Team Chabuk-Politicas Desk: CPI છોડી કન્હૈયા કુમાર અને ગુજરાતના દલિત નેતા અને વડગામથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દિલ્હીમાં થયેલા કાર્યક્રમમાં મંગળવારના રોજ રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલે બંનેને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સમયે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી ડખ્ખો કરતા આ કાર્યક્રમને ત્રણ વખત આગળ વધારવાની અનિવાર્યતા પડી હતી. રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ‘આ અવાજ મજબૂત થશે જ્યારે આ અવાજ રાહુલ ગાંધીના અવાજ સાથે મળી એક અને એક અગિયાર થઈ જશે.’

કન્હૈયા કુમારના કોંગ્રેસ પ્રવેશ પહેલા અંદરખાને વિવાદ છેડાયો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, કોમ્યુનિસ્ટ નેતાઓના કોંગ્રેસમાં જોડાવાના સમાચાર છે. એવામાં કદાચ 1973માં લખાયેલું પુસ્તક કમ્યુનિસ્ટ ઈન કોંગ્રેસ ફરીથી વંચાવું જોઈએ. વસ્તુઓ જેટલી બદલે છે એટલી જ સમાન રહે છે. મેં આજે તેને ફરી વાંચ્યું છે.

કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાવાનો હોવાની અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. આવું જ ગુજરાતના જિજ્ઞેશ મેવાણીનું પણ હતું. ગત અઠવાડિયે સીપીઆઈ મહાસચિવ ડી.રાજાએ કન્હૈયાને પ્રેસ કોન્ફરન્સ કરી અફવાઓનું ખંડન કરવા જણાવ્યું હતું. જોકે દિલ્હીમાં પાર્ટીની ઓફિસમાં નેતાઓ તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા પણ કન્હૈયાએ હાજરી નહોતી પૂરાવી. વધુમાં પાર્ટીના નેતાઓના સંદેશાઓ અને ફોન કોલ્સનો પણ જવાબ ન આપીને છેડો ફાડવાનો પરોક્ષ અંદેશો આપી દીધો હતો. આ સિવાય બંને નેતા કન્હૈયા અને જિજ્ઞેશે રાહુલ ગાંધી સાથે થોડા સમય પહેલા મુલાકાત પણ કરી હતી.

કન્હૈયાના કોંગ્રેસ પાર્ટી પ્રવેશથી પાર્ટીને બિહારમાં ફાયદો થઈ શકે છે. બિહારમાં હવે તમામ પાર્ટીઓમાંથી બીજા પાયદાન પર રહેલા નેતાઓ નેતૃત્વ સંભાળી રહ્યા છે. રાજદમાંથી તેજસ્વી યાદવ પાસે બાગડોર છે. લોક જનશક્તિની કમાન ચિરાગ પાસવાનની પાસે છે. જદયુમાંથી નીતિશ પહેલા જ કહી ચૂક્યા છે કે આગામી ચૂંટણી નહીં લડે, જોકે તેમના ભૂતકાળના નિવેદનો તેમના આ નિવેદનની ચાડી ખાઈ છે. ભાજપે સુશીલ કુમાર મોદીને જવાબદારીમાંથી હટાવી દીધા છે. હવે કોઈ નવું લીડર બનશે. જેથી હવે કોંગ્રેસમાંથી કન્હૈયાની માથે જવાબદારી આવવાની છે તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત