Team Chabuk-Political Desk: ભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી લત્તા મંગેશકર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. લત્તાજીના નિધનથી તેમના સમર્થકો આઘાતમાં છે. દેશમાં બે દિવસીય રાજકીય શોક જાહેરા કરાયો છે. ત્યારે વાત કરીએ લત્તાજી સાથે જોડાયેલા એવા કિસ્સાની જેણે આજના રાજકીય નેતાઓએ જીવનમાં ઉતારવા જોઈએ. સ્વર્ગસ્થ લત્તા મંગેશકર વર્ષ 1999થી 2005 સુધી રાજ્યસભાના સભ્ય હતા. 22 નવેમ્બર 1999ના દિવસે લત્તાજીને રાજ્યસભાના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. પોતાના 6 વર્ષના રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન તેઓને મોકલવામાં આવેલા પગારના ચેકનો તેમણે કોઈ દિવસ સ્વીકાર કર્યો નહીં અને હંમેશા તેઓ પગારનો ચેક પરત મોકલી આપતા.
એક સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાંથી માહિતી મળી છે કે, લત્તા મંગેશકરે રાજ્યસભાના સભ્ય તરીકેનો મળતો પગાર કોઈ દિવસ લીધો નથી. કાર્યાલય તરફથી મોકલવામાં આવતો પગારનો ચેક તેમણે હંમેશા પરત મોકલી આપ્યો છે. આ ઉપરાંત લત્તા મંગેશકરે કોઈ દિવસ સાંસદ પેન્શન માટે અરજી નથી કરી. એટલું જ નહીં તેમણે દિલ્હીમાં સાંસદોને રહેવા માટે આપવામાં આવતા ઘરનો પણ અસ્વીકાર કર્યો હતો. આમ સ્વર્ગસ્થ લત્તાજી ભલે 6 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હોય પરંતુ તેમણે સાંસદ તરીકે મળતી સરકારી સેવાઓ અને પગારનો કોઈ દિવસ સ્વીકાર કર્યો નહીં.
મહત્વનું છે કે, લત્તા મંગેશકર ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકરે પણ સાંસદ તરીકે કોઈ દિવસ પગાર અને ઘરનો સ્વીકાર કર્યો નથી. પોતાનો તમામ 90 લાખ રૂપિયાનો પગાર પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન કરી દીધો હતો.
ગઈકાલે જ્યારે લત્તાજીના નિધનના સમાચાર મળ્યા ત્યારે દેશ-વિદેશમાં વસતા તેઓના કરોડો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ પણ લત્તાજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને તેઓના અંતિમ દર્શન કરી અંતિમ સંસ્કારમાં હાજરી આપી. લત્તાજીએ પોતાના અવાજથી દેશ-વિદેશમાં પોતાની ખ્યાતિ મેળવી. તેઓ લંડનમાં રોયલ અલ્બર્ટ હોલમાં પ્રોગ્રામ કરનાર પ્રથમ ભારતીય હતા. 2007માં ફ્રાંસ સરકારે લત્તા મંગેશકરને લીજન ઓફ ઓનર એવોર્ડથી સન્માનિત કર્યા. જે દેશનું સર્વોચ્ય નાગરિક સન્માન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
