આ લેખ ભગતસિંહે જેલમાં લખ્યો હતો. 27 ડિસેમ્બર 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયો હતો. આ લેખમાં ભગતસિંહે ઈશ્વરની ઉપસ્થિતિ પર અનેક તર્કપૂર્ણ સવાલો ઊભા કર્યા હતા અને આ સંસારના નિર્માણ, મનુષ્યનાં જન્મ, મનુષ્યનાં મનમાં ઈશ્વરની કલ્પનાની સાથે સાથે સંસારમાં મનુષ્યની દીનતા, તેના શોષણ, દુનિયામાં વ્યાપેલ રાજકારણ અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું પણ વિશ્લેષણ કર્યું હતું. આ ભગતસિંહના લેખનનો સૌથી ચર્ચાસ્પદ લેખ છે.
સ્વતંત્રતા સેનાની બાબા રણધીર સિંહ 1930-31ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા. તેઓએ જ્યારે જાણ્યું કે ભગતસિંહ એક નાસ્તિક માણસ છે તો તેમનું હ્રદય દુભાયુ. તેમણે ગમે તે ભોગે ભગતસિંહના કેદખાનામાં પ્રવેશ કર્યો અને ભગતસિંહને વિશ્વાસ દેવડાવવાની કોશિશ કરી કે દુનિયામાં ઈશ્વરનું અસ્તિત્વ છે. અસફળ થવા પર બાબાએ નારાજ થઈને કહ્યું, ‘પ્રસિદ્ધીથી તારો મગજ ખરાબ થઈ ગયો છે અને તું અહંકારી બની ગયો છો. જે કાળા પડદાની જેમ તારી અને ઈશ્વરની વચ્ચે છે.’
આ ટીપ્પણીના જવાબમાં જ ભગતસિંહે આ લેખ લખ્યો હતો. હવે શહીદ ભગતસિંહના શબ્દોમાં જ ‘હું નાસ્તિક શા માટે છું ?’ વાંચો. અનુવાદ Team Chabuk.
શહીદ ભગતસિંહ : એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. શું હું અહંકારને કારણે સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞાની ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ નથી કરતો ? મારા કેટલાક મિત્રો – કદાચ આવું હું કહીને તેમના પર વધારે અધિકાર નથી જમાવી રહ્યો. મારી સાથેના નજીવા સંપર્કમાં આ નિષ્કર્ષ પર પહોંચવા માટે ઉત્સુક છે કે હું ઈશ્વરના અસ્તિત્વને નકારીને જરૂર કરતાં વધારે આગળ જઈ રહ્યો છું. અને મારા ઘમંડે કેટલીક હદ સુધી મને આ અવિશ્વાસ માટે ઉત્તેજીત કર્યો છે.
હું એવી કોઈ શેખી નથી મારતો કે હું માનવીય નબળાઈઓથી પર છું. હું એક મનુષ્ય છું અને તેનાથી વધારે કંઈ પણ નહીં. કોઈ પણ તેનાથી વધારે હોવાનો દાવો નથી કરી શકતું. આ નબળાઈ મારી અંદર પણ છે. અહંકાર પણ મારા સ્વભાવનું અંગ છે. મારા કોમરેડોની વચ્ચે મને નિરંકુશ કહેવામાં આવતો હતો. ત્યાં સુધી કે મારા મિત્ર શ્રી બટુકેશ્વર કુમાર દત્ત પણ મને કોઈ કોઈ વાર આવું કહે છે. ઘણા પ્રસંગો પર સ્વેચ્છાચારી કહી મારી નિંદા પણ કરવામાં આવી છે. કેટલાક મિત્રોને ફરિયાદ છે અને ગંભીર રૂપથી છે કે, હું કારણ વિનાનો તેમના પર મારા વિચારોનો મારો ચલાવ્યા કરું છું અને મારા પ્રસ્તાવોને મનાવી લઉં છું. આ વાત કેટલીક હદ સુધી સત્ય છે. આને અહંકાર કહી શકાય છે. જ્યાં સુધી અન્ય પ્રચલિત મતોના મુકાબલે મારા પોતાના મતનો સવાલ છે. મને નિશ્ચયે જ પોતાના પર ગર્વ છે. પણ આ વ્યક્તિગત નથી. એવું હોય શકે છે કે આ માત્ર પોતાના વિશ્વાસના પ્રત્યે ન્યાયોચિત ગર્વ હોય અને તેને અહંકાર ન કહી શકાય. ઘમંડ તો સ્વયંના પ્રત્યે અનુચિત ગર્વની અધિકતા છે. શું એ અનુચિત ગર્વ છે, જે મને નાસ્તિકતા તરફ લઈ ગયો છે ? અથવા આ વિષયનો ખૂબ જ સાવધાનીથી અભ્યાસ કરવા અને તેના પર ખૂબ જ વિચાર કર્યા બાદ મેં ઈશ્વર પર અવિશ્વાસ કર્યો ?
હું એ સમજવામાં પૂરી રીતે અસફળ રહ્યો છું કે, અનુચિત ગર્વ અથવા વૃથાભિમાન કેવી રીતે કોઈ વ્યક્તિના ઈશ્વરમાં વિશ્વાસ કરવાના માર્ગમાં અડચણરૂપ બની શકે છે ? વાસ્તવમાં મહાન વ્યક્તિની મહાનતાને હું માન્યતા ન આપું – આ ત્યારે થઈ શકે છે જ્યારે મને પણ થોડો એવો યશ પ્રાપ્ત થઈ ગયો હોય, જેને કદાચ હું યોગ્ય નથી અથવા તો મારી અંદર એ ગુણ નથી. જે આ માટે આવશ્યક છે. અહીં સુધી તો સમજમાં આવે છે. પણ આ કેવી રીતે હોય શકે કે એક વ્યક્તિ, જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો હોય, એકાએક પોતાના વ્યક્તિગત અહંકારને કારણે તેનામાં વિશ્વાસ કરવાનું બંધ કરી દે ? બે જ રસ્તાઓ સંભવ છે. કાં તો મનુષ્ય ખૂદને ઈશ્વરનો પ્રતિદ્વંદી સમજવા લાગે અથવા તો એ સ્વયંને જ ઈશ્વર માનવાનું શરૂ કરી દે. આ બંને અવસ્થાઓમાં એ સાચો નાસ્તિક નથી બની શકતો. પ્રથમ અવસ્થામાં તો એ પોતાના પ્રતિદ્વંદીના અસ્તિત્વને નકરાતો જ નથી. બીજી અવસ્થામાં પણ એ એક એવી ચેતનાના અસ્તિત્વને માને છે, જે પરદાની પાછળથી પ્રકૃતિઓની તમામ ગતિવિધિઓનું સંચાલન કરે.
હું તો એ સર્વશક્તિમાન પરમ આત્માના અસ્તિત્વથી જ ઈન્કાર કરું છું. આ અહંકાર નથી, જેણે મને નાસ્તિકતાના સિદ્ધાંતને ગ્રહણ કરવા માટે પ્રેરિત કર્યો. હું ન તો એક પ્રતિદ્વંદી છું. ન તો એક અવતાર અને ન તો સ્વયં પરમાત્મા.
આ અભિયોગનો અસ્વીકાર કરવા માટે ચાલો કેટલાક તથ્યો પર નજર કરીએ. મારા આ મિત્રોના પ્રમાણે દિલ્હી બોમ્બ કેસ અને લાહોર ષડયંત્ર કેસ દરમિયાન મને જે અનાવશ્યક યશ મળ્યો કદાચ એ કારણે જ હું વૃથાભિમાની થઈ ગયો છું.
મારો નાસ્તિકતાવાદ કોઈ હમણાંની ઉત્પતિ નથી. મેં તો ઈશ્વર પર વિશ્વાસ કરવાનું ત્યારે જ છોડી દીધું હતું જ્યારે હું એક અપ્રસિદ્ધ યુવાન હતો. કોલેજનો વિદ્યાર્થી તો આવા કોઈ અનુચિત અહંકારનું લાલન-પાલન નથી કરી શકતો, જે તેને નાસ્તિકતાની તરફ લઈ જાય. હું કેટલાક અધ્યાપકોનો માનીતો હતો અને કેટલાક અન્યને હું પસંદ નહોતો આવતો. પણ હું ક્યારેય ખૂબ જ મહેનતુ અને અભ્યાસુ વિદ્યાર્થી નથી રહ્યો. અહંકાર જેવી ભાવનામાં ફસાવાની કોઈ તક જ નથી મળી શકી. હું તો એક ખૂબ જ શરમાળ પ્રકૃતિનો છોકરો હતો. જેની ભવિષ્ય માટે કેટલીક નિરાશાવાદી પ્રકૃતિ હતી.
મારા પિતા, જેમના પ્રભાવમાં હું મોટો થયો, એક રૂઢીવાદી આર્ય સમાજી છે. એક આર્ય સમાજી બીજું કંઈ પણ હોય, નાસ્તિક નથી હોતો. મારી પ્રાથમિક શિક્ષા પૂર્ણ થયા બાદ મેં ડી.એ.વી.સ્કૂલ લાહોરમાં પ્રવેશ લીધો અને એક વર્ષ સુધી તેનાં છાત્રાવાસમાં રહ્યો.
ત્યાં સવાર અને સાંજની પ્રાર્થના સિવાય હું કલાકો સુધી ગાયત્રી મંત્ર જપતો રહેતો હતો. એ દિવસોમાં હું પૂરો ભક્ત હતો. એ પછી મેં મારા પિતાની સાથે રહેવાની શરૂઆત કરી દીધી. જ્યાં સુધી ધાર્મિક રૂઢીવાદનો સવાલ છે, એ એક ઉદારવાદી વ્યક્તિત્વ છે. તેમની જ શિક્ષાથી મને સ્વતંત્રતાના ધ્યેય માટે પોતાના જીવનને સમર્પિત કરવાની પ્રેરણા મળી. પણ એ નાસ્તિક નથી. તેમનો ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ છે. એ મને કાયમ પૂજા-પ્રાર્થના માટે પ્રોત્સાહિત કરતા રહેતા હતા. આ રીતે મારું પાલન-પોષણ થયું.
અસહયોગ આંદોલનના દિવસોમાં રાષ્ટ્રીય કોલેજમાં પ્રવેશ લીધો. અહીં આવીને જ મેં તમામ ધાર્મિક સમસ્યાઓ – ત્યાં સુધી કે ઈશ્વરના અસ્તિત્વ વિશે ઉદારતાપૂર્વક વિચાર્યું, વિચારવું તથા તેની આલોચના કરવાનું શરૂ કર્યું. પણ ત્યારે હું પાક્કો આસ્તિક હતો. એ સમય સુધી હું લાંબા વાળ રાખતો હતો. મને ક્યારેક ક્યારેક શીખ કે અન્ય ધર્મોની પૌરાણિકતા અને સિદ્ધાંતોમાં વિશ્વાસ ન તો હોઈ શકતો, પણ મારી ઈશ્વરના અસ્તિત્વ પર દૃઠ નિષ્ઠા હતી. એ પછી હું ક્રાન્તિકારી પાર્ટી સાથે જોડાયો. ત્યાં જે પ્રથમ નેતા સાથે મારો સમ્પર્ક થયો, એ તો પાક્કો વિશ્વાસ ન હોવા છતાં પણ ઈશ્વરના અસ્તિત્વને નકારવાનું સાહસ નહોતા કરી શકતા. ઈશ્વરના વિશે મારા હઠપૂર્વક પૂછતા રહેવા પર એ કહેતા, ‘જ્યારે ઈચ્છા હોય ત્યારે પૂજા કરી લેતા જાવ.’
આ નાસ્તિકતા છે. જેમાં સાહસનો અભાવ છે. બીજા નેતા, જેમના હું સમ્પર્કમાં આવ્યો, પાક્કા શ્રદ્ધાળુ આદરણીય કોમરેડ શચીન્દ્ર સાન્યાલ, આજકાલ કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે. તેમના પુસ્તક ‘બંદી જીવન’ માં ઈશ્વરની મહિમાનું જોર શોરથી ગાન છે.
તેમણે તેમાં ઈશ્વરની ઉપર પ્રશંસાના પુષ્પ રહસ્યાત્મક વેદાન્તના કારણે વરસાવ્યા છે. 28 જાન્યુઆરી 1925માં સમગ્ર ભારતમાં ધ રેવોલ્યુશનરી (ક્રાંતિકારી) પત્રિકા વહેંચવામાં આવી હતી. એ તેમના જ બૌદ્ધિક શ્રમનું પરિણામ હતું. તેમાં સર્વશક્તિમાન અને તેમની લીલા અને કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. મારા ઈશ્વરના પ્રત્યે અવિશ્વાસનો ભાવ ક્રાન્તિકારી દળમાં પણ પ્રસ્ફુટિત નહોતો થયો. કાકોરીના તમામ ચાર શહીદોએ પોતાના અંતિમ દિવસો ભજન-પ્રાર્થનામાં વિતાવ્યા હતા.
રામ પ્રસાદ બિસ્મિલ એક રૂઢીવાદી આર્ય સમાજી હતા. સમાજવાદ તથા સામ્યવાદમાં પોતાનું બૃહદ અધ્યયન હોવા છતાં રાજેન લાહડી ઉપનિષદ અને ગીતાના શ્લોકોનાં ઉચ્ચારણની પોતાની અભિલાષાને દબાવી નહોતા શક્યા. મેં એ બધામાં ફક્ત એક જ વ્યક્તિને જોયો, જે કોઈ દિવસ પ્રાર્થના નહોતો કરતો. દર્શન શાસ્ત્ર મનુષ્યની દુર્બળતા અથવા જ્ઞાનના સિમિત હોવાના કારણે ઉત્પન્ન થાય છે. એ પણ આજીવન નિર્વાસનની સજા ભોગવી રહ્યો હતો, પણ તેણે પણ ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત ન કરી.
આ સમય સુધી હું માત્ર રોમેન્ટીક અને આદર્શવાદી ક્રાંતિકારી હતો. અત્યાર સુધી અમે બીજાઓનું અનુકરણ કરતાં હતાં. હવે ખૂદના ખભા ઉપર જવાબદારીનું વહન કરવાનો વખત આવી ગયો હતો. આ મારા ક્રાંતિકારી જીવનનું નિર્ણાયક બિંદુ હતું. અધ્યયનો અવાજ મારા મનની ગલીઓમાં ગૂંજી રહ્યો હતો.
વિરોધીઓ દ્વારા રાખવામાં આવેલા તર્કોનો સામનો કરવા યોગ્ય બનવા માટે અધ્યયન કરો. પોતાના મતના પક્ષમાં તર્ક આપવા માટે, સક્ષમ થવા માટે વાંચો. મેં વાંચવાનું શરૂ કર્યું. તેનાથી મારા જૂના વિચારો અને વિશ્વાસ અદભુત રૂપથી પરિષ્કૃત થયા. રોમાન્સની જગ્યા ગંભીર વિચારોએ લઈ લીધી. ન વધારે રહસ્યવાદ અને ન વધારે અંધવિશ્વાસ. યથાર્થવાદ અમારો આધાર બન્યું.
મને વિશ્વક્રાન્તિના અનેક આદર્શો વિશે વાંચવાની તક મળી. મેં અરાજકતાવાદી નેતા બાકુનિનને વાંચ્યા, સામ્યવાદના પિતા માર્ક્સ, પણ વધારે તો લેનિન, ત્રાસ્તકી સહિતના લોકોને વાંચ્યા. જેઓ પોતાના દેશમાં સફળતાપૂર્વક ક્રાંતિ લાવ્યા હતા. આ બધા નાસ્તિક હતા. એ પછી મને નિરલમ્બ સ્વામીનું પુસ્તક ‘સહજ જ્ઞાન’ મળ્યું. જેમાં રહસ્યવાદી નાસ્તિકતા હતી.
1926નાં અન્ત સુધી મને એ વાત પર વિશ્વાસ થઈ ગયો કે એક સર્વશક્તિમાન પરમ આત્માની વાત, જેણે બ્રહ્માંડનું સર્જન, દિગ્દર્શન અને સંચાલન કર્યું, એ નિરર્થક વાત છે. મેં મારા આ અવિશ્વાસને પ્રદર્શિત કર્યો. મેં આ વિષય પર મારા મિત્રો સાથે ચર્ચા કરી. હું એક ઘોષિત નાસ્તિક થઈ ચૂક્યો હતો.
1927માં મારી લાહોરમાંથી ધરપકડ થઈ. રેલવે પોલીસના કેદખાનામાં મારે એક મહિનો પસાર કરવો પડ્યો. પોલીસ ઓફિસરોએ જણાવ્યું કે, હું લખનઉમાં હતો જ્યારે ત્યાં કાકોરી દળનો કેસ ચાલી રહ્યો હતો. મેં તેમને છોડાવવાની કોઈ યોજના પર વાત કરી હતી. તેમની સહમતિ પ્રાપ્ત થયા બાદ અમે કેટલાક બોમ્બ મેળવ્યા હતા. 1927માં દશેરાના અવસર પર એ બોમ્બમાંથી એક ભીડમાં પરીક્ષણ માટે ફોડવામાં આવ્યો હતો. જો હું ક્રાંતિકારી દળની ગતિવિધિઓનો ભાંડો ફોડતા એક સ્ટેટમેન્ટ આપી દઉં તો મારી ધરપકડ નહીં કરવામાં આવે અને તેનાથી વિપરિત મને અદાલતમાં ગવાહની રીતે રજૂ કર્યા વગર જ છોડી દેવામાં આવશે અને પુરસ્કાર પણ આપવામાં આવશે.
હું આ પ્રસ્તાવ પર હસ્યો. આ બધી બેકાર વાતો હતી. અમારા જેવા લોકોની માફક વિચાર રાખનારા પોતાની નિર્દોષ જનતા પર બોમ્બ નથી ફેંકતા. એક દિવસ સવારે સી.આઈ.ડીના વરિષ્ઠ અધીક્ષક શ્રી ન્યૂમને કહ્યું કે, જો હું આવું સ્ટેટમેન્ટ નથી આપતો તો મારા પર કાકોરી કેસ સંબંધિત વિદ્રોહ છેડવાના ષડયંત્ર અને દશેરાના ઉપદ્રવમાં ક્રૂર હત્યાઓ કરવા બદલ કેસ ચલાવવામાં આવશે અને તેમની પાસે મને સજા અપાવવા માટે અને ફાંસી પર લટકાવવા માટે ઉચિત પ્રમાણ છે.
એ દિવસથી જ કેટલાક પોલીસ ઓફિસરોએ મને બંને સમય ઈશ્વરની સ્તુતિ કરવા માટે ફોસલાવવાનું શરૂ કર્યું. પણ હવે હું એક નાસ્તિક હતો. હું મારા માટે એ વાત નક્કી કરવા માગતો હતો કે શું શાંતિ અને આનંદના દિવસોમાં જ નાસ્તિક હોવાનો દંભ કરું છું કે આવા કડક સમયમાં પણ હું એ સિદ્ધાંતો પર અડગ રહી શકું છું.
ખૂબ વિચાર્યા પછી મેં એ નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે ઈશ્વર પર વિશ્વાસ તથા પ્રાર્થના હું નથી કરી શકતો. ના, મેં એક ક્ષણ માટે પણ ન કરી. આ જ અસલી પરીક્ષણ હતું અને હું સફળ રહ્યો. હવે હું પાક્કો અવિશ્વાસી હતો અને ત્યારથી સતત છું. આ પરીક્ષણ પર ખરું ઉતરવું એ સરળ નહોતું. વિશ્વાસ એ કષ્ટને હલકું કરી નાખે છે. ત્યાં સુધી કે તેને પ્રીતિકર બનાવી આપે છે. ઈશ્વરમાં મનુષ્યને અત્યાધિક સાન્તવના દેવાનો એક આધાર મળી શકે છે. તેના વિના મનુષ્યને પોતાના ઉપર નિર્ભર રહેવું પડે છે. તોફાન અને જંજાવાતની વચ્ચે પોતાના પગ પર ઊભું રહેવું એ બાળકોની જેમ રમત વાત નથી. પરીક્ષાના આ સમયમાં ઘમંડ જો છે, તો બાષ્પીભવન થઈ ઊડી જાય છે અને મનુષ્ય પોતાના વિશ્વાસને અવગણવાનું સાહસ નથી કરી શકતો. જો આવું કરે છે તો તેનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે તેની પાસે માત્ર અહંકાર જ નહીં પણ કોઈ અન્ય શક્તિ છે.
આજે બિલકુલ એવી જ સ્થિતિ છે. નિર્ણયની પૂરે-પૂરી ખબર છે. એક સપ્તાહની અંદર જ એ ઘોષિત થઈ જશે કે હું મારું જીવન એક ધ્યેય પર ન્યોછાવર કરવા જઈ રહ્યો છું. આ વિચારથી અતિરિક્ત બીજી કઈ સાન્તવના હોય શકે ? ઈશ્વરમાં વિશ્વાસ રાખનારો હિન્દુ પુનર્જન્મ પર રાજા હોવાની આશા રાખી શકે છે. એક મુસ્લિમ કે ઈસાઈ સ્વર્ગમાં વ્યાપિત સમૃદ્ધિનો આનંદ તથા પોતાના કષ્ટો અને બલિદાન માટે પુરસ્કારની કલ્પના કરી શકે છે. પણ હું શું આશા કરું ? હું જાણું છું કે જે ક્ષણે ફાંસીનો ફંદો મારી ગરદન પર લાગશે અને મારા પગ નીચેથી પાટીયું હટી જશે, એ પૂર્ણવિરામ હશે – એ અંતિમ ક્ષણ હશે. હું અને મારી આત્મા ત્યાં જ સમાપ્ત થઈ જશે. આગળ કંઈ નહીં રહે. એક નાની એવી સંઘર્ષ કરતી જિંદગી. જેની કોઈ એવી ગૌરવશાળી પરિણતિ નથી. એ ખૂદમાં જ એક પુરસ્કાર હશે – જો મારામાં આ દૃષ્ટીથી જોવાનું સાહસ હોય. વગર કોઈ સ્વાર્થે અહીં કે ત્યાં પછી પુરસ્કારની ઈચ્છા વગર, મેં અનાસક્ત ભાવથી મારા જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કરી દીધું છે. કારણ કે હું બીજું કંઈ કરી જ નથી શકતો.
જે દિવસે આપણને આ મનોવૃત્તિના અસંખ્ય પુરુષ અને મહિલાઓ મળી જશે. જે પોતાના જીવનને મનુષ્યની સેવા અને પીડિત માનવતાના ઉદ્ધારથી અતિરિક્ત ક્યાંય સમર્પિત કરી જ નથી શકતા. એ જ દિવસે મુક્તિના યુગનો શુભઆરંભ થશે. એ શોષિતો, ઉત્પીડકો અને અત્યાચારિઓને પડકાર આપવા માટે ઉત્પ્રેરિત થશે. એ માટે નહીં કે તેમને રાજા બનવું છે કે કોઈ બીજું ઈનામ મેળવવું છે. અહીં કે આગલા જન્મમાં કે મૃત્યોપરાંત સ્વર્ગમાં. તેમને તો માનવતાની ગરદન પર ગુલામીની દ્યૂતક્રીડા ઉતારીને ફેંકવી અને મુક્તિ તથા શાંતિ સ્થાપિત કરવા માટે આ માર્ગને અપનાવવો હશે.
શું એ એ માર્ગ પર ચાલશે જે તેમના પોતાના માટે ખતરનાક પણ તેમની મહાન આત્મા માટે એકમાત્ર કલ્પનીય રસ્તો છે. શું આ મહાન ધ્યેયના પ્રત્યે તેમના ગર્વને અહંકાર કહીને તેનો ખોટો અર્થ કાઢવામાં આવશે ? કોણ આ પ્રકારના ઘૃણિત વિશેષણ બોલવાનું સાહસ કરશે ? કાં તો એ મૂર્ખ છે કાં તો ધૂર્ત. અમે ઈચ્છીએ કે તેને ક્ષમા કરી દે, કારણ કે એ એ હ્રદયમાં ઉદ્દભવતા ઊચ્ચ વિચારો, ભાવનાઓ, આવેગો તથા તેની ઊંડાઈને અનુભવી નથી શકતો. તેનું હ્રદય માંસના એક ટૂકડાની માફક મૃત છે. તેના ચક્ષુઓમાં અન્ય સ્વાર્થના પ્રેતનો પડછાયો પડવા પર નબળા થઈ ગયા છે. સ્વયં પર ભરોસો રાખવાના ગુણ પર હંમેશાં અહંકારની સંજ્ઞા આપી શકાય છે. આ દુ:ખપૂર્ણ અને કષ્ટપ્રદ છે. પણ બીજો રસ્તો જ ક્યાં છે ?
આલોચના અને સ્વતંત્ર વિચાર એક ક્રાન્તિકારીના બંને અનિવાર્ય ગુણ છે, કારણ કે આપણા પૂર્વજોએ કોઈ પરમ આત્મા પ્રત્યે વિશ્વાસ બનાવી લીધો હતો. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે એ વિશ્વાસને સત્યતા કે એ પરમ આત્માના અસ્તિત્વને જ પડકાર આપે, તેને વિધર્મી, વિશ્વાસઘાતી કહેવામાં આવશે. જો તેના તર્ક એવા છે જેનો છેદ ઉડાવી તેનું ખંણ્ડન વિતર્ક દ્વારા ન થઈ શકે અને તેની આસ્થા એટલી પ્રબળ છે કે તેને ઈશ્વરના પ્રકોપથી થનારી વિપત્તીઓનો ભય દેખાડ્યો કે દબાવ્યો નથી શકાતો, તો તેની એ કહીને નિંદા કરવામાં આવે છે કે એ વૃથાભિમાની છે.
આ મારું અભિમાન નહોતું જે મને નાસ્તિકતાની તરફ લઈ ગયું. મારા તર્કની પદ્ધતિ સંતોષપ્રદ સિદ્ધ થાય છે કે નહીં તેનો નિર્ણય મારા વાચકોએ કરવાનો છે, મારે નહીં. હું જાણું છું કે ઈશ્વર પરના વિશ્વાસે આજે મારું જીવન સરળ અને મારો બોજ હળવો કરી દીધો હોત. તેના પર મારા અવિશ્વાસે તમામ વાતાવરણને અત્યંત શુષ્ક બનાવી દીધું છે.
થોડો એવો રહસ્યવાદ આને કવિત્વમય બનાવી શકે છે, પણ મારા ભાગ્યને કોઈ ઉન્માદનો આધાર નથી જોઈતો. હું યથાર્થવાદી છું. હું અન્ત: પ્રકૃતિ પર વિવેકની સહાયતાથી વિજય ઈચ્છું છું. આ ધ્યેયમાં હું હંમેશાં સફળ નથી થયો. પ્રયાસ કરવો એ માણસનું કર્તવ્ય છે. સફળતા તો સંયોગ તથા વાતાવરણ પર નિર્ભર છે. કોઈ પણ મનુષ્ય, જેમાં જરા પણ વિવેક શક્તિ છે. એ પોતાના વાતાવરણને તાર્કિક રૂપથી સમજવા ઈચ્છશે.
જ્યાં સીધું પ્રમાણ નથી ત્યાં દર્શનશાસ્ત્રનું મહત્વ છે. જ્યારે આપણા પૂર્વજોએ હળવાશના સમયે વિશ્વના રહસ્યને, તેના ભૂત, વર્તમાન અને ભવિષ્યને, તેને શા માટે અને ક્યાંને સમજવાનો પ્રયાસ કર્યો તો સીધા પરિણામોના કઠિન અભાવમાં દરેક વ્યક્તિએ આ પ્રશ્નોનું પોતાની રીતે જ નિરાકરણ લાવ્યું.
આ જ કારણ છે કે વિભિન્ન ધાર્મિક મતોમાં આપણને આટલું અંતર જોવા મળે છે. જે ક્યારેક ક્યારેક વૈમનસ્ય અને ઝઘડાનું રૂપ લઈ લે છે. ન માત્ર પૂર્વ અને પશ્ચિમના દર્શનોમાં મતભેદ છે, પણ પ્રત્યેક ગોળાર્ધના પોતાના વિભિન્ન મતોમાં પણ અંદરોઅંદર અંતર છે. પૂર્વના ધર્મોમાં, ઈસ્લામ અને હિન્દુ ધર્મમાં જરા પણ અનુરૂપતા નથી. ભારતમાં જ બૌદ્ધ તથા જૈન ધર્મ એ બ્રાહ્મણવાદથી ખૂબ જ અલગ છે. જેમાં સ્વયં આર્યસમાજ અને સનાતન ધર્મ જેવા વિરોધી મતો જોવા મળે છે.
પ્રાચીન સમયનો સ્વતંત્ર વિચારક ચર્વાક છે. તેણે ઈશ્વરને પ્રાચીન સમયમાં જ પડકાર ફેંક્યો હતો. દરેક વ્યક્તિ ખૂદને સાચો માને છે. દુર્ભાગ્યની વાત છે કે જૂના વિચારકોના અનુભવ તથા વિચારોને ભવિષ્યમાં અજ્ઞાનતાની વિરૂદ્ધ લડાઈનો આધાર બનાવવાની જગ્યાએ આપણે આળસુઓની માફક, જે આપણે સિદ્ધ થઈ ચૂક્યા છીએ, તેના કથનમાં અવિચનલ અને સંશયહીન વિશ્વાસના બરાડા પાડ્યા રાખીએ છે અને આ પ્રકારે માનવતાના વિકાસને જડ બનાવવાના દોષી છીએ.
ફક્ત વિશ્વાસ અને અંધ વિશ્વાસ ખતરનાક છે. એ મસ્તિષ્કને મૂઢ અને મનુષ્યને પ્રતિક્રિયાવાદી બનાવી દે છે. જે મનુષ્ય ખૂદને યથાર્થવાદી હોવાનો દાવો કરે છે તેને સમસ્ત પ્રાચીન રૂઢીગત વિશ્વાસોને પડકાર આપવો પડશે. પ્રચલિત મતોને તર્કની કસોટી પર રાખવા પડશે. જો એ તર્કનો પ્રહાર ન સહી શકે તો ટૂકડા ટૂકડા થઈને ભાંગી પડશે. ત્યારે નવા દર્શનની સ્થાપના માટે તેને સમગ્રત: ધરાશાયી કરીને જગ્યા સાફ કરી ને જૂના વિશ્વાસોની કેટલીક વાતોમાં પ્રયોગ કરીને પુન:નિર્માણ કરવું.
હું પ્રાચીન વિશ્વાસોના મજબુતીપણા પર પ્રશ્ન કરવાના સંબંધમાં આશ્વસ્ત છું. મને પૂરો વિશ્વાસ છે કે એક ચેતન પરમ આત્માનું, જે પ્રકૃતિની ગતિનું દિગ્દર્શન અને સંચાનલ કરે છે, કોઈ અસ્તિત્વ નથી. આપણે પ્રકૃતિમાં વિશ્વાસ કરીએ છીએ અને સમસ્ત પ્રગતિશીલ આંદોલનનું ધ્યેય મનુષ્ય દ્વારા પોતાની સેવા માટે પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવાનું માને છે. તેને દિશા દેવાની પાછળ કોઈ ચેતન શક્તિ નથી. આ જ આપણું દર્શન છે. હું આસ્તિકોને કેટલાક પ્રશ્ન કરવા માગુ છું.
જો તમારો વિશ્વાસ છે કે એક સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞાની ઈશ્વર છે, જેણે વિશ્વની રચના કરી, તો કૃપા કરી મને એ બતાવો કે તેણે આ રચના શા માટે કરી ? કષ્ટ અને સંતાપોથી પૂર્ણ દુનિયા – અસંખ્ય દુ:ખોના શાશ્વત અનન્ત ગઠબંધનોથી ગ્રસિત! એક પણ વ્યક્તિ પૂરી રીતે સંતુષ્ટ છે જ નહીં. કૃપા કરીને એમ ન કહો કે આ એનો નિયમ છે.
જો એ કોઈ નિયમથી બંધાયેલો છે તો એ સર્વશક્તિમાન નથી. એ પણ આપણી જ જેમ નિયમોનો દાસ છે. કૃપા કરીને એમ પણ ન કહો કે આ તો એનું મનોરંજન છે. નીરોએ બસ એક રોમ સળગાવ્યું હતું. તેણે ખૂબ ઓછી સંખ્યામાં લોકોની હત્યા કરી હતી. તેણે તો ખૂબ જ ઓછું દુ:ખ પેદા કર્યું, પોતાના પૂર્ણ મનોરંજન માટે. અને તેનું ઈતિહાસમાં શું સ્થાન છે ? તેને ઈતિહાસકારો કયા નામે બોલાવે છે ? તમામ ઝેરી વિશેષણો તેના પર વરસાવવામાં આવે છે. કાગળો તેની નિંદાઓ અને કૂથલીઓ ભરેલા વાક્યોથી કાળા થયેલા છે, કટુ વાક્યો કહે છે – નીરો એક હ્રદયહીન, નિર્દયી, દૃષ્ટ.
એક ચંગેઝ ખાંને પોતાના આનન્દ માટે કેટલાક હજ્જાર જીવો લઈ લીધા અને આજે આપણે તેના નામથી ઘૃણા કરીએ છીએ. ત્યારે કઈ રીતે તમે તમારા ઈશ્વરને ન્યાયોચિત ગણાવો છો ? એ શાશ્વત નીરોને, જે હરેક દિવસ, કલાકો અને દરેક મિનિટ અસંખ્ય દુ:ખ આપતો રહ્યો અને હજુ પણ આપી રહ્યો છે. તો પછી તમે કેવી રીતે તેના દુષ્કર્મોનો પક્ષ લેવાનું વિચારો છો, જે ચંગેઝ ખાંન કરતા પણ વધારે છે ?
શું આ બધું પછી નિર્દોષ-કષ્ટ સહન કરનારાઓને ઈનામ અને ભૂલ કરનારાઓને દંણ્ડ દેવા માટે થઈ રહ્યું છે ? બરાબર છે. બરાબર છે. તમે ક્યાં સુધી એ વ્યક્તિને યોગ્ય ઠેરવતા રહેશો. જે આપણા શરીર પર ઈજા પહોંચાડવાનું સાહસ એટલા માટે કરે છે કે પછી એ મુલાયમ અને આરામદાયક મલમ લગાવે ? ગ્લેડિએટર સંસ્થાના વ્યવસ્થાપક ક્યાં સુધી યોગ્ય કરતા હતા, કે એક ભૂખા અને ખૂંખાર સિંહની સામે માણસને ફેંકી દો, કે જો એ તેનાથી પોતાનો જીવ બચાવી લે છે તો તેની ખૂદ સારસંભાળ કરવામાં આવશે ? એટલે હું પૂછું છું કે એ ચેતન પરમ આત્માએ આ વિશ્વ અને તેમાં મનુષ્યોની રચના શા માટે કરી ? આનન્દ લૂંટવા માટે ? તો તેનામાં અને નીરોમાં શું ફર્ક છે ?
તમે મુસ્લિમો અને ખ્રિસ્તિઓ! તમે તો પૂર્વજન્મમાં વિશ્વાસ નથી કરતા. તમે તો હિન્દુઓની જેમ એ તર્ક રજૂ નથી કરી શકતા કે પ્રત્યક્ષત: નિર્દોષ વ્યક્તિઓના કષ્ટ તેમના પૂર્વ જન્મના ફળ છે. હું તમને પૂછું છું કે એ સર્વશક્તિશાળીએ શબ્દ દ્વારા વિશ્વની ઉત્પતિ માટે છ દિવસ સુધી શા માટે પરિશ્રમ કર્યો ? અને દરેક દિવસ એ શા માટે કહે છે કે બધુ બરાબર છે ? બોલાવો તેને આજે. તેને પૂર્વ ઈતિહાસ બતાવો. તેને આજની પરિસ્થિતિઓનું અધ્યયન કરવા દો.
આપણે જોઈશું કે એ શું ‘બધું બરાબર છે…’ એ કહેવાનું સાહસ કરે છે. કારાવાસની કાળ-કોઠરીઓથી લઈને ઝૂંપડીઓની વસતિઓ સુધી, ભૂખથી તડપતા લાખો માણસોથી લઈને એ શોષિત મજૂરોથી લઈને પૂંજીવાદી પિશાચ દ્વારા લોહી ચૂસવાની ક્રિયાને ધૈર્યપૂર્વક નિરુત્સાહથી જોઈ રહ્યા છીએ, તથા એ માનવશક્તિની બર્બાદી જોઈ રહ્યા છીએ, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ, જેને થોડું પણ સહજ જ્ઞાન છે. ભયનો માર્યો ધ્રુજી જાય છે અને વધારે ઉત્પાદનને જરૂરિયાત લોકોમાં વેચવા સિવાય સમુદ્રમાં ફેંકી દેવો યોગ્ય સમજવાથી લઈને, રાજાઓના એ મહેલ સુધી જેનો પાયો માણસના હાડકાઓ પર ઊભો છે. તેને આ બધું જોવા દો અને પછી કહો, ‘બધું બરાબર છે!’ શા માટે અને ક્યાંથી ? આ જ તો મારો પ્રશ્ન છે. તું ચૂપ છો. ઠીક છે તો હું આગળ ચાલુ છું.
અને તમે હિન્દુઓ, તમે કહો છો કે આજે જે કષ્ટ ભોગવી રહ્યા છો, એ પૂર્વજન્મના પાપ છે અને આજના ઉત્પીડક એ ગત્ત જન્મમાં તો સાધુ પુરુષ હતા. જેથી એ સત્તાનો આનંદ લૂંટી રહ્યા છે. મારે તો એ માનવું જ પડે કે તમારા પૂર્વજ ખૂબ જ ચાલાક હતા. તેમણે એવા સિદ્ધાંતો તૈયાર કર્યા જેમાં તર્ક અને અવિશ્વાસના તમામ પ્રયાસોને નિષ્ફળ કરવાની સંપૂર્ણ શક્તિ છે.
ન્યાયશાસ્ત્રના અનુસાર દણ્ડને અપરાધી પર પડનારા અસરના આધાર પર માત્ર ત્રણ કારણોના કારણે યોગ્ય ઠેરવવામાં આવે છે. એ છે – પ્રતિકાર, ભય અને સુધાર. આજે તમામ પ્રગતિશીલ વિચારકો દ્વારા પ્રતિકારના સિદ્ધાંતની નિંદા કરવામાં આવે છે. ભયભીત કરવાના સિદ્ધાંતનો પણ અંત એ જ છે. સુધાર કરવાનો સિદ્ધાંત જ ફક્ત આવશ્યક છે અને માનવતાની પ્રગતિ માટે અનિવાર્ય છે. તેનો ધ્યેય અપરાધીને યોગ્ય અને શાન્તિપ્રિય નાગરિકના સ્વરૂપે સમાજને પરત કરવાનો છે.
પણ જો આપણે મનુષ્યને અપરાધી માની પણ લઈએ તો ઈશ્વર દ્વારા તેમને આપવામાં આવેલા દણ્ડની શું પ્રકૃતિ છે ? તમે કહો છો એ એને ગાય, બિલાડી, વૃક્ષ, જડીબુટ્ટી કે જાનવર બનાવીને પેદા કરે છે. તમે એવા 84 લાખ દંણ્ડોને ગણાવો છો.
હું પૂછું છું કે મનુષ્ય પર આની સુધારકના રૂપે શું અસર છે ? તમે આવા કેટલા વ્યક્તિઓને મળ્યા છો ? જે એમ કહે છે કે એ કોઈ પાપના કારણે પૂર્વજન્મમાં ગધેડાના રુપે પેદા થયા હતા ? એક પણ નહીં ? આપણા પુરાણોમાંથી ઉદાહરણ ન આપો. મારી પાસે તમારી પૌરાણિક કથાઓ માટે કોઈ સ્થાન નથી. અને શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી મોટું પાપ ગરીબ હોવું છે. ગરીબી એક અભિશાપ છે. આ એક દણ્ડ છે.
હું પૂછું છું કે દણ્ડની પ્રક્રિયાની ક્યાં સુધી પ્રશંસા કરીએ, જે અનિવાર્યત: મનુષ્યને વધારે અપરાધ કરવા બદલ પીડા આપે ? શું તમારા ઈશ્વરે એ નહોતું વિચાર્યું કે એને પણ આ તમામ વાતો માનવતા દ્વારા અકથનીય કષ્ટોને સહન કરવાની કિંમત પર અનુભવથી શીખેલી હતી ? તમે શું વિચારો છો, કોઈ ગરીબ કે અભણ પરિવાર, જેવી રીતે એક ચમાર કે મેહતરને ત્યાં પેદા થવા પર મનુષ્યનું શું ભાગ્ય હશે ? કારણ કે એ ગરીબ છે, એટલે ભણી નથી શકતો. એ પોતાના સાથીઓથી તિરસ્કૃત અને પરિત્યક્ત રહે છે. જે ઊંચી જાતિમાં પેદા થવાના કારણે ખૂદને ઊંચા માને છે. તેનું અજ્ઞાન, તેની ગરીબી તથા તેની સાથે કરવામાં આવેલો વ્યવહાર તેના હ્રદયને સમાજના પ્રત્યે નિષ્ઠુર બનાવી દે છે.
જો એ કોઈ પાપ કરે છે તો તેનું ફળ કોણ ભોગવશે ? ઈશ્વર ? એ સ્વયં કે સમાજના મનીષીઓ ? અને એ લોકોના દંણ્ડના વિશે શું હશે ? જેને દંભી બ્રાહ્મણોએ જાણીજોઈને અજ્ઞાની બનાવી રાખ્યા તથા જેમને તમારા જ્ઞાનની પવિત્ર પુસ્તકો – વેદોના કેટલાક વાક્યો સાંભળી લેવાના કારણે કાનમાં પીગળેલા સીસાની ધારને સહન કરવાની સજા ભોગવવી પડી હતી ? જો તેઓ કોઈ અપરાધ કરે છે તો એના માટે કોણ જવાબદાર હશે ? અને તેમનો પ્રહાર કોણ સહન કરશે ?
મારા પ્રિય મિત્રો! આ સિદ્ધાંતો વિશેષાધિકાર યુક્ત લોકોના આવિષ્કાર છે. એ પોતાની શક્તિ, મૂળી અને ઉચ્ચતાને આ સિદ્ધાંતોના આધાર પર સત્ય ઠેરવે છે.
અપટાન સિંક્લેયરે લખ્યું છે કે, મનુષ્યને ફક્ત અમરત્વમાં વિશ્વાસ અપાવી દો અને એ પછી તેની તમામ સંપતિ લૂંટી લો. એ વગર કોઈ વાદ વિવાદે આ કામમાં તમારી સહાયતા કરશે. ધર્મના ઉપદેશકો અને સત્તાના સ્વામીઓના ગઠબંધનથી જ જેલ, ફાંસી, ચાબુક ફટકારવી અને આવા સિદ્ધાંતો ઉપજતા હોય છે.
હું પૂછું છું કે તમારો સર્વશક્તિશાળી ઈશ્વર દરેક વ્યક્તિને એ સમયે શા માટે નથી રોકતો જ્યારે તેઓ પાપ કે અપરાધ કરી રહ્યા હોય છે ? એ તો એ ખૂબ જ સરળતાથી કરી શકે છે. તેણે શા માટે લડાઈ માટે ઉત્સુક રહેતા રાજાઓની ઉગ્રતાને નાશવંત કરી દીધી અને આ પ્રકારે વિશ્વયુદ્ધ દ્વારા માનવતા પર પડી રહેલી આપત્તિઓથી તેનો બચાવ્યો ? તેણે અંગ્રેજોનાં ભેજામાં ભારતીયોને મુક્ત કરી દેવાની ભાવના શા માટે ન જન્માવી ?
એ શા માટે મૂડીવાદીઓના હ્રદયમાં એ પરોપકારી ઉત્સાહ નથી ભરી દેતો, કે એ ઉત્પાદનના સાધનો પર પોતાનો વ્યક્તિગત સમ્પત્તિનો અધિકાર ત્યાગી દે અને આ પ્રકારે ફક્ત સંપૂર્ણ શ્રમિક સમુદાય અને સમસ્ત માનવ સમાજને મૂડીવાદીઓની સાંકળમાંથી મુક્ત કરે ?
તમે સમાજવાદની વ્યાવહારિકતા પર તર્ક કરવા ઈચ્છો છો. હું આને તમારા સર્વશક્તિમાન પર છોડી દઉં છું કે એ લાગુ કરે. જ્યાં સુધી સામાન્ય ભલાઈની વાત છે, લોકો સમાજવાદના ગુણોને માને છે. એ તેના વ્યાવહારિક ન હોવાનું બહાનું લઈને તેનો વિરોધ કરે છે. પરમાત્માને આવવા દો અને એ બધી વસ્તુઓને બરાબર કરી દે. અંગ્રેજોની હકુમત અહીં એ માટે નથી કે ઈશ્વર ઈચ્છે છે, પણ એટલા માટે કે તેમની પાસે તાકાત છે અને આપણી પાસે તેમનો વિરોધ કરવાની હિંમત નથી.
એમણે આપણને પોતાના પ્રભુત્વમાં ઈશ્વરની સહાયતાથી નથી રાખ્યા, પણ બંદૂકો, રાઈફલો, બોમ્બ અને ગોળીઓ, પોલીસ અને સૈન્યના સહારે. આ આપણી ઉદાસીનતા છે કે સમાજની વિરૂદ્ધ સૌથી નિંદનીય અપરાધ – એક રાષ્ટ્રનું બીજા રાષ્ટ્ર દ્વારા અત્યાચાર પૂર્ણ શોષણ – સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. ક્યાં છે ઈશ્વર ? શું તે મનુષ્ય જાતિના આ કષ્ટોની મજા લઈ રહ્યો છે ? એક નીરો, એક ચંગેઝ ખાં, તેનો નાશ થાય!
શું તમે મને પૂછો છો કે હું આ વિશ્વની ઉત્પતિ તથા માનવની ઉત્પતિની વ્યાખ્યા કેવી રીતે કરું છું ? બરાબર છે, હું તમને જણાવું છું. ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર કેટલોક પ્રકાશ પાડવાની કોશિશ કરી છે. તેને વાંચો. વિભિન્ન પદાર્થોના, નીહારિકાના આકારમાં, આકસ્મિક મિશ્રણથી પૃથ્વી બની. ક્યારે ? ઈતિહાસ જુઓ. આ પ્રકારની જ ઘટનાથી જંતુ પેદા થયા અને એક લાંબા પ્રવાસથી મનુષ્ય.
ડાર્વિનની ‘જીવ ઉત્પતિ’ વાંચો. ઉપરાંત તમામ વિકાસ મનુષ્ય દ્વારા પ્રકૃતિના સતત વિરોધ અને તેના પર વિજય પ્રાપ્ત કરવાની ચેષ્ટાથી થયો. આ આ ઘટનાની સંભવત: સૌથી સૂક્ષ્મ વ્યાખ્યા છે.
તમારો બીજો તર્ક એ હોય શકે છે કે શા માટે એક છોકરો લંગડો અને આંધળો પેદા થાય છે? શું આ તેના પૂર્વજન્મમાં કરવામાં આવેલા ફળ છે? જીવવૈજ્ઞાનિકોએ આ વાતનું વૈજ્ઞાનિક સમાધાન કાઢ્યું છે. અચૂક તમે એક બીજો સવાલ ક્યાંકથી કાઢો અને પૂછી શકો છો. જો ઈશ્વર નથી, તો લોકો તેના પર વિશ્વાસ શા માટે કરવા લાગ્યા ? મારો જવાબ સૂક્ષ્મ તથા સ્પષ્ટ છે.
જે રીતે તેઓ પ્રેતો અને દૃષ્ટ આત્માઓ પર વિશ્વાસ કરવા લાગ્યા. અન્તર ફક્ત એટલું જ છે કે ઈશ્વરમાં વિશ્વાસ વિશ્વવ્યાપી છે અને દર્શન અત્યંત વિકસિત. તેની ઉત્પતિનો શ્રેય એ શોષકોની પ્રતિભાને છે. જે પરમાત્માના અસ્તિત્વનો ઉપદેશ આપીને લોકોને પોતાના પ્રભુત્વમાં રાખવા માગે છે તથા તેમનાથી પોતાની વિશિષ્ટ સ્થિતિનો અધિકાર અને અનુમોદન ઈચ્છે છે. તમામ ધર્મ, સમ્પ્રદાય, પન્થ અને આવી જ અન્ય સંસ્થાઓ અંતમાં નિર્દયી અને શોષક સંસ્થાઓ, વ્યક્તિઓ અને વર્ગોની સમર્થક થઈ જાય છે. રાજાની વિરૂદ્ધ દરેક વિદ્રોહ દરેક ધર્મમાં હંમેશાં પાપ જ રહ્યો છે.
મનુષ્યની મર્યાદાઓને ઓળખવા પર તેમની દુર્બળતાઓ અને દોષને સમજ્યા પછી પરીક્ષાની ક્ષણોમાં મનુષ્યને બહાદુરીપૂર્વક સામનો કરવા માટે ઉત્સાહિત કરવા, તમામ મુસીબતોને પુરુષત્વની સાથે જીલવા તથા સમ્પન્નતા અને એશ્વર્યમાં તેના વિસ્ફોટને બાંધવા માટે ઈશ્વરના કાલ્પનિક અસ્તિત્વની રચના થઈ છે.
પોતાના વ્યક્તિગત નિયમો તથા અભિભાવકીય ઉદારતાથી પૂર્ણ ઈશ્વરની વધારી-ચડાવીને કલ્પના અને ચિત્રણ કરવામાં આવ્યું છે. જ્યારે તેની ઉગ્રતા તથા વ્યક્તિગત નિયમોની ચર્ચા થાય છે તો તેનો ઉપયોગ એક ભય દર્શાવવા કરવામાં આવે છે. જેથી કોઈ મનુષ્ય સમાજ માટે ખતરો ન બની જાય. જ્યારે તેના અભિભાવક ગુણોની વ્યાખ્યા થાય છે તો તેનો ઉપયોગ એક પિતા, માતા, ભાઈ, બહેન, મિત્ર તથા સહાયકની માફક કરવામાં આવે છે. જ્યારે મનુષ્ય પોતાના તમામ મિત્રો દ્વારા વિશ્વાસઘાત અને ત્યાગથી અત્યન્ત ક્લેષમાં હોય તો તેને એ વિચારથી સાન્તવના મળે છે કે એક સાચો મિત્ર હંમેશાં તેની સહાયતા કરવા માટે છે. તેને ટેકો આપશે તથા એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે. વાસ્તવમાં આદિમ કાળથી આ સમાજ માટે ઉપયોગી હતું.
પીડામાં પડેલા મનુષ્ય માટે ઈશ્વરની કલ્પના ઉપયોગી હોય છે. સમાજને આ વિશ્વાસની વિરૂદ્ધ લડવાનું રહેશે. મનુષ્ય જ્યારે પોતાના પગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે તથા યથાર્થવાદી બની જાય છે ત્યારે તેને શ્રદ્ધાને એક બાજુ ફેંકી દેવી જોઈએ અને એ તમામ કષ્ટો, પરેશાનીઓનો પુરુષત્વની સાથે સામનો કરવો જોઈએ.
જેમાં પરિસ્થિતિઓ તેને નીચે પાડી શકે છે. આજે મારી એજ સ્થિતિ છે. આ મારો અહંકાર નથી, મારા મિત્ર! આ મારા વિચારવાની પદ્ધતિ છે. જેણે મને નાસ્તિક બનાવ્યો છે. ઈશ્વરમાં વિશ્વાસ અને રોજે રોજની પ્રાર્થનાને હું મનુષ્ય માટે સૌથી સ્વાર્થી અને ઓછું કામ માનું છું. મેં એ નાસ્તિકો વિશે વાંચ્યું છે, જેમણે તમામ આપત્તિઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. અંત: હું પણ એક પુરુષની માફક ફાંસીનાં ફંદા પર અન્તિમ ક્ષણ સુધી માથું ઊચું રાખી ઊભો રહેવા ઈચ્છું છું.
મારે જોવાનું છે કે હું કેવી રીતે નિભાવી શકું છું. મારા એક મિત્રએ મને પ્રાર્થના કરવાનું કહ્યું. જ્યારે મેં તેને નાસ્તિક હોવાની વાત કહી તો તેણે કહ્યું, ‘તારા અન્તિમ દિવસોમાં તું વિશ્વાસ કરવા લાગીશ.’
મેં કહ્યું, ‘નહીં, પ્રેમાળ મિત્ર, આવું નહીં થાય. હું આને મારા માટે અપમાનજનક તથા ભ્રષ્ટ હોવાની વાત સમજુ છું. સ્વાર્થી કારણોથી હું પ્રાર્થના નહિં કરીશ.’
વાચકો અને મિત્રો, શું આ અહંકાર છે ? જો છે તો હું સ્વીકાર કરું છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત