Team Chabuk-Special Desk: ભારત રત્ન લત્તા મંગેશકરના નિધનથી તેઓના કરોડો ચાહકોને આંચકો લાગ્યો છે. લત્તાજીના અનેક ચાહકો શોકમાં ડૂબેલા છે. લત્તાજીના નિધનથી સંગીતજગત અને દેશને એક મોટી ખોટ પડી છે. ત્યારે ગુજરાતના જૂનાગઢના વતની અને હાલ મુંબઈ રહીને ટીવી સિરિયલમાં એક્ટિંગ કરી રહેલા આર્યન સોલંકી સ્વર્ગસ્થ લત્તા મંગેશકર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. લત્તા મંગેશકરના નિધન બાદ તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને લત્તા દીદી સાથેના સંબંધ અંગે આર્યન સોલંકીએ ધ ચાબુક સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.
લત્તા દીદી જન્મદિવસ પર ખાસ આમંત્રણ આપતા
ધ ચાબુક સાથેની ખાસ વાતચીતમાં જૂનાગઢના આર્યન સોલંકી જણાવે છે કે, લત્તા મંગેશકર જૂનાગઢની શ્રી કલારંગ નાટ્ય મંદિર મંડળીથી ખૂબ પ્રભાવિત હતા. લત્તા મંગેશકર તેઓના જન્મદિવસે ખાસ શ્રી કલારંગ નાટ્ય મંદિર મંડળીના સંચાલક આર્યન સોલંકી અને અન્ય કલાકારોને આમંત્રણ આપતા. આ ઉપરાંત લત્તા મંગેશકરે શ્રી કલારંગ નાટ્ય મંદિર મંડળીના આર્યન સોલંકીને મેનેજર મહેશભાઈ રાઠોડના હસ્તે ગણપતિજીની પ્રતિમા, શુભેચ્છા પત્ર અને ઓટોગ્રાફ કરેલી ઘડિયાળ પણ ભેટમાં આપેલી. દીદી તરફથી મળેલી આ તમામ વસ્તુ અમૂલ્ય ભેટ હોય આર્યન સોલંકીએ ખૂબ જ સાચવીને રાખી છે.

જૂનાગઢની કેસર કેરી અને દેશી ઘી ખૂબ જ પ્રિય હતું
આર્યન સોલંકીએ ધ ચાબુકને જણાવ્યું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી લત્તા મંગેશકરના સંપર્કમાં હતા. લત્તા દીદીને જૂનાગઢની કેસર કેરી અને દેશી ઘી ખૂબ જ પ્રિય હતા. તેથી હું જ્યારે જૂનાગઢથી મુંબઈ જતો ત્યારે લત્તા દીદી માટે ખાસ જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરી અને દેશી ઘી લઈ જતો.


નિઃસ્વાર્થભાવે દીદીની સેવા કરી
આર્યન સોલંકી જણાવે છે કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી લત્તા મંગેશકરના ઘરે અવારનવા જતાં, ઘણી વખત ત્યાં રોકાતા પણ ખરાં. આ ઉપરાંત લત્તાજીના નાના-મોટા કામમાં મદદરૂપ પણ થતાં. આમ દીદીની નિઃસ્વાર્થભાવે આર્યન સોલંકીએ સેવા કરી.

મેનેજર મહેશભાઈ રાઠોડે કરાવી મુલાકાત
આર્યન સોલંકી લત્તા મંગેશકર સાથેની પ્રથમ મુલાકાત અંગે વાત કરતાં જણાવે છે કે, લત્તા મંગેશકરના મેનેજર મહેશભાઈ રાઠોડ મૂળ અમરેલી જિલ્લાના છે. મહેશભાઈએ આર્યન સોલંકીની મુલાકાત પ્રથમ વખત લત્તા મંગેશકર સાથે કરાવી. ત્યારબાદ અવારનવાર લત્તા મંગેશકરને મળવાનું થતું. ધીમે ધીમે લત્તાજી સાથે લાગણીભર્યા સંબંધો બંધાયા અને ત્યાર પછી તો અવાર નવાર લત્તાજીના ઘરે જવાનું થતું. આર્યન સોલંકી કહે છે કે, હું જ્યારે ઘરે જતો ત્યારે લત્તાજી મને ખૂબ ભાવથી કહેતાં કે કાંઈ પણ જરૂર હોય તો કહેજે. તેમના ઘરે મને જમાડતાં અને રહેવાની પણ સગવડ કરી આપતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
