Homeતાપણુંતો શું અખિલેશ યાદવ FIRનું હોર્ડિંગ બનાવી લખનઉમાં લગાવશે ?

તો શું અખિલેશ યાદવ FIRનું હોર્ડિંગ બનાવી લખનઉમાં લગાવશે ?

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવની વિરુદ્ધ મુરાદાબાદમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. 11 માર્ચનાં રોજ મુરાદાબાદમાં પ્રેસ કોન્ફરન્સ બાદ એક પત્રકારની પીટાઈ કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સમાજવાદી પાર્ટીનાં કાર્યકર્તાઓ પર એક પત્રકારને ઢોરની જેમ મારવાનો આરોપ લાગ્યો છે અને આ ફરિયાદમાં એક નામ પાર્ટીનાં સુપ્રીમો અખિલેશ યાદવનું પણ છે. પત્રકાર અવધેશ પારાશરે અખિલેશ અને અન્ય 20 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. કલમ 147, 342, 323ની નીચે આ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પત્રકાર અવધેશનું કહેવું છે કે, પ્રેસ વાર્તા બાદ આઝમ ખાનને લઈને તેમને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના પર અખિલેશ યાદવ ક્રોધે ભરાયા હતા. એ પછી અખિલેશ યાદવના સુરક્ષાકર્મી અને પાર્ટીના કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. પત્રકારે ફરિયાદ દાખલ કરતાની સાથે જ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ કેટલાક પત્રકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. જેથી હવે મામલો આમને સામનેનો થઈ ગયો છે.

અખિલેશે શું કહ્યું ?

અખિલેશ યાદવે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર પોતાની વાત રાખી હતી.

‘‘ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે મારી વિરુદ્ધ જે ફરિયાદ લખાવી છે. જનહિતમાં પ્રદેશના દરેક નાગરિકનાં સૂચનાર્થે એ પ્રત અહીં પ્રકાશિત કરીએ છીએ. જો જરૂર પડી તો રાજધાની લખનઉમાં હોર્ડિંગ પણ લગાવી દઈશું. આ ફરિયાદ હારતી ભાજપની હતાશાનું પ્રતીક છે.’’

સપા અને ભાજપા આમને સામને

ઉત્તર પ્રદેશમાં પત્રકારને મારવાની આ ઘટના અને બાદમાં અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતા ઘટના દિન પ્રતિદિન મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. સમાજવાદી પાર્ટીની પ્રવક્તા જૂહી સિંહે કહ્યું છે કે, સમાજવાદી પાર્ટીના પ્રમુખની વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવવી એ કોઈ નવી વાત નથી. તેમણે કહ્યું છે કે, આવું અગાઉ પણ થઈ ચૂક્યું છે. તો સામે ભાજપે પલટવાર કરતાં કહ્યું છે કે, સમાજવાદી પાર્ટીનું તો ચરિત્ર જ ગુંડાગર્દીનું છે.

મુરાદાબાદમાં શું શું થયું ?

અખિલેશ યાદવનો 11 માર્ચના રોજ મુરાદાબાદમાં કાર્યક્રમ હતો. જ્યાં પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી. રાતના આઠ વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા પછી અખિલેશ જવા લાગ્યા તો એક ચેનલનાં પત્રકારે તેમને રોકીને વાત કરવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે એ સમયે જ અખિલેશના સુરક્ષાકર્મીઓએ પત્રકારને ધક્કો મારી દીધો. આ કારણે જ પત્રકાર અને સુરક્ષાકર્મીઓ વચ્ચે જીભાજોડી થઈ ગઈ. આરોપ એવો પણ છે કે વિવાદ વધતા સુરક્ષામાં હાજર લોકોએ મારપીટ પણ કરી હતી. આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પત્રકાર જમીન પર પડેલો છે. આ સમગ્ર ઘટના ઘટી ત્યારે અખિલેશ યાદવ ત્યાં ઉપસ્થિત હતા. કેટલાક વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, હા, માર્યો છે પત્રકારને. આ સિવાય તેઓ પત્રકારને ભાજપનો એજન્ટ પણ બતાવી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments