ઝાલાવાડી જલજીરા: નેટફ્લિક્સ અને એમેઝોનની ધારદાર સિરીઝોની સામે હવે હિન્દી ફિલ્મોનો ભવ્ય ભૂતકાળ મંદ મંદ ગતિએ વિસરાય રહ્યો છે. એટલું બધું આંખો સામે જોવાનું છે કે શું જોવું અને શું ન જોવું તેમાંથી પસંદગી કરવી અઘરી પડી જાય છે. હવે રિવ્યૂ પર ઓછા ધ્યાન અપાય છે, બસ જોવાય એટલું જોઈ લો. How Much Land Does A Man Need નામની ટોલ્સટોયની ટૂંકી વાર્તાના નાયકની જેમ દોડો અને કાબુમાં કરી લો. ન વિચારો ન વિચારનો તંતુ છેડો. આવી વાતો વચ્ચે કાલા પત્થર યાદ આવી ગઈ.

દેશમાં જ્યારે પણ કોઈ મોટી ખાણ દુર્ઘટના ઘટે છે ત્યારે કાલા પત્થરનું સ્મરણ આવી જાય છે. 2018માં કન્નડ અભિનેતા યશની ખ્યાતિ પ્રાપ્ત કેજીએફ ફિલ્મે પણ છેલ્લે કોલારગોલ્ડમાઈનની ખાણો બતાવી હતી. જેમાં મજૂરોની દુર્ભાગ્યપૂર્ણતા જોવા મળે છે. એ એક્શન ફિલ્મ હતી. તેમાં કોઈ સંદેશ પાઠવવામાં નહોતો આવ્યો. ઉત્તેજના વધારતી આ ફિલ્મનો હજુ બીજો ભાગ આવવાનો બાકી છે. એવો દાવો કરવામાં આવતો રહ્યો છે કે કાલા પત્થર એ ધનબાદની ચાસનાલા કોલસાની ખાણમાં 1975માં ઘટેલી ગોઝારી ઘટના પર આધારિત ફિલ્મ છે. જેમાં 350 કરતા વધારે મજૂરો દટાય ગયા હતા.

જોકે ફિલ્મ કાલા પત્થર જોસેફ કોનરાડની નવલકથા લોર્ડ જીમની વધારે નજીક છે. ફિલ્મની મુખ્ય ધરી તો ચાસનાલા ખાણની દુર્ઘટનાને જ માનવામાં આવે છે. ફિલ્મને વાસ્તવિકતાની નજીક રાખવા માટે યશ ચોપરા પોતાના યૂનિટની સાથે ઝારખંડ જે એ સમયે બિહારમાં હતું, તેની ગિદ્દી ખાણમાં શૂટિંગ કરવા પહોંચ્યા હતા. ફિલ્મની શૂટિંગ ગિદ્દી વૉશરી જે કોલસાને ધોવાની જગ્યા હોય છે ત્યાં થઈ હતી. ફિલ્મની યુનિટના મુખ્ય લોકો અહીંના જ આરામગૃહમાં રોકાયા હતા.

અમિતાભના નામનો સિક્કો પડતો હતો પણ શત્રુઘ્ન પણ કંઈ જેવા તેવા નહોતા. કાલીચરણ, વિશ્વનાથ, જાની દુશ્મન અને હીરા મોતી ફિલ્મો થકી તે સુપરસ્ટારના શિખર પર હતા. અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બન્યા એ પછી શત્રુઘ્ન સાથે તેમની આ પ્રથમ ફિલ્મ હતી. સુપરસ્ટાર બન્યા પછી…! આ પહેલા બંને પરવાનામાં કામ કરી ચૂક્યા હતા. તોપણ બંને વચ્ચે ટ્યૂનિંગ નહોતી દેખાઈ રહી.

શત્રુઘ્ન સિંહાની આત્મકથા એનીથિંગ બટ ખામોશમાં કાલા પત્થરની યાદો તાજા થાય છે. શત્રુને અમિતાભથી ઈર્ષ્યા થતી હતી. અમિતાભની હાજરીથી તેઓ વ્યાકુળ થઈ જતાં હતાં. અસહજ મહેસૂસ કરતાં હતાં. પુસ્તકમાં લખ્યું છે, ‘ફિલ્મ કાલા પત્થરના એક ફાઈટ દૃશ્યમાં અમિતાભે મારી ખરાબ રીતે ધોલાઈ કરી નાખી હતી. એ મને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી શશિ કપૂરે વચ્ચે આવી અમને અલગ ન કર્યા. મને આ દૃશ્ય વિશે કંઈ કહેવામાં નહોતું આવ્યું.’

એટલું જ નહીં કાલા પત્થર ફિલ્મના સેટ પર કોઈ દિવસ અમિતાભની નજીકની ખુરશી શત્રુઘ્નને ઓફર કરવામાં ન આવી. બંને એક સાથે એક જ સેટ પર જવા માટે નીકળતા હતા, પણ શત્રુએ અમિતને કે અમિતે શત્રુને લિફ્ટની ઓફર નહોતી કરી. જોકે એ સમયના લોકો પાસેથી સાંભળવા મળી જાય છે કે શૂટિંગ જોવા લોકોનું ટોળું આવતું હતું અને એ અમિતાભની તરફ નહીં શત્રુઘ્ન તરફ ઢળેલું હતું. આ ફિલ્મ બાદ શત્રુ અને અમિતે દોસ્તાના, નસીબ અને શાન ફિલ્મમાં પણ કામ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત