Homeતાપણુંરાજસ્થાનના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જે.પી નડ્ડાએ ત્રણ કદાવર નેતાઓને દિલ્હી બોલાવ્યા

રાજસ્થાનના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જે.પી નડ્ડાએ ત્રણ કદાવર નેતાઓને દિલ્હી બોલાવ્યા

Team Chabuk-Politics Desk : કેન્દ્રમાં આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની છબી સિવાય એક બીજી છબી એ ઉજાગર થઈ કે તે ગમે ત્યારે રાજ્યોને આંચકવાની મીટ માંડીને બેઠી હોય છે. જે રાજ્ય તેની પાસેથી જાય ત્યાં તેની બંને આંખો મંડરાયેલી હોય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એક મહિના પહેલા આ વાત કહી ચૂક્યા છે. તેઓ એક મહિનામાં બે વખત મહારાષ્ટ્રને પરત લેવાની વાત ઉચ્ચારતા સત્તાધારીઓ ધારાસભ્યોને સેફ કરવાની હુતુતુતુમાં લાગી જાય છે.

કર્ણાટક અને મધ્યપ્રદેશ જે ભાજપ જીત્યું ન હતું પણ વધારે સીટ હોવાના કારણે બાદમાં આંચકી લેવામાં તેને સફળતા મળી હતી. પાર્ટીની સૌથી મોટી સફળતા એ છે કે ગઢબંધનિયાઓને પણ છુટ્ટા પડવા દેતી નથી. જ્યારે કોંગ્રેસ પાર્ટી એ જ ગઠબંનિયાઓને સાચવી નથી શકતી. હવે સમાચાર આવી રહ્યા છે ગુજરાતની બોર્ડરને અડકીને આવેલા રાજસ્થાનમાંથી.

થોડા સમય પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસની પાર્ટી સંકટમાં આવી ગઈ હતી. સચિન પાયલોટ નારાજ છે અને બીજા જ્યોતિરાદિત્ય સિંધીયા બની શકે છે તેવી વાતો મીડિયામાં જોરશોરથી ચાલવા લાગેલી. જોકે પછી ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું. આ વખતે પાર્ટીમાંથી કોઈ નારાજ નથી. આ વખતે બધુ હેમખેમ છે. જોકે સામે જે.પી.નડ્ડાએ તાત્કાલિક રાજસ્થાનના ત્રણ કદાવર નેતાઓને દિલ્હી બોલાવતા રાજસ્થાન સહિત દેશના રાજકારણમાં ખલબલી મચી ગઈ છે. સૌથી મોટી વાત તો એ છે કે રાજસ્થાનના જ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને જે.પી.નડ્ડાએ આમંત્રણ નથી પાઠવ્યું. તો પછી કયા નેતાઓ જે.પીના આમંત્રણથી દિલ્હીમાં ગયા છે ?

જે.પી.નડ્ડાને મળવા માટે પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, ગુલાબચંદ કટારિયા અને રાજેન્દ્ર ઠાકોરને દિલ્હી બોલાવ્યા છે. આ ત્રણ નેતાઓ છે પણ વસુંધરા રાજે નથી. જેઓ વર્ષોથી રાજસ્થાનના રાજકારણમાં સક્રીય પણ રહ્યા છે અને છેલ્લી ટર્મમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

જે.પી.નડ્ડાએ અચાનકથી આ નેતાઓને દિલ્હી બોલાવતા ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે રાજસ્થાનના રાજકારણમાં કંઈક નવા જૂની થશે. ગત્ત વખતે આ જ લોકો દિલ્હી ગયા હતા ત્યારે રાજસ્થાન કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ હતી.

હવે ફરી મળવા ગયા છે ત્યારે શું નવા જૂની થાય છે તેના પર લોકો ચર્ચા કરવા લાગ્યા છે. આખરે જે.પી.નડ્ડાએ રાજસ્થાનના આ નેતાઓને દિલ્હી શું કામે બોલાવ્યા છે ? કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ગયેલા નેતાઓ ગમે ત્યારે રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પાડી સત્તાનો દોરી સંચાર પોતાના હાથમાં લઈ શકે છે.

જોકે પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા કહી રહ્યા છે કે, આ એક સામાન્ય બેઠક છે અને રાજસ્થાન વિધાનસભાની ત્રણ પેટા ચૂંટણી થવાની છે. આ સિવાય સામાન્ય ચૂંટણીઓ પણ છે. જેની પૂર્વતૈયારી રૂપે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે આ બેઠકમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કેમ નથી ? શું રાજસ્થાનની રાજનીતિમાંથી વસુંધરાનું કદ ટૂંકુ કરવાની ફિરાકમાં નેતાઓ છે ? વસુંધરાના અચ્છે દિન હવે પૂરા થવાના છે ? એક સમયના દબદબાના ફુગ્ગાની હવા નીકળી ગઈ છે ?

થોડા સમય પહેલાની જ વાત છે. વસુંધરા રાજેના વિરોધી નેતા ઘનશ્યામ તિવાડી બીજેપીમાં ધામધુમપૂર્વક પરત ફર્યા હતા. વસુંધરાના વિરોધના કારણે જ ઘનશ્યામ ભાજપમાં પરત નહોતા આવી રહ્યા. જોકે હવે ધીમે ધીમે એ વાત સપાટી પર આવી રહી છે કે રાજસ્થાન ભાજપમાં જ વસુંધરાની વિરોધમાં ધીમે ધીમે આંતરિક વિરોધી જૂથનું સર્જન થઈ રહ્યું છે. ઘનશ્યામ તિવારીનું પરત આવવું એ એ વાત પર જ ઈશારો કરી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments