Team Chabuk-Special Desk: ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેમાં વર્ષ 2022-23ના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા હશે. ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વિશેષ પરિચય આપવામાં આવશે જ્યારે 6થી 12માં પ્રિન્ટેડ ઓડિયો-વિઝ્યુઅલ સામગ્રી આપવામાં આવશે. આ સિવાય ધોરણ 9થી 12માં પઠન અને પાઠન સ્વરૂપે ગીતાનો પરિચય કરાવવામાં આવશે. શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. મનુષ્ય જે આંધળું જીવન જીવે છે તેમાં જો શ્રીમદ્ ભગવદ્ ગીતાને નજરમાં રાખે તો તેની કેટલીય સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય. આજે ભગવદ્ ગીતા વિશે કેટલુંક જાણીએ.
1) એવું માનવામાં આવે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ કૃષ્ણએ કહી અને અર્જુને તેને સાંભળી પણ મહાભારતના યુદ્ધ દરમિયાન ફક્ત અર્જુન નહોતો જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું હોય. હનુમાન, સંજય અને પોતાના એક બાણથી યુદ્ધ સમાપ્ત કરી નાખવાનું કૌવત ધરાવતા બર્બરીકે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી હતી. અર્જુનના રથ ઉપર હનુમાન બિરાજમાન હતા, સંજયની પાસે એવી દૃષ્ટી હતી કે એ મહાભારતના યુદ્ધને નિહાળી શકતો હતો અને ઘટોત્ઘચનો પુત્ર બર્બરીક પહાડી પરથી કપાયેલા મસ્તકે આ સમગ્ર યુદ્ધને નિહાળી રહ્યો હતો.
2) કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા દુર્યોધનને સંભળાવવા ઈચ્છા હતા, જેથી સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ તે પારખી શકે, પરંતુ દુર્યોધને તે સાંભળવાની ના પાડી દીધી હતી. જો ધ્રુતરાષ્ટ્રના જ્યેષ્ઠ પુત્ર દુર્યોધને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું હોત તો યુદ્ધની નોબત જ ન આવેત, પણ તેણે આવું કર્યું નહીં. એટલા માટે કે તેની આ પ્રકૃતિ નહોતી. કૃષ્ણ સાથે દલીલમાં પડતા દુર્યોધને કહ્યું હતું કે તેની પ્રકૃતિ તેને આવું કરવા માટેની આજ્ઞા નહીં આપે.
3) આ વાત સૌ જાણે છે. સોશિયલ મીડિયાના કારણે તો હવે સૌ જ્ઞાત થઈ ગયા છે. મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને 18નાં આંકડા સાથે સંબંધ છે. કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. ગીતામાં 18 પર્વ છે. બલિદાનની રસ્મ માટે 18 લોકોની આવશ્યકતા હોય છે અને સંસ્કૃતમાં 18 શબ્દનો એક અર્થ બલિદાન થાય છે. પાંડવો પાસે સાત અક્ષૌણી સેના હતી અને કૌરવોની પાસે 11 અક્ષૌણી સેના, જેનો કુલ આંકડો પણ 18 થાય છે.
4) ફક્ત ભારતીયો જ નહીં પણ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાને અનુસરતા હતા. આઈન્સ્ટાઈને કહેલું કે, હું જ્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચું છું અને જાણું છું કે કેવી રીતે ઈશ્વરે બ્રહ્માંડનું સર્જન કર્યું તો બાકીની વસ્તુઓ ફાલતુ લાગે છે.
5) શ્રીમદ્ ભગવદ્ ગીતા ગાવાની પણ વસ્તુ છે. અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે અને અનુષ્ટુપ છંદમાં એક ચરણમાં આઠ આઠ અક્ષર હોય અને એવા ચાર ચરણ હોય. જેને મહાકાવ્ય સંવાદ પણ કહેવાય. 18 અધ્યાયમાં કુલ 700 છંદ છે.
6) સંસ્કૃતમાં લખાયેલો આ ગ્રંથ આજે 175 ભાષામાં અનુવાદિત થઈ ચૂક્યો છે. 1785માં ચાર્લ્સ વિલ્કિંસને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં પ્રથમ વખતે અનુવાદ કર્યો હતો.
7) ગીતમાંથી શું મળે છે? આ સિવાય ગીતામાં તમારી રોજબરોજની સમસ્યાનો ઉકેલ સમાયેલો છે. માનસિક શાંતિ અને સૌહાર્દ પ્રાપ્ત થાય છે. પોતાની ઈચ્છાઓને નાશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મોતથી ડરવું એ બેકાર છે. મૃત્યનો અર્થ આત્માનું ભૌતિક સંસારમાંથી આધ્યાત્મિક સંસારમાં જવું છે. કર્મ અત્યંત મહત્વપૂર્ણ છે અને હંમેશાં પરિણામ વિશે ચિંતા કર્યાં વગર પૂરાં સમર્પણની સાથે કાર્ય કરવું જોઈએ. ભગવાન હંમેશાં આપણી સાથે અને આસપાસ હોય છે. ભલે આપણે ક્યાંય પણ હોઈએ અને કંઈ પણ કરી રહ્યા હોઈએ. આ તો માત્ર ક્ષણિક છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
