Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ એક્ટર વિક્રમ ગોખલેનું 77 વર્ષની વયે નિધન થયું છે. આજે વિક્રમ ગોખલેએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 5 નવેમ્બરથી પુણેની પંડિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. વિક્રમ ગોખલેએ સોથી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના દમદાર અભિનય અને ડાયલોગ ડિલિવરી માટે તેઓ જાણીતા હતા. અભિનેતા વિક્રમ ગોખલેને વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુમ બિન’થી જબરદસ્ત લોકપ્રિયતા મળી. કરિયરની વાત કરીએ તો સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ ચૂકે સનમ’ માટે લોકો આજે પણ વિક્રમ ગોખલેને ઓળખે છે.
વિક્રમ ગોખલે છેલ્લા 18 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે (26 નવેમ્બર) પુણેના વૈકુંઠ સ્મશાનભૂમિમાં થશે હોસ્પિટલથી વિક્રમ ગોખલેના પાર્થિવદેહને બાલ ગાંધર્વ રંગ મંદિર લઈ જવામાં આવશે. અહીંયા ચાહકો તથા મિત્રો અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ અહીંથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે. તેમનું અવસાન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું. છેલ્લાં કેટલાંક દિવસથી તેઓ વૅન્ટિલેટર સપોર્ટ પર હતા.
વિક્રમ ગોખલે ફિલ્મી પરિવારમાંથી છે
વિક્રમ ગોખલે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ મરાઠી થિયેટર ટીવીમાં પણ લોકપ્રિય અભિનેતા રહ્યા છે. તેમનો જન્મ 14 નવેમ્બર 1945ના રોજ એક ફિલ્મી પરિવારમાં થયો હતો. ગોખલે મરાઠી થિયેટર અને ફિલ્મ કલાકાર ચંદ્રકાંત ગોખલેના પુત્ર છે. તેમના પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય પડદાની પ્રથમ મહિલા અભિનેત્રી હતા. તે જ સમયે, તેમની દાદી કમલાબાઈ ગોખલે ભારતીય સિનેમાની પ્રથમ મહિલા બાળ કલાકાર હતા.
ઐશ્વર્યાના પિતાની ભૂમિકામાં વધુ પ્રખ્યાત થયા
વિક્રમ ગોખલેએ સેંકડો હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેઓ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ઐશ્વર્યાના પિતાની ભૂમિકામાં વધુ પ્રખ્યાત થયા હતા. તેણે ગુસ્સાવાળા, રૂઢિચુસ્ત અને કડક પિતાની ભૂમિકા ભજવી હતી જેને લોકો આજે પણ યાદ કરે છે. આ સિવાય તુમ બિન ફિલ્મમાં વિક્રમ ગોખલેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે ‘ભૂલ ભુલૈયા પાર્ટ વન’, ‘હિચકી’, ‘નિકમ્મા’, ‘અગ્નિપથ’ અને ‘મિશન મંગલ’ ‘દિલ સે’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
વિક્રમ ગોખલેએ ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેણે દૂરદર્શનના પ્રખ્યાત શો ‘ઉડાન’માં જોરદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ સિવાય તેઓ સંજીવની શોમાં પણ જોવા મળ્યા હતા.
રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત
અભિનેતાને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે ઘણી વખત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને વર્ષ 2011માં સંગીત નાટક અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે મરાઠી ફિલ્મ પરમિશન માટે વિક્રમ ગોખલે નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. અભિનય ઉપરાંત ગોખલેએ મરાઠી ફિલ્મ ‘આઘાટ’નું દિગ્દર્શન પણ કર્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
