Team Chabuk-Political Desk: જનતાએ 2017માં ભાજપના ખિસ્સામાં 325 સીટો નાખી દીધી. આ અવિશ્વસનીય બહુમતિ હતી. પ્રચંડ બહુમતિ. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા. ભાજપે તેમને પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર રાખ્યા. તેમના જ કાર્યકાળમાં રામ મંદિર નિર્માણ પામ્યું. જનતાને રામ મંદિર બનાવવાનો વિશ્વાસ આપ્યો હતો, એ પૂર્ણ થયો. એક્ઝિટ પોલમાં ભાજપ ફરી જીતે છે ત્યારે તમામ લોકો એક સૂરમાં કહી રહ્યા છે કે યોગી જ ફરી એક વખત મુખ્યમંત્રી બને.
જો તેઓ સફળ થાય છે તો ન માત્ર 1985 બાદ પ્રથમ એવા મુખ્યમંત્રી બનશે કે જે પોતાની પાર્ટીને સતત બીજી વખત મુખ્યમંત્રી પદ અપાવશે. પરંતુ ઉત્તર પ્રદેશના ઈતિહાસના પ્રથમ એવા મુખ્યમંત્રી અને રાજનેતા હશે જેમના નેતૃત્વમાં વિધાનસભાનો નિર્ધારિત પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કોઈ દળ ફરી સત્તામાં આવ્યું હોય. જો તેઓ મુખ્યમંત્રી પદની શપથ લે છે તો સતત પાંચ વર્ષ પૂર્ણ કર્યાં બાદ મુખ્યમંત્રીના સિંહાસન પર ફરી બિરાજમાન થનારા ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બનશે.
ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક દંતકથા છે. માનવામાં આવે છે કે નોઈડા જે મુખ્યમંત્રી જાય છે તેની ખુરશી સુરક્ષિત નથી રહેતી. તેનું સત્તામાં પુનરાગમન નથી થતું. એ કારણે જ કેટલાક મુખ્યમંત્રીઓ નોઈડાનો પ્રવાસ ખેડતા નથી. ઉદ્ધાટન અને શિલાન્યાસના કારણે કેટલાક મુખ્યમંત્રીઓને પરાણે ત્યાં જવાની નોબત આવે છે. આવી સમસ્યા ઊભી થાય ત્યારે નોઈડા ન જઈને આસપાસના કે દિલ્હીના કોઈ સ્થાન પરથી આ કાર્ય પૂર્ણ કરી લે છે. હવે તો ડિઝીટલ સિસ્ટમ આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં રહીને ચાંપ દબાવો અને નોઈડામાં ઉદ્ધાટન થઈ જાય. મોદીજીએ 2019થી 2020 સુધી આ જ તો કર્યું હતું.
હવે યોગી આદિત્યનાથ એવા મુખ્યમંત્રી છે જે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખ્યા વગર નોઈડા એક કરતા વધારે વખત ગયા છે. એક ટર્મ સુધી તો તેઓ મુખ્યમંત્રી રહ્યા પણ હવે જોવાનું છે કે નોઈડા જાય તેની ખુરશી ચાલી જાય એ દંતકથાને તેઓ કચરાપેટીમાં નાખી સ્વાહા કરી શકે છે કે નહીં. નોઈડા જાય તેની ખુરશી ચાલી જાય, એ મીથકની શરૂઆત ક્યાંથી થઈ હતી ? એનો ઈતિહાસ પણ જાણી લઈએ.
ઉત્તર પ્રદેશમાં વર્ષ 1988થી આ દંતકથા, આમ માનો તો અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે કે નોઈડાની મુલાકાત લેનારા મુખ્યમંત્રીની ખુરશી ચાલી જાય છે. પૂર્વાંચલના વિકાસ પુરુષ તરીકે ઓળખાતા વીર બહાદુરસિંહ પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓએ નોઈડાની મુલાકાત લીધી અને તેમની ખુરશી ચાલી ગઈ. નારાયણ દત્ત તિવારીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ 1989માં નોઈડાના સેક્ટર-12માં નહેરુ પાર્કનું ઉદ્ધાટન કરવા ગયા અને તેમની ખુરશીનું ઉદ્ધાટન થઈ ગયું. થોડા સમય પછી ચૂંટણી હતી. તેઓ કોંગ્રેસની સત્તામાં વાપસી ન કરાવી શક્યા. વર્તમાન સમયે રક્ષામંત્રી એવા રાજનાથ સિંહ તત્કાલીન મુખ્યમંત્રી હતા, તેમને નોઈડામાં એક ફ્લાઈઓવરનું ઉદ્ધાટન કરવાનું હતું. મુખ્યમંત્રી રાજનાથ સિંહ એવા ડરી ગયા કે તેમણે આ ફ્લાયઓવરનું ઉદ્ધાટન દિલ્હીથી કરી નાખ્યું.
(પોસ્ટરમાં તસવીર મુખ્યમંત્રી વીર બહાદુરસિંહની છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત