કૃષિ પત્રકાર અશોક સરિયા : પ્લાસ્ટીક એ આપણા જીવનનો ખુબ જ મહત્વનો બાગ બની ગયું છે. જે માથાના વાળને સંભાળતી નાની ક્લીપથી માંડીને પાણીની મોટી મોટી ટાંકીઓ સુધી બધે જ પ્લાસ્ટીકનો છૂટથી ઉપયોગ થઇ રહ્યો છે. આપણે પ્લાસ્ટિકની અસંખ્ય પ્રોડક્ટોનો આનંદ ઉઠાવી રહ્યાં છીએ. પરંતુ સમય જતાં એની ઝેરી પ્રકૃતિનો ખ્યાલ આવ્યો.
પ્લાસ્ટીકને ઇકોફ્રેન્ડલી રીસાઇકલ કરવાના અલગ અલગ આઇડિયાઓમાં સૌથી શ્રેષ્ઠ આઇડિયા આપ્યો છે ડૉ. રાજગોપાલન વાસુદેવને. જેઓ તામીલનાડુના મદુરાઇમાં આવેલી થીઆગરાજ કોલેજ ઓફ એન્જીનિયરિંગમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર અને ડીન છે.

તેમણે પ્લાસ્ટીકના વેસ્ટમાંથી રોડ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. જેમાં તેઓએ કાંકરા અને પથ્થરના ટુકડાઓને ગરમ કરી તેની ઉપર વેસ્ટ પ્લાસ્ટીકના બારીક ટુકડાને ભભરાવી એક પાતળી ફીલમ જેવું કવર એ પથ્થર ઉપર કરવામાં આવે છે.
હાલમાં આ અદભુત આઇડિયાથી તૈયાર કરેલા પાકા રસ્તાઓ દેશનાં ઘણાં શહેરોમાં બનાવવામાં આવી રહ્યાં છે. કોવિલપટ્ટી, કોઠામંગલમ, મદુરાઇ, સાલેમ, વેલીંગટન, ચેન્નઇ, પુડુચેરી, હીંદપુર(આંધ્રપ્રદેશ), કોલકાતા, ગોવા, મુંબઇ શીમલા, થીરુવનંતપુરમ, વડાકરા, કાલીકટ, જમશેદપુર અને કોચી જેવા શહેરોમાં આવા પ્લાસ્ટીકથી રસ્તાઓ(રોડ) બનાવવામાં આવી રહ્યાં છે.

આ ઇકોફ્રેન્ડલી પ્રોજેક્ટ પ્લાસ્ટીકથી પર્યાવરણને નુકસાન (જે અત્યાર સુધીમાં આપણે ઘણું કરી ચુક્યા છીએ) કર્યા વગર યોગ્ય નિકાલ માટેનો સરકારનો વધુ એક આધારભૂત પ્રોજેક્ટ બની ગયો છે.
ડૉ. રાજગોપાલન વાસુદેવને તેમના પોતાના આ સંશોધીત, ઇનોવેટીવ અને અમુલ્ય આઇડિયાને દેશહિત ખાતર ભારત સરકારને તદ્દન ફ્રી ઓફ કોસ્ટે આપી દીધો છે. જ્યારે કે વિદેશી કંપનીઓએ આ ટેકનોલોજી માટે તેમને કરોડોની ઓફર કરી હતી. જે તેમની દેશ પ્રત્યેની લાગણીને ઉજાગર કરે છે. પોતાનું સંશોધન, પેટંટ ફ્રિ ઓફ દેશહીત માટે આપી દેવું એ નાની વાત ન કહેવાય.

તમિલનાડુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રાજગોપાલને તેમનો શાળાનો અભ્યાસ કમ્બાકોણમ જિલ્લો થાનજેવુરથી અને ઉચ્ચ શિક્ષણ ચેન્નઇથી મેળવ્યું છે. જ્યારે તેમણે સંશોધનની શરૂઆત કરી ત્યારથી જ તેમણે લેબોરેટરીમાં પ્લાસ્ટીક ઉપર એક્સપેરીમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી હતી.
ડૉ. રાજગોપાલન વાસુદેવન કહે છે કે, ‘વેસ્ટ ક્યારેય વેસ્ટ નથી હોતું, હંમેશાં એ વેસ્ટનો કંઇક ઉપયોગ શોધી કાઢવાનો રસ્તો હોય છે. એ માટે થોડો ફેર વિચાર કરવાની જરૂરત હોય છે અને એ તેનાં આર્થિક મુલ્ય કરતા પણ ઘણું વધુ મહત્વનું હોય છે.
પ્લાસ્ટીક વેસ્ટ રોડને વધુ મજબુત બનાવે છે જે ખરાબ વાતાવરણની સ્થિતિનો પણ પ્રતિકાર કરી શકે છે. 2002માં પ્રોફેસરે તેમના આ વિચારનો અમલ તેમના કોલેજ પરિસરમાં કર્યો. અને 2006માં કોલેજને આ ટેકનોલોજીની પેટન્ટ પણ મળી ગઇ.

ચેન્નઇની જમ્બુલીંગમ સ્ટ્રીટમાં પ્રથમ પ્લાસ્ટીકનો રોડ બનાવવામાં આવ્યો. જે ભારે વરસાદ, તીવ્ર સૂર્ય તાપ, કાર અને ટ્રક જેવા હેવી વાહનોના ઘર્ણષ સામે પણ ટકી શક્યો. ચાર વર્ષથી વધુ આયુષ્ય થયું હોવા છતાં પ્લાસ્ટીકના ટાયર રસ્તાઓમાં કોઇ પણ પ્રકારના ખાડા, રુટીંગ, રેવલીંગ કે ધારની ખામી જેવી કોઇ તૃટિ સર્જાઇ નથી. ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલબોર્ડના એક રીપોર્ટમાં આવું અવલોકન કરવામાં આવ્યું છે.
રોડ બનાવવા માટે અલગ અલગ ચિજોનો ઉપયોગ થાય છે. જેવી કે પ્લાસ્ટીક કેરી બેગ, પ્લાસ્ટીક કપ, બિસ્કીટ, વેફર્સ અને ફ્રાઇમ્સ વગેરેના પેકેઝીંગમાં વપરાતું પ્લાસ્ટીક વગેરે. આ રોડ ખરેખર મજબુત અને ઘર્ષણ તેમજ ખરાબ વાતાવરણની સ્થિતિમાં પણ પ્રતિરોધક રહે છે.

પ્લાસ્ટીકને ઓગાળીને તેની પ્રોસેસ આ રીતે કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા એકત્રીત કરેલા પ્લાસ્ટીકને શ્રેડર મશીન દ્વારા નાના નાના ટુકડા કરવામાં આવે છે. ત્યાર બાદ તેને કાંકરા સાથે 1650 સે. તાપમાને ગરમ કરવામાં આવે છે અને તેને મિક્સિંગ ચેમ્બરમાં બીટ્યુમિન સાથે ભેળવવામાં આવે છે. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન નિશ્ચિત તાપમાન જળવાઇ રહેવું ઘણું જરૂરી છે.
2015માં સરકારે ઓર્ડર પસાર કર્યો કે બધા રોડ પ્લાસ્ટીક વેસ્ટમાંથી જ બનાવવા. પ્રોફેસરની આ અદભુત ટેકનોલોજીની પ્રશંસા કરીને સરકારે રોડ નિર્માણકર્તાઓ માટે આખા દેશમાં રોડના નિર્માણમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાની આ પદ્ધતિને ફરજીયાત બનાવી.

આ પ્રક્રિયા પણ કોઇ પણ પ્રકારે હાનિકરાક નથી અને આનાથી પર્યાવરણમાં પણ કોઇ વાયુ છુટીને પ્રદુષણ કરતા નથી. આ પ્રક્રિયા પ્લાસ્ટીકના કચરાનું પ્રમાણ ઘટાડે છે સાથે જ કચરો એકત્ર કરતા લોકો માટે પણ રોજગારીનો રસ્તો બની રહેશે.
ડૉ. રાજગોપાલને પ્લાસ્ટીક વેસ્ટના ઉપયોગથી રોડ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે સાથે જ પ્લાસ્ટીક વેસ્ટમાંથી વિવિધ પ્રકારના પેવરબ્લોક અને ટાઇલ્સ જેવી ચીજવસ્તુઓ પણ પથ્થર અને અન્ય ચીજો સાથે મેળવીને બનાવવાની ટેકનીક પણ વિકસાવી છે.

બધી જગ્યાએ વેરવીખેર જોવા મળતી પ્લાસ્ટીકની બોટલોના નિકાલ માટેનો આ એક સહેલો રસ્તો છે એવું ડૉ. રાજગોપાલન વાસુદેવનનું કહેવું છે. અત્યાર સુધીમાં દેશમાં 21,000 માઇલ કરતા પણ વધારે પ્લાસ્ટીકના રોડ બની ચુક્યા છે. આ સંશોધન અને દેશહિતના કાર્ય માટે ડૉ. વાસુદેવનને 2018માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત