બીજા મહારાજાઓની માફક જ અલવરના હિઝ હોલીનેસ- હિઝ હાઈનેસ મહારાજા જયસિંહ પણ શોખમાં ગરકાવ થઈ ગયા હતા. લાખો રૂપિયા ખર્ચ કરી એમણે મહેલ બનાવ્યો. મહેલ સુધી મહેમાનોને આવવા માટે મખમલી રસ્તાઓ બનાવવામાં આવ્યા. જે સામાન્ય માણસોને ઉપયોગમાં નહોતા લેવાના.
મહેલ જંગલની વચ્ચે આવેલો હતો. જંગલની વચ્ચેથી સો કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવ્યો હતો. મહારાજાને મન થતું ત્યારે જંગલમાં વસવાટ કરતા નિશાચર જીવોનો શિકાર કરવા માટે બંદૂક લઈ ઉપડી પડતા હતા. મહેલ અને રસ્તાઓ બનાવવા પાછળ 10 લાખ રૂપિયાનો ધુમાડો થયો હતો. દસ લાખના ધુમાડા પાછળનું કારણ એ હતું કે મહારાજાના અતિથીઓ મહેલની ઉપરના માળ પર બેસી નજીકમાં જ રહેલા દીપડા સહિતના જીવોનું કાસળ કાઢી શકે.
મહારાજા અલ્લડ અને વિલાસી પ્રકૃતિના હતા. એમની પાસે ચાર મહારાણીઓ હતી. જિંદગીભર ન તો એમણે કોઈ મહારાણી સાથે સંભોગ કર્યો કે કોઈ અન્ય સ્ત્રીઓ સાથે. એમને સ્ત્રીઓ કરતા પુરુષોની સાથે રહેવું અત્યાધિક પસંદ હતું.
તેમણે જે લોકોની પસંદગી કર્મચારી તરીકે કરી હતી તેમને રાણીવાસમાં પણ ઉઠવા બેસવાની છૂટ હતી. ખાસ ગઝનફર અલી ખાંને. જે પછીથી પાકિસ્તાનના હાઈકમિશ્નર તરીકે ભારતમાં આવ્યો હતો. મહારાજાના નિવાસસ્થાને રાત્રે પાર્ટીઓ થતી હતી. પાર્ટીમાં તેમની મહારાણીઓ અને સાથે સુંદર વેશ્યાઓ પણ આવતી હતી. મહેલના ઓફિસરો પણ ભાગ લેતા હતા. તેમની સ્ત્રીઓ પણ જલસામાં ભાગ લેતી હતી. આ જલસાઘરની ખાસિયત એ હતી કે કોઈ ને પણ કંઈ પણ કરવાની છૂટ હતી.
આ પાર્ટીમાં મહારાજાના ઓફિસરો મહારાણીઓની સાથે નૃત્ય કરતા હોય, બીજી બાજુ મહારાજા એમના મંત્રીની કોઈ સ્ત્રી સાથે ડાન્સ કરતા હોય. ધીમે ધીમે સ્ત્રીઓ અને પુરુષો સંભોગમાં રત થવા લાગતા. આનંદ-પ્રમોદ ચાલતો. રતિક્રીડા કરવામાં આવતી. પાર્ટીમાં ચુંબનો કરી અધરો પરથી અમૃત પીવામાં આવતા હતા.
ગઝનફર અલી ખાંને મહારાજાએ છૂટ આપેલી હતી. જેનો તે પૂરેપૂરો ફાયદો ઉઠાવતો હતો. મહેલના ઓફિસરોને પણ જ્ઞાત થઈ ગયું હતું કે, તે આડા સંબંધો રાખી રહ્યો છે. મહારાજા અતિ ચાલાક હતા. તે પોતાની રાણીઓને જ નહીં, પણ મહેલમાં પોતાના ઓફિસરોની પત્નીઓ અને તેમની છોકરીઓને પણ આવવાનું કહેતા. આમ કરવા પાછળનું કારણ એ હતું કે કોઈ એકબીજાનો ભાંડો ન ફોડી શકે. ભાંડો ફોડવા સુધી ઘટના લાંબી થાય તો બધાનો એક સાથે ફૂટી જાય. જેથી સૌ કોઈ મૌન રહેતા હતા.
જોકે ગઝનફર અલી ખાંને મહારાજા પાસેથી મંજૂરી લઈ લીધી હતી કે મારી પત્ની કે મારા ખાનદાનની કોઈ પણ સ્ત્રીને પાર્ટીમાં સામેલ ન કરવામાં આવે, કારણ કે મુસ્લીમ સ્ત્રીઓ અન્ય પુરુષોને પોતાનો ચહેરો નથી બતાવતી. મહારાજાએ પણ તેની વાત માની પરવાનગી આપી દીધી હતી.
વર્ષો વીતી ગયા. એક દિવસ મહારાજાના મિનિસ્ટરો એકઠા થયા. અલવર રિયાસતમાં એક લાલ કિલ્લો હતો ત્યાં બધાએ એક સામટો સૂર લહેરાવ્યો કે, ‘ગઝનફર અલી ખાંને કોઈ રોકનારું નથી. તે રાણીવાસની તમામ સ્ત્રીઓ પર પોતાની ખરાબ નજર નાખી ચૂક્યો છે. તેની સ્ત્રીઓ તો પડદા પાછળ રહે છે અથવા તો રિયાસતની બહાર રહે છે.’
ગઝનફર અલી ખાં અન્ય ઓફિસરોની સ્ત્રીઓ સાથે ખરાબ રીતે વર્તન કરતો હતો, પણ તેની બેગમો તો આવતી જ ન હતી. કોઈ રાજાને કાનમાં વાત નાખતા પણ ડરતું હતું. હવે પાણી નાકથી ઉપર વહેવા લાગ્યું હતું. સમસ્યાનો નિવેડો લાવવાનું બધાએ નક્કી કર્યું.
એક વખત મહારાજા આનંદમાં હતા. ગઝનફર અલી ખાં મહેલના કામથી બહાર ગયો હતો. તમામ ઓફિસરોએ આ તકનો લાભ ઉઠાવી રાજાને સમગ્ર વાત કહી દીધી. ખાં પરત આવ્યો અને મહારાજાએ આગામી જશ્નમાં તેની બેગમને બોલાવવાની વાત કહી. ખાં ડઘાઈ ગયો. તેના મનમાં ડર હતો કે ના પાડીશ તો જેલમાં નાખી દેશે. તેણે એક મહિનાનો સમય માગ્યો અને બદલામાં લાહોરથી તેની બેગમને લાવી શકે આ માટે મહારાજાએ દસ હજાર રૂપિયા રોકડા આપ્યા. આગામી જશ્ન દિવાળી પર થવાનો હતો.
ખાં પોતાની બેગમને તેડવા ગયો. બેગમને લાવતા પહેલા તેણે જે.એન.સાહની સાથે મુલાકાત કરી. જે મિનિસ્ટર પણ હતા અને તેના મિત્ર પણ. ખાંને આ મુસીબતમાંથી ઉગારવો મુશ્કેલ હતો. એક નિર્ણય લેવામાં આવ્યો કે મહારાજાની પાર્ટીમાં કોઈ દિવસ હાજરી ન પૂરાવનારી બેગમને જોઈ કોણે ? કોઠામાંથી કોઈને પણ ઉઠાવી તારી નકલી બેગમ બનાવી હાજરી પૂરાવી દે.
મિત્રોની વાત સાંભળી ખાંના જીવમાં જીવ આવ્યો. એ ઉછળી પડ્યો. આ વાત તો તેના મગજમાં આવી જ નહોતી. તેણે સમગ્ર કાવતરું મગજમાં ચિતરી નાખ્યું.
ગઝનફર અલી ખાં એક કોઠા પર ગયો અને એક સુંદર યુવતીને ઉઠાવી લીધી. તેના મા-બાપને ભારે રકમ આપવામાં આવી સાથે તેને અભિનય કરવાનો છે અને નૃત્ય સાથે પુરુષોને ખુશ કરવાના છે તેવી વાત પણ કહી દીધી. ખાં તેને દિલ્હી એકલી છોડી લાહોર પોતાની અસલી બેગમને મળવા માટે ગયો. ખાંના મિત્રો આ નવી પણ ખોટી બેગની પાસે આવ્યા અને તેને મહારાજાના મહેલમાં કેવી રીતે વર્તન કરવું તેની પદ્ધતિઓ શીખવાડવા લાગ્યા.
તેના ચારે મિત્રો તેને જોઈ દંગ રહી ગયા કે બેગમ જેવી લાગતી આ છોકરી વાસ્તવમાં બેગમ જ છે. તેને તમામ પદ્ધતિઓ અને કોની સાથે કેવી રીતે ઉઠ-બેસ કરવી, વાતનો દોર શરૂ કરવો, આંખો ક્યારે મિલાવવી કે ન મિલાવવી એ તમામ કરામતો આવડે છે.
મહારાજાને ઉતાવળ નહોતી પણ તેના મંત્રીઓ જેમણે આ ષડયંત્ર ઘડ્યું હતું એમને ઉતાવળ હતી. જશ્નમાં તેમની સ્ત્રીઓ સાથે જે પ્રકારનું વર્તન કર્યું હતું એવું જ વર્તન ખાંની બેગમ સાથે એક એક ઓફિસર કરવા માગતો હતો.
નજીકના જંગલમાંથી દીપડાઓની ત્રાડ સંભળાતી હતી. ઘુવડનો અવાજ આવી રહ્યો હતો. શિયાળનું આક્રંદ સંભળાય રહ્યું હતું. તમરાઓનો અવાજ આવતો હતો. રાતે પાર્ટી શરૂ થઈ. એક બાજુ પુરુષોએ જગ્યા લીધી બીજી તરફ સ્ત્રીઓએ. રાતનો પાર્ટી કેરો માહોલ જામ્યો અને કાળા આકાશની નીચે કાળી કરતૂતો શરૂ થઈ ગઈ. તવાયફમાંથી બેગમ બનેલી સ્ત્રીએ બધાને ખુશ કરી દીધા. એણે ઠુમકા પણ લગાવ્યા અને ઓફિસરોને મોજ કરાવી દીધી.
મહારાજા પણ ખુશ થયા અને બીજા દિવસે ગઝનફર અલી ખાંને કેટલાક ઈનામો આપ્યા અને કહ્યું કે, ‘આવતા જલસામાં બેગમ આવે તો તેના માટે વધુ સારા વસ્ત્રો લાવજે.’ આ રકમ મોટી હતી. ખાં એ એક એવી ચાલ ચલી જેનાથી મહારાજા કોઈ દિવસ અવગત નહોતા થવાના.
એ ખોટી બેગમને ફરી કોઠા પર મૂકી આવ્યો અને મહારાજાને પત્ર લખ્યો કે, બેગમના આંતરડામાં કાણું છે. થોડા દિવસ પછી બીજો પત્ર લખાયો, મારી બેગમ આ દુનિયામાંથી ચાલી ગઈ. આ વાતની ખબર ઓફિસરોને પડી તો તેઓ પણ દુ:ખી દુ:ખી થઈ ગયા. આટલી સુંદર બેગમની આવી સ્થિતિ. તેઓ તો હજુ બીજા જલસામાં બેગમ સાથે રંગરેલીઓ મનાવવા ખૂદને તૈયાર કરી રહ્યા હતા.
(પૂર્ણ) (સંદર્ભ મહારાજા બુક દિવાન જરમની દાસ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત