Homeતાપણુંનવા મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાય તેવી શક્યતા, કોને મળશે સ્થાન, કોનું કપાશે...

નવા મંત્રીમંડળની આજે શપથવિધિ યોજાય તેવી શક્યતા, કોને મળશે સ્થાન, કોનું કપાશે પત્તુ ?

Team Chabuk-Political Desk: ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ શપથ લેવા માટે તૈયાર છે. આજે બપોરે 2 વાગ્યે મંત્રીઓની શપથવિધિ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજભવન ખાતે આ સપથગ્રહણ સમારોહ યોજાનાર છે. નવા મંત્રીઓની શપથવિધિને લઈને ભાજપના ધારાસભ્યોમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવા કહી દેવામાં આવ્યું છે. આજે બપોરે 2 વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ લેવડાવશે તેવા અહેવાલ મળી રહ્યા છે. મળેલી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર પટેલનું આ નવું મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતાં નાનું હોઈ શકે છે. નવા મંત્રીમંડળમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. ઓબીસી અને દલિત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે.

આ ચહેરાઓ થઈ શકે છે રિપીટ

વિજય રૂપાણી સરકારમાં રહેલા કેટલાક મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવી શકે છે. જેમાં પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ગણપત વસાવા અને દિલીપ ઠાકોરનો સમાવેશ થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.

નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે. પરંતુ ગૃહ ખાતાને બદલે પ્રદીપસિંહને અન્ય ખાતાની ફાળવણી કરવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને પ્રદીપસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ છે. જ્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બદલે શિક્ષણ વિભાગ આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાને પણ સ્થાન આપવામાં આવી શકે છે.

આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની સંભાવના છે. ત્યારે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. આ વાત પર સમગ્ર ગુજરાતીઓની નજર રખાઈ રહી છે. ત્યારે અમદાવાદના એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહને ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સ્થાન મળી શકે છે. તો આ તરફ નિકોલ બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ સ્થાન મળવાની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાતમાંથી મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ તરફ કેતન ઈનામદારનું નામ પણ મંત્રીમંડળમાં સમાવાય તેવી ચર્ચા થઈ રહી છે. ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. વીસનગર બેઠકના ધારાસભ્ય ઋષિકેશ પટેલને સ્થાન મળે તેવી સંભાવના છે. લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાને પણ સ્થાન મળવાની સંભાવના છે. સુરત પૂર્વ અરવિંદ રાણાને ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના છે. તો મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંધવી અને સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments