Team Chabuk-Political Desk: ‘‘અત્યારે સી.આર. પાટીલના નજીકના ગણાતા ભાજપના કાર્યકર્તાઓએ ટોળું વળીને મારા ઘરે હોબાળો કર્યો છે. મારી ગેરહાજરીમાં મારા ઘરે જઈને સી.આર પાટીલના માણસોએ ઘરે એકલા રહેલા મારા મમ્મી અને મારી બહેનને ભયમાં મુકવાનો પ્રયાસ કર્યો છે. હું ઘરે હાજર નથી પરંતુ મેં કંટ્રોલમાં અને સ્થાનિક પોલીસમાં ફોન કર્યો છે. ભાજપના આશરે 50 જેટલા કાર્યકર્તાઓએ મારી સોસાયટીમાં ઘૂસીને નારાબાજી કરીને ભયનો માહોલ બનાવવાની કોશિષ કરી છે.’’

આ શબ્દો લખેલા છે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ. ફેસબુક પર તેમણે આ અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે ચકમક ઝરી રહી છે. જેની શરૂઆત વિસાવદરથી થઈ. જ્યાં આપનાં કાર્યકર્તા પર હુમલો થયો હતો. ઈસુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તાઓએ આ સમગ્ર ઘટનાને વખોળી કાઢી હતી. ઉપરથી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરી ગુજરાતમાં સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. આ વિરોધ ઘણો ચગ્યો પણ હતો અને સોશિયલ મીડિયામાં પણ તેની અગણિત પ્રતિક્રિયાઓ આવી હતી. એ પછી આજે બપોર બાદ ગોપાલ ઈટાલિયાએ ફેસબુક પર ઉપરોક્ત માહિતી આપી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને બોલાવ્યા. પ્રંચડ પ્રચાર કર્યો અને ભાજપના ગઢ સુરતમાં ગાબડું પાડી નાખ્યું. એ પછી પાર્ટીએ ધીમે ધીમે પોતાનું કદ મોટું કર્યું. ગુજરાતના નામી ચહેરાઓ તેની સાથે જોડાવા લાગ્યા. ઈસુદાન ગઢવીના પાર્ટી સાથે જોડાયા બાદ આમ આદમી પાર્ટી કોઈને કોઈ રીતે સમાચારોમાં ચમકી રહી છે. આજે વધુ એક વખત ગોપાલ ઈટાલિયા સમાચારમાં ચમક્યા છે. ચમકવા પાછળનું કારણ અગાઉ ઉપર આપ્યું તે.
ગોપાલ ઈટાલિયાનાં ઘરે હંગામો મચતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બે લોકોને પોલીસના હવાલે કરી દીધા હતા. આ અંગે સમગ્ર જાણ અમરોલી પોલીસને કરવામાં આવી હતી. આ લોકો સી.આર.પાટીલની નજીકનાં હોવાનું ગોપાલ ઈટાલિયાએ પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું હતું.
ગુજરાતમાં પેટાચૂંટણી સમાપ્તિ થઈ અને આમ આદમી પાર્ટીનો સુરતમાં જ્વલંત વિજય થયો એ પછી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ આગામી ચૂંટણીમાં સીધી ટક્કર છે તે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ હાસ્યામાં ધકેલાઈ ગઈ છે. જાણે પાર્ટીનું ગુજરાતમાં અસ્તિત્વ જ ન હોય. આમ આદમી પાર્ટી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવતી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત