. ગુજરાતમાંથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા પછી ગુજરાતમાં એક સમયના ગૃહમંત્રી અમિત શાહ હવે કદાવર હોવાના નાતે ખુરસી સંભાળશે તેવું લાગતું હતું. ચર્ચાઓએ જોર પકડ્યું હતું. વાતોના વા વા વંટોળિયાની વચ્ચે મુખ્યમંત્રી કોણ બન્યું એ આપ જાણો છો…. આનંદીબહેન પટેલ અને આનંદીબહેને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે વિજયભાઈ.
એવું તો બિલકુલ નથી કે રાજ્યમાં જ આવું થયું હોય. 2019ની ચૂંટણીમાં ઢગલાબંધ વોટથી જીતાવવામાં અમિત શાહનો મોટો ફાળો રહ્યો છે. એ અમિત શાહ પણ ગૃહમંત્રી બનશે અને રાજનાથ સિંહ રક્ષામંત્રાલય સંભાળશે તેવું તો કોઈના ભેજામાં નહોતું. ભાજપ સરપ્રાઈઝ આપવામાં માહેર છે. તેનું સૌથી મોટું ઉદાહરણ મહારાષ્ટ્રની રાજરમતમાં એક સવારે દેવેન્દ્ર ફડણવીસ શપથનું પઠન કરવા લાગ્યા હતા. આનાથી મોટું સરપ્રાઈઝ તો શું હોય શકે. હવે જોઈએ આગળ શું શું થાય છે?
તાજેતાજો ઘાણવો
- અમદાવાદમાં જિન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના મોત
- ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠાએ મારી બાજી
- આતંકી મસૂદ અઝહરના પરિવારનો ખાત્મો, મસૂદે કહ્યું- હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારું થાત
- ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનમાં 9 સ્થળે એરસ્ટ્રાઈક, અનેક આતંકી માર્યા ગયાની આશંકા
- રાજકોટમાં ખોડલધામ યુવા પ્રિમિયર લીગ (KYPL)નો દબદબાભેર પ્રારંભ