Team Chabuk : રાજન્ ચમ્માપુર નામનું એક નગર હતું. જેમાં ચમ્પકેશ્વર નામનો રાજા રાજ કરતો હતો. તેની રાણીનું નામ સુલોચના હતું અને દીકરીનું નામ શશિબાલા હતું. રાજકુમારી શશિબાલા ગુણવાન હતી. જ્યારે મોટી થઈ તો તે અત્યંત સુંદર થઈ ગઈ. તેની સુંદરતાની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી.
રાજા અને રાણીને તેના વિવાહની ચિંતા થવા લાગી. ચારે દિશામાં શશિબાલાના વિવાહની ખબરો વાયુવેગે પ્રસરી ગઈ. રાજકુમારી શશિબાલાના વિવાહ કરવાના છે તેની પાડોશી રાજ્યોમાં ખબર પડવા લાગી. દૂર સુદૂર રાજ્યોના અસંખ્ય રાજકુમારો અને રાજાઓએ પોતાની તસવીર બનાવી ચમ્પાપુરના રાજાને મોકલી, પણ રાજકુમારીને કોઈ પણ રાજા કે રાજકુમાર પસંદ ન આવ્યો.
રાજકુમારી હતાશ થઈ ગઈ હતી. પિતા તેની પાસે ગયા અને કહ્યું, ‘શશિબાલા. બેટા જો તું ઈચ્છે તો હું સ્વયંવર કરું. જેથી તને ગમતો મૂરતિયો મળી જાય.’ રાજાએ દીકરીની ઈચ્છા માટે કહેલું, પણ રાજકુમારી ન માની તેણે પિતાને કહી દીધું, ‘સ્વયંવરમાંથી પતિ શોધવાની મારી ઈચ્છા નથી.’
મહારાજા ચમ્પકેશ્વરે નક્કી કર્યું કે રાજકુમારી શશિબાલાનો વિવાહ તે એ વ્યક્તિ સાથે જ કરશે જે દેખાવમાં અત્યંત સોહામણો લાગતો હોય, તેની ભૂજાઓમાં અસીમ બળ હોય, જ્ઞાનથી સમૃદ્ધ હોય અને આ ત્રણેમાં તેની ટક્કરનો અવની પર કોઈ ન હોય.
સંજોગોવશાત્ રાજા પાસે એક દિવસ ચાર દેશના ચાર રાજકુમારો આવ્યા. એક રાજકુમાર વૈશાલીનો હતો. તેણે રાજાને કહ્યું, ‘મારા જેવું રેશમનું વસ્ત્ર કોઈ તૈયાર નથી કરી શકતું. હું એક વસ્ત્ર બનાવીને પાંચ લાખમાં વેચુ છું. આ વિદ્યાને મારા સિવાય બીજું કોઈ નથી જાણતું.’ રાજાએ વૈશાલીના રાજકુમાર દ્વારા તૈયાર કરેલા એક એક વસ્ત્રને જોયા. તેઓ અચંબિત થઈ ગયા. આવું વસ્ત્ર તેમણે પહેલા ક્યાંય નહોતું જોયું.
વૈશાલી પછી અવન્તિ નગરીના રાજકુમારે કહ્યું, ‘હું જળ અને સ્થળના પશુઓની ભાષા સારી રીતે જાણું છું. આ સિવાય હું શરીરના તમામ અંગો વિશે પણ જાણું છું. રાજકુમારીને કોઈ દિવસ શારીરિક કષ્ટ નહીં પહોંચે. આપ તેનો વિવાહ મારી સાથે કરો.’
અન્ય એક ચોલ દેશના રાજકુમારે કહ્યું, ‘હું શબ્દવેધી તીર ચલાવવાનું જાણું છું. ધનુર્વિધામાં મને પરાસ્ત કરી શકે તેવો કોઈ આ ધરતી પર પાક્યો જ નથી.’
છેલ્લે બંગ દેશના રાજકુમારે કહ્યું, ‘હું એટલું શાસ્ત્ર ભણ્યો છું કે, મારો કોઈ પણ મુકાબલો ન કરી શકે. મને વેદ, પુરાણો અને ગીતા સહિત તમામ શાસ્ત્રો કંઠસ્થ છે.’
ચારેની વાત સાંભળ્યા પછી મહારાજા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. એ સુંદરતામાં પણ એકથી એક ચડીયાતા હતા. રાજાએ રાજકુમારી પાસે જઈ ચારે રાજકુમારોના રૂપ અને તેમના ગુણની પ્રશંસા કરી. જોકે રાજકુમારીના ચહેરાના હાવભાવમાં કોઈ બદલાવ આવ્યા નહીં. એ મૌન રહી.
વેતાલે તો વાર્તા પૂરી કરી નાખી. હવે તે રાજા વિક્રમ પાસેથી જવાબ માગતો હતો, ‘રાજન્ તું કહે, રાજકુમારીએ કોની સાથે વિવાહ કરવા જોઈએ? બતાવ અને જો નહીં બતાવીશ તો તારી ખોપડી ફાટી જશે.’
વિક્રમ બોલ્યો, ‘વેતાલ. જે વસ્ત્રો બનાવી વિતરણ કરે છે તે તો શુદ્ર છે. જે પશુઓની ભાષા અને શરીરના અંગોની જાણકારી રાખે છે તે વૈશ્ય છે. જે શાસ્ત્રમાં પારંગત છે તે તો બ્રાહ્મણ થયો કહેવાય. પણ જે શબ્દવેધી તીર ચલાવવાનું સારી રીતે જાણે છે તે ખરો રાજકુમાર કહેવાય.’
વેતાલે પૂછ્યું, ‘તો ?’
‘અર્થાત્ રાજકુમારીના વિવાહ માટે યોગ્ય રાજકુમાર તો શબ્દવેધી તીર ચલાવનારો ચોલ દેશનો રાજકુમાર જ થયો કહેવાય.’
વેતાલ અટ્ટહાસ્ય કરવા માંડ્યો, ‘વિક્રમ ખોપડી તો નહીં ફાટે પણ તું બોલ્યો શું કામ? ચાલ હું સિદ્ધવડ પર જાઉં છું. તું મારો પીછો ન કરતો.’
વેતાલ આકાશમાં ઉડવા લાગ્યો. રાજા તેની પાછળ દોડવા લાગ્યો.
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત